________________
શ્રમણ સંસ્કૃતિની આધારશિલા
જૈન ધર્મએ હંમેશાં સમન્વયાત્મક અને હકારાત્મક દૃષ્ટિકોણ રાખ્યો. ઋષભદેવના સમયથી જૈન શ્રમણ સંઘોએ જનમાનસ સમક્ષ વધતાં જતાં કર્મકાંડો, માંસાહાર, પશુબલિ અને અસહિષ્ણુતાથી દૂર રહેવા માટે પોતાની અતિ સંયમશીલ અનુશાસિત અને વીતરાગી જીવનપ્રક્રિયાનું ઉદાહરણ રજૂ કર્યું. સદીઓ સુધી શ્રમણ સંસ્કૃતિ અંતર્ગત મુનિની પટ્ટપરંપરામાં એ રીતે મૌખિક રૂપે તીર્થંકર પ્રરૂપિત તત્ત્વજ્ઞાનનું સંરક્ષણ અને પ્રસાર ચાલતાં રહ્યાં, જેને દ્વાદશાંગ શ્રુત કહેવામાં આવે છે. અંતિમ તીર્થંકર ભગવાન મહાવીરે પોતાના ચતુર્વિધ સંઘને સક્ષમ, સમર્પિત, સંતુલિત તથા અનુશાસિત કરવા ઉપરાંત ખૂબ સક્રિય અને ગતિશીલ પણ બનાવ્યો. આથી ભગવાન મહાવીરનો યુગ શ્રમણ સંસ્કૃતિનો ક્રાંતિકારી સુવર્ણયુગ ગણાય છે.
ભગવાન મહાવીરના શ્રમણ સંઘમાં વિભિન્ન વર્ગોના પ્રતિષ્ઠિત અને પ્રકાંડ વિદ્વાનો એમની કેવળજ્ઞાનની આભાથી પ્રભાવિત થઈને જોડાયા. આમાં અગિયાર ગણધરો પ્રકાંડ વેદશાસ્ત્રજ્ઞાતા બ્રાહ્મણો હતા. એના મુખ્ય ગણધર ઇન્દ્રભૂતિ ગૌતમે ભગવાન મહાવીરના દિવ્ય ધ્વનિને વિધિવત્ તાર્કિક અને આસ્થાપ્રેરિત મૌખિક પાઠ પરંપરામાં સુરક્ષિત કર્યો અને જનમાનસમાં પ્રસાર કર્યો. એમણે પોતાના સાથીઓના સહયોગથી બાર અંગોની મૌખિક રચના કરી અને જૈન ધર્મના વિસ્તૃત તત્ત્વજ્ઞાનને અંતત: પ્રાકૃત અને અર્ધમાગધી ભાષાનાં શાસ્ત્રોનો આકાર આપ્યો. આપણે હવે પછી જોઈશું કે ભગવાન મહાવીરના નિર્વાણ બાદ ૯૮૦ વર્ષે જૈન આગમો અને શાસ્ત્રોને લેખિત રૂપ મળ્યું. દિગંબર અને શ્વેતાંબર સંપ્રદાયોએ પોતપોતાની પરંપરા અનુસાર આગમ વાંચનાઓ કરી. જૈન આગમો અને શાસ્ત્રો દર્શન, નીતિ, ધર્મ, તર્ક, વિજ્ઞાન, જ્યોતિષ, ગણિત, ભૂગોળ, અંતરિક્ષ જ્ઞાન, પર્યાવરણ, પ્રાણીશાસ્ત્ર વગેરે અનેકવિધ વિષયોનો ભંડાર છે.
Jain Education International
13
For Personal & Private Use Only
www.jainelibrary.org