________________
૧૯૦
ચોવીશ તીર્થંકર
કરી. તે વખતે ઘણી કન્યાઓથી પરવરેલી યક્ષિણી નામની રાજપુત્રીએ દીક્ષા લીધી.
શ્રી નેમિનાથ સ્વામીએ પ્રવર્તિની પદે યક્ષિણીને સ્થાપના કરી. દશ દર્શાહ, ઉગ્રસેન વાસુદેવ, બલરામ અને પ્રદ્યુમ્ન વગેરે કુમારોએ શ્રાવકધર્મ અંગીકાર કર્યો.
મહાદેવી શીવાદેવી રોહિણી, દેવકી, રૂકમણી, સત્યભામા વગેરે અન્ય સ્ત્રીઓએ શ્રાવકપણું અંગીકાર કર્યું. જેથી તે શ્રાવિકાઓ થઈ.
આમ સમવસરણમાં ચતુર્વિધ સંઘની સ્થાપના થઈ. પ્રથમ પૌરૂષી પૂર્ણ થતા પ્રભુએ દેશના પૂર્ણ કરી અને બીજી પૌરૂષીમાં વરદત્ત ગણધરે દેશના આપી. પછી ઇન્દ્ર આદિ દેવતાઓ, કૃષ્ણ વગેરે અન્ય રાજાઓ પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા.
શ્રી નેમિનાથ પ્રભુના તીર્થમાં ત્રણ મુખવાળો શ્યામવર્ણ, મનુષ્યના વાહનવાળો, ત્રણ દક્ષિણ ભુજાઓમાં બીજોરું, પરશુ અને ચક્રને ધરનારો અને ત્રણ વામ ભુજામાં નકુલ, ત્રિશુળ અને શક્તિને ધરનારો ગોમેધ નામે યક્ષ શાસન દેવતા થયો.
એવી જ રીતે સુવર્ણ જેવી કાંતિવાળી, સિંહના વાહન પર બિરાજીત બે દક્ષિણ ભુજામાં આંબાની લાંબું અને પાશને ધરનારી, તથા બે વામ ભુજામાં પુત્ર તથા અંકુશ ધરનારી કુષ્માંડી (અંબિકા) નામે પ્રભુની શાસનદેવી થઈ.
આ બન્ને શાસનદેવતાઓ નિરંતર પ્રભુના સાનિધ્યમાં રહેતા હતા. શ્રી નેમિનાથ પ્રભુ લોક કલ્યાણ અર્થે અન્યત્ર વિહાર કરી ગયા.
રથનેમિએ રાજુલકુમારી સાથે વિવાહ કરવા માટે સત્યભામાને વિનંતી કરી. સત્યભામાએ રાજુલના મનનો તાગ મેળવી જોયો અને સત્યભામાને લાગ્યું કે રાજુલના અંતરમાં વૈરાગ્યની ભાવના છે અને તે વિવાહ કરવા ઇચ્છતી જ નથી. આ સમાચાર જ્યારે રથનેમિને સત્યભામાએ આપ્યા ત્યારે રથનેમિના હૈયામાં નિરાશા વ્યાપી ગઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org