________________
હવે આપણે વિચાર કરીએ કે કર્મ, જીવ ઉપરથી ખસે કેવી રીતે ? કર્મ બે રીતે જીવનો સંગ છોડે છે. એક તો કર્મ જ્યારે ઉદયમાં આવે ત્યારે તેનો સારો-માઠો પ્રભાવ બતાવીને તે જીવથી અલગ થઈ જાય છે. બીજી પણ એક વિશિષ્ટ રીત છે કે જેમાં કર્મ પોતાનો પ્રભાવ ન બતાવી શકે અને ઉદયમાં આવીને તે જીવથી અલગ થઈ જાય કે તેને અલગ થઈ જવું પડે. પહેલી રીતને વિપાકોદય કહે છે જ્યારે બીજી રીતને પ્રદેશોદય કહે છે.
કર્મની જીવથી અલગ થઈ જવાની પ્રક્રિયાને નિર્જરા કહે છે. જીવ જાતે સભાનતાપૂર્વક કંઈ ન કરે તો પણ સમયસર અનેક કર્મો ઉદયમાં આવતાં જાય અને આત્માથી અલગ થતાં રહે તેને અકામ નિર્જરા કહે છે. પણ જ્યારે સભાનતાપૂર્વક કર્મને ખસેડવા માટે કંઈ પ્રયાસ કરે, કંઈ વિધિ-વિધાન કે અનુષ્ઠાન કરે અને તેને પરિણામે કર્મના થોકેથોક આત્મા ઉપરથી ખસી જાય તેને સકામ નિર્જરા કહે છે.
જીવ જ્યારે કર્મને આવતાં સદંતર રોકી લે અને પોતાના સાથમાં રહેલાં બધાં જ કર્મ ખંખેરી નાખે ત્યારે તે બિલકુલ શુદ્ધ સ્વરૂપમાં આવી જાય છે અને આત્મા સોળે કળાએ પ્રકાશી ઊઠે છે. અહીં આત્મા પરમાત્મા થઈ જાય છે.
કર્મની નિર્જરાની વાત તો સમજ્યા પણ હજુ કર્મના સંવર વિશે થોડોક વધારે વિચાર કરવો પડશે. સંવર આત્માની જાગૃતિ અને વિશિષ્ટ પ્રયાસ માગી લે છે. નિર્જરા તો જાણતાં કે અજાણતાં સધાઈ શકે પણ સંવર સાધવા સભાનતાપૂર્વક પ્રયાસ કરવો પડે છે.
કર્મસાર
Jain Education International
For Private & Personal Use Only
૭૭
www.jainelibrary.org