________________
૧૬૨
ચોવીશ તીર્થંકર
મણિ વડે અદ્ધર રચ્યા. નીલમણિથી કેશ રચ્યાં. ઈન્દ્રનીલ તથા સ્ફટિક મણિથી લોચન બનાવ્યા. પ્રવાળાના હાથ પગ રચ્યા. છિદ્રવાળુ પહેલું ઉદર રચ્યું. તાળવાના ભાગમાં છિદ્ર કર્યું અને તેની ઉપર સુવર્ણમય કમળનું ઢાંકણું કર્યું. તેમજ બીજા બધા અવયવો અતિ રમણીય બનાવ્યા અને તે પ્રતિમાવાળા ઓરડાની ફરતી દીવાલ રચાવી, તેમાં તાળાં દીધેલા કમાડવાળા છ દ્વારા કરાવ્યા. તે દ્વારની આગળ નાના નાના છ ઓરડા કરાવ્યા અને પ્રતિમાની પછવાડાની ભીંતમાં એક એક બાજુ દ્વાર પડાવ્યું. પછી એ પ્રતિમાના તાળવા ઉપર સર્વ આહારનો એક પિંડ મૂકી તે પર સુવર્ણકમળ ઢાંકી દઈને મલ્લીકુમારી પ્રતિદિન ભોજન કરવા લાગ્યા.
આ બાજુ છ રાજાઓએ મલ્લીકુમારીનો હાથ ગ્રહણ કરવા માટે જે દૂતો રવાના કર્યા હતા તે બધા એકી સાથે કુંભ રાજા પાસે આવ્યા અને છયે દૂતોએ પોતપોતાના રાજાની પ્રશંસા કરીને મલ્લીકુમારીના વિવાહ પોતાના રાજા સાથે યોજાય તેવી પ્રાર્થના કરી.
છયે દૂતોની વાત સાંભળીને કુંભ રાજાએ કહ્યું : “આવી અઘટિત પ્રાર્થના કરનારા રાજાઓ કોણ છે ? મારે કન્યારત્ન ત્રણ જગતમાં શિરોરત્ન સમાન છે. તેને પરણવા માટે ઇન્દ્રાદિક દેવતાઓની પણ યોગ્યતા નથી. તમે જેવા આવ્યા છો તેવા ચાલ્યા જાઓ...”
દૂતો તરત જ પોતાપોતાના સ્થાને ચાલ્યા ગયા અને પોતપોતાના સ્વામીને કુંભ રાજાનો સંદેશો જણાવ્યો.
કુંભરાજાના ઉત્તરથી છયે રાજાઓ ક્રોધાયમાન થયા અને કુંભરાજાને મહાત કરવા માટે વિશાળ સેના લઈને મિથિલાનગરીના પાદરમાં આવી પહોંચ્યા અને નગરીની ફરતે ઘેરો ઘાલ્યો.
થોડા દિવસો સુધી ઘેરો રહેલો હોવાથી કુંભરાજા ચિંતિત બન્યા હતા ત્યારે મલ્લીકુમારીએ પિતાને પ્રશ્ન કર્યો : “પિતાજી, આપ ચિંતાગ્રસ્ત છો. આપને કઈ ચિંતા સતાવી રહી છે?”
કુંભરાજાએ મલ્લીકુમારીને પોતાની ચિંતાનું કારણ જણાવ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org