________________
તીર્થકર શ્રી મલ્લિનાથ
૧૯
ભારે ઉત્સાહી. આ કારણે અનેક ઝઘડાઓ રાજમાં ને અંતઃપુરમાં ચાલ્યા કરે. કોઈએ ઊંચે સાદે કંઈ વાત કરી કે નીકળ્યા લડવા. કોઈએ કોઈ સુંદર સ્ત્રીની ભાળ આપી, તો નીકળ્યા પરણવા.
એક દિવસ હસ્તિનાપુરની રાજસભામાં આવો ખળભળાટ મચી ગયો. વાત એમ બની કે, એક ચિતારો સુંદર એક છબી લઈને આવ્યો હતો. એ હતો પેટબળ્યો. પેટબળ્યો ગામ બાળે, એ કહેવત જાણીતી છે. વાત એમ બનેલી કે રાજકુમાર મલ્લદિને દેશોદેશથી ચિતારાઓને મિથિલામાં તેડેલા. એ એક ચિત્રશાળાનું નિર્માણ કરતા હતા.
દૂરદૂરથી એક કુશળ ચિતારો આવેલો. ભારે હોશિયાર. એની પીંછી ફરે ને ચિત્રમાં પ્રાણ જાગે. એણે શીલ અને સૌંદર્યની મૂર્તિ રાજકુમારી મલ્લિકાને નીરખ્યાં. અરે, આવાં મનુષ્યદેહનાં રૂપ ! એને ચીતરું તો મારી પીંછી અમર બની જાય. એણે ભારે હોંશથી ચિત્રસભામાં રાજકુમારી મલ્લિકાનું ચિત્ર દોર્યું.
ચિત્રસભા પૂરી થઈ. કુમાર મલ્લદિન એ નીરખવા આવ્યા. આવતાં તો આવ્યા, પણ સામે જ બહેન મલ્લિકા ઊભેલાં જોયાં. શૃંગારના આ ધામમાં પૂજનીય બહેન ક્યાંથી? આમન્યા રાખનાર ભાઈ, ચાર ડગલાં પાછો હક્યો. શરમનો પાર ન રહ્યો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org