________________
૧૭૦
ચોવીશ તીર્થંકર
એ રીતે ગૌરવર્ણ, ભદ્રાસન પર બેસનારી, બે દક્ષિણ ભુજામાં વરદ તથા અક્ષસૂત્ર અને બે વામ ભુજામાં બીજોરું અને ત્રિશૂલ ધરનારી નરદત્તા નામે શાસનદેવી થઈ. એ બને શ્રી મુનિસુવ્રત સ્વામીના તીર્થમાં શાસનદેવતા થયા.
એ બને શાસનદેવતા જેમના સાંનિધ્યમાં રહેલા છે તેવા શ્રી મુનિસુવ્રત સ્વામી વિહાર કરતાં કરતાં પૃથ્વી પર વિચારવા લાગ્યા.
કેવળજ્ઞાની થયા પછી શ્રી મુનિસુવ્રત સ્વામીને એકાદશ માસે ઊણા સાડા સાત હજાર વર્ષો વીતી ગયા.
શ્રી મુનિસુવ્રત સ્વામીના પરિવારમાં ત્રીશ હજાર મહાત્મા સાધુઓ, પચાસ હજાર તપસ્વી સાધ્વીઓ, પાંચસો મહા બુદ્ધિમાન ચૌદ પૂર્વ ધારી, અઢારસો અવધિજ્ઞાની, પંદરસો મન:પર્યવજ્ઞાની, અઢારસો કેવળજ્ઞાની, બે હજાર વૈક્રિયલબ્ધિવાળા, એક હજાર અને બસો વાદલબ્ધિવાળા, એક લાખ ને બોતેર હજાર શ્રાવકો, ત્રણ લાખ ને પચાસ હજાર શ્રાવિકાઓ હતાં.
અનુક્રમે નિવણિકાળ પ્રાપ્ત થયો એટલે શ્રી મુનિસુવ્રત સ્વામી સમેતશિખરે પધાર્યા. ત્યાં એક હજાર મુનિવરોની સાથે અનશન ગ્રહણ કર્યું. એક માસના અંતે જ્યેષ્ઠ માસની કૃષ્ણ નવમીએ શ્રવણ નક્ષત્રમાં તે મુનિવરોની સાથે પ્રભુ શાશ્વતપદ પામ્યા.
શ્રી મુનિસુવ્રત સ્વામીએ સાડા સાત હજાર વર્ષ કુમારપણામાં તેટલાં જ વ્રત પાલનમાં અને પંદર હજાર વર્ષ રાજ્યમાં એમ મળીને ત્રીશ હજાર વર્ષનું આયુષ્ય શ્રી મુનિસુવ્રત સ્વામીએ પૂર્ણ કર્યું.
શ્રી મલ્લીનાથ સ્વામી મોક્ષે ગયા પછી ચોપન લાખ વર્ષ ગયા ત્યારે શ્રી મુનિસુવ્રત સ્વામીનું નિર્વાણ થયું. એક હજાર મુનિઓની સાથે શ્રી મુનિસુવ્રત સ્વામી જ્યારે મોક્ષે ગયા ત્યારે ઇન્દ્રોએ દેવતાઓની સાથે રહીને તેમનો વિધિપૂર્વક મોક્ષ મહિમા કર્યો.
(શ્રી મુનિસુવ્રત સ્વામીના સમયમાં સુદર્શના રાજકુમારી થઈ હતી. સુદર્શના ચરિત્રની કથા લેખકની પ્રાપ્ય છે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org