________________
અહિંસા સંસ્કૃતિ
છે. મંદિર જઈને માત્ર જપ કરવો કે “પ્રભુ બચાવો - મારી ભવ-બાધા હરો” એથી અહિંસા ધર્મ નથી ચાલતો અને ન તો મુક્તિ મળે છે. આહારમાં હિંસા દૂર કરવી અને શાકાહારી બનવું જરૂરી છે, પરંતુ પર્યાપ્ત નથી. એની સાથે જો આપણે આપણી હિંસક, શોષક અને રાગદ્વેષભરી મનોવૃત્તિ નહીં બદલીએ તો આપણે પૂર્ણ રીતે અહિંસક નહીં બની શકીએ. અહિંસા ધર્મીને માત્ર ભક્તિ, ભોજન અને ભાવનામાં ઘેરીને હિંસાથી પીછો છોડાવવો હોય, તો પ્રભુ મહાવીરના સંદેશાને આપણે સમજ્યા નથી. અહિંસાના વ્યાપક રૂપને જીવનવ્યવહારમાં, વ્યાપારમાં, સામાજિક પરિપાટી અને રહેણીકરણીમાં લાવવાની જરૂર છે.
મારા સ્વર્ગીય મિત્ર અને સર્વોદયી જૈન શ્રી માણેક કટારિયાએ લખ્યું છે : “ક્યાંય એવું તો નથી ને કે નાની નાની હિંસાઓથી તો આપણે જાતને બચાવી લીધી અને મોટી મોટી વિનાશકારી હિંસાઓ સાથે આપણે જોડાતા ગયા? હું ખૂબ મમતા સાથે ગાયને ઘાસ તો ખવરાવું છું પણ પગમાં નરમ કૉફ શૂ (વાછરડાના મુલાયમ ચામડાથી બનેલા જૂતા) પહેરું છું. પીવાનું પાણી ગાળીને લઉં છું અને મારા કારખાનાના ઝેરી પાણીથી માઈલો સુધી માછલીઓ મરતી જાય છે. હું અનાજ અને ભાજીની શુદ્ધિમાં લાગેલો છું, પણ મારી કીટનાશક દવાઓએ અબજો કીટ અને પતંગિયાંઓને નષ્ટ કરી દીધાં.”
યોગશાસ્ત્રમાં આચાર્ય હેમચંદ્ર અહિંસા વ્યવહારની વ્યાપક વ્યાખ્યા કરતાં લખે છે : “અહિંસા સર્વોચ્ચ ધર્મ છે. પ્રાણીજગતને કોઈ આઘાત ન પહોંચાડવો, સર્વોચ્ચ નૈતિકતા છે; જીવનને ભયથી મુક્ત કરવું એ જ સર્વોચ્ચ દાનશીલતા છે; અહિંસા સર્વોચ્ચ તપની સાધના છે.”
જૈન આગમ “શ્રી આચારાંગસૂત્ર' આ ગુણતત્ત્વને વધુ સ્પષ્ટ કરે છે કે બીજા પ્રત્યે કરાયેલી હિંસાએ સ્વયંના આત્મા પરનો હિંસક હુમલો છે. “શ્રી આચારાંગ સૂત્ર'માં લખ્યું છે :
“એ વ્યક્તિ જે બીજાં પ્રાણીઓની ઉપેક્ષા કરે છે, એમને દુ:ખ પહોંચાડે છે અથવા એમના પ્રાણોનો ઘાતક હોય છે, એ વસ્તુત: સ્વયં પોતાની જ ઉપેક્ષા કરે છે. પોતાની જાતને જ દુઃખ પહોંચાડે છે અથવા પોતાના આત્માને ઊંડો આઘાત આપે છે. જેની પર તમે યાતના ઠોકી બેસાડો છો તે તો અંતમાં તમે પોતે જ છો.
71
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org