________________
પર્યાવરણ સંસ્કૃતિ વિચારીએ તો સૃષ્ટિનું પ્રાકૃતિક સમતોલન મનુષ્યનાં શોષણ, ઉન્માદ, લાપરવાહી, દખલઅંદાજી, સિદ્ધાંતહીન તથા અનૈતિક દૃષ્ટિકોણના કારણે ડામાડોળ થઈ ગયું છે. પ્રકૃતિ આપણું પોષક અને રક્ષક તત્ત્વ છે પરંતુ આપણે એને ભોગ્ય માની લીધું છે, સમજી લીધું છે. વિકાસના માર્ગે પર્યાવરણીય પ્રશ્નોનું મહત્ત્વપૂર્ણ અને સંતોષપ્રદ સમાધાન ખાસ કરીને વિકાસશીલ દેશોમાં નથી મળી શકતું. ન તો વિકાસ યોગ્ય રીતે થઈ રહ્યો છે અને ન પર્યાવરણની યોગ્ય સંભાળ લેવામાં આવે છે. વિકસિત દેશો પોતાની જૂની પ્રદૂષણવર્ધક ટેકનીકની નિકાસ કરીને વિકાસશીલ દેશોમાં વાયુ, ધ્વનિ, જલ, સ્થળ, પ્રદૂષણ વધારી રહ્યા છે. શ્રીમતી ઇંદિરા ગાંધીએ સ્ટોકહોમ શિખર સંમેલનમાં કહ્યું હતું કે વિકાસશીલ દેશોમાં ગરીબી સહુથી વધારે પ્રદૂષણ ફેલાવે છે. માટે વિકાસ અને પર્યાવરણમાં આર્થિક અને નૈતિક દૃષ્ટિએ સમતોલન કરવાની તાતી જરૂર છે.
સમગ્ર સંસારના વિદ્વાનો, રાજનીતિજ્ઞો, સમાજસેવકો, પ્રકૃતિપ્રેમીઓ અને ધર્મનિષ્ઠ લોકોમાં એ ધારણા જોર પકડતી જાય છે કે પર્યાવરણને બચાવવા માટે ધાર્મિક, વૈજ્ઞાનિક, ટેકનિકલ, પર્યાવરણ-સમર્પિત અને વિકાસકાર્યોમાં જોડાયેલા લોકોએ એકસાથે મળીને એક સુયોજિત કાર્યયોજના અને દૃષ્ટિકોણને મૂર્ત રૂપ આપવું પડશે. આપણે આગળ આ અધ્યાયમાં જોઈશું કે વિશ્વ સ્તરે આ સમસ્યા કેટલી મુશ્કેલ, ચિંતાજનક અને મોટા વિસ્તારમાં ફેલાયેલી છે. પર્યાવરણ – જૈન ધર્મનું પ્રાણતત્ત્વ :
આવી પરિસ્થિતિમાં આપણે જૈન ધર્મના સિદ્ધાંતોમાં સમાયેલા અને સ્વીકારાયેલા પર્યાવરણીય દૃષ્ટિકોણ અને તત્ત્વજ્ઞાનને સ્પષ્ટ રૂપે સમજીએ; એની ઉપયોગિતા, સામયિકતા અને પ્રાસંગિકતાનો ઝીણવટથી હિસાબ લઈએ અને સંસારને સચેત કરીએ. ૨૧મી શતાબ્દીમાં આ એક મહત્ત્વપૂર્ણ મુદ્દો છે જેના દ્વારા આપણે વિશ્વ સામે જૈન વિચાર અને આચારની વ્યવહારિકતા, ઉપયોગિતા દર્શાવીએ અને જૈન ધર્મની પર્યાવરણીય માન્યતાનું સમર્થન કરી શકીએ.
પર્યાવરણ જૈન ધર્મનું પ્રાણતત્ત્વ છે. “પરિ'નો અર્થ છે ચારે બાજુથી અને “આવરણ'નો અર્થ છે આવરનાર (ઢાંકનાર). પ્રકૃતિ, પુરુષ અને પ્રાણીજગત વચ્ચે અંતરંગ કડીના રૂપમાં પર્યાવરણ એક સામૂહિક ઓળખ છે. આ ત્રણે વચ્ચે પારસ્પરિક અવલંબન અને સહઅસ્તિત્વથી પ્રેરાયેલ અને નિર્માણ પામેલ સમતોલનને જુદા જુદા ધર્મોમાં દિવ્ય સંબંધની સંજ્ઞા આપવામાં આવી છે.
113
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org