________________
૧૯
ચૌલુક્યની ગોત્રદેવી કંટેશ્વરી દેવીના ભવ્ય મંદિરની આજની રોનક જ અનેરી હતી. દીપમાળાઓથી આખુંય મંદિર ઝળહળી રહ્યું હતું. આસોપાલવના તોરણો પવનની પાંખે હિલોળા લેતા હતા. એક ખૂણામાં પૂજારી સંધ્યા આરતીની તૈયારી કરી રહ્યો હતો. નવરાત્રીના સાત દિવસો રંગેચંગે અત્યંત ઉત્સાહ અને ભક્તિભાવથી પસાર થઈ ગયા હતા. દિન પ્રતિદિન ભક્તોની ભીડ વધતી જતી હતી. મંદિરના વિશાળ ચોગાનમાં તાળીઓના તાલે, ઢબુકતા ઢોલે ગુર્જરીનાર ગરબે ઘૂમતી હતી.
આજે હવન અષ્ટમીનો દિવસ હતો. વહેલી સવારથી મંદિરના મહંત ભવાનીરાશિ અષ્ટમીના હવનની તૈયારીમાં પડ્યા હતા. શ્વેત દાઢી, ગોળમટોળ ભરાવદાર ચહેરો, ધારદાર આંખો, લાલ રંગની ધોતી, અને રેશમી પહેરણ અને કંઠેથી વહેતી સ્તુતિઓ... એના આષાઢી કંઠેથી વાતાવરણમાં મધુર સ્પંદનો જગાવતી હતી... ભવાની રાશિનું સિદ્ધરાજ જયસિંહના જમાનાથી રાજસભામાં તેમ જ રાજમહેલમાં ખૂબ જ માનભર્યું સ્થાન હતું. ભવાનીરાશિનો શબ્દ અનેક ધાર્મિક કર્મકાંડોમાં આખરી રહેતો • રાજકારણમાં પણ ભવાનીરાશિ તેમ જ આચાર્ય દેવબોધ અને ભાવબૃહસ્પતિની ત્રિપુટી ગણતી – રાજના કારભારમાં પણ એનું વજન પડતું. દરેક ધર્મનું કેન્દ્રસ્થાન કંટેશ્વરી માતાનું મંદિર હતું. આરતીનો સમય થઈ રહ્યો હતો. લોકોની ભીડ સમાતી નહોતી. ભવાનીરાશિ ખુદ રાજ્યસભા તેમ જ સામાન્ય સભાના સદસ્યોને હવન અષ્ટમીની આરતીના દર્શન કરવા આવવાનું નિમંત્રણ આપી આવ્યા હતા.
મંદિરના ચોગાનમાં લોકોનો ધસારો વધતો જતો હતો. હવામાં આનંદ, ભક્તિ, શ્રદ્ધા અને સમર્પણની ભાવના ફરી રહી હતી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org