________________
૨૨૨
શ્રી સમયસાર
પ્રદેશ રસ સ્થિતિ પ્રકૃતિ, કર્મ તણા જે ભેદ; જાણ્યાથી જ છેદાય ના, શુદ્ધ સ્વરૂપે છેદ. ૨૯૦
જેમ કોઈ પુરુષ બંધનમાં પડ્યો હોય તેને હું બંધાયો છું એમ પ્રથમ ભાન થાય, પછી જ્યારથી બંધાયો છું? શાનાથી બંધાયો છું ? તે બંધ કેવા પ્રકારનો છે ? અર્થાત્ બેડી, સાંકળ કે દોરડાથી બંધાયો છું તે જાણે. પણ તેથી કંઈ બંધથી મુક્ત થઈ શકે નહિ. વળી તે બંધની પ્રકૃતિ-તીવ્ર મંદ આદિ સ્વભાવ વિચારે, તેમજ તે બંધથી કેવી રીતે છૂટી શકાય તેના ઉપાય રોજ માત્ર વિચાર્યા કરે તોપણ કંઈ તે બંધથી મુક્ત થઈ શકે નહિ. પરંતુ બંધનું સ્વરૂપ જાણીને અને ઉપાય વિચારીને તે પ્રમાણે પુરુષાર્થ કરે એટલે દોરડું, સાંકળ કે બેડીથી બંધાયો હોય તેને છોડી નાખે, કાપી નાખે, છેદી નાખે કે ભેદી નાખે ત્યારે બંધથી મુક્ત થાય.
તેવી રીતે સંસારમાં જીવ અનાદિનો બંધનમાં પડ્યો છે એમ તેને ધર્મની પ્રાપ્તિ થતાં સમજાય છે. પછી તે જે કર્મોવડે બંધાયો છે, તેની ભિન્ન ભિન્ન પ્રકૃતિ સ્થિતિ અનુભાગ પ્રદેશ વગેરે કર્મગ્રંથ આદિથી જાણે તેથી શુભભાવ થવાથી પુણ્ય બાંધે, પણ બંધથી છૂટી શકે નહિ. વળી તે બંધનું સ્વરૂપ અને મુક્ત થવાના ઉપાય ચિંતવવારૂપ શુભભાવમાં પ્રવર્તે, તેથી સ્વર્ગાદિનું કારણ એવું પુણ્ય બાંધે પણ બંધથી મુક્ત થાય નહિ. પરંતુ જ્યારે તે બંધનું સ્વરૂપ જાણીને અને છૂટવાના ઉપાય વિચારીને તે પ્રમાણે પુરુષાર્થ કરે એટલે કે શુદ્ધભાવમાં સ્થિર થઈને કર્મબંધને છેદી નાખે ત્યારે મુક્ત થાય.
જાણવા માત્રથી મોક્ષ નથી તે કહે છે :
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org