________________
નવ તત્ત્વોની સમાલોચના કરીએ તો જીવ એ પહેલું તત્ત્વ છે જેને કેન્દ્રમાં રાખીને અજીવ તત્ત્વનો એટલે કર્મપુદ્ગલોનો વિચાર કરવામાં આવે છે. જીવની સાથે જડાયેલું જડ એવું કર્મ તેનો અજીવ તરીકે વિચાર થાય છે જે બીજું તત્ત્વ છે. જીવનો જડ સાથેનો સંબંધ એટલે કર્મ સાથેનો સંબંધ તે બંધ નામનું તત્ત્વ. પુણ્ય અને પાપ બંધ તત્ત્વની અંતર્ગત આવી જાય. આત્માના કર્મ સાથેના સંયોગને આસ્રવ કહે છે. કર્મના પ્રવાહને રોકવામાં આવે તે સંવર તત્ત્વ અને કર્મની જીવથી છૂટા પડવાની પ્રક્રિયા તે નિર્જરા. નિર્જરામાં સકામ નિર્જરા આવે અને અકામ નિર્જરા પણ આવી જાય. જીવનો કર્મ સાથેનો સંબંધ એટલે સંસાર અને જીવની કર્મમાત્રના બંધનમાંથી મુક્તિ તે મોક્ષ. આમ મોક્ષ એ નવમું અને ચરમ તત્ત્વ છે. કર્મસહિત જીવ એટલે જીવાત્મા, કર્મવિહીન જીવ એટલે પરમાત્મા. પરમાત્માની સંભાવનાવાળો પણ કર્મથી લેપાયેલો જીવ તે જીવાત્મા, જે નવ તત્ત્વનું પહેલું પગથિયું છે. પરમાત્મપદ ઉપર પહોંચેલો જીવ એટલે સિદ્ધપરમાત્મા.
છ દ્રવ્યો સંસારની સૃષ્ટિની સંરચના સમજાવે છે તો નવ તત્ત્વો જીવને જડ એવા કર્મથી વિમુક્ત થવા માટેનાં તત્ત્વો સમજાવીને છેવટે જીવના ચરમ ઉત્કર્ષ એવા મોક્ષ તત્ત્વને સ્પર્શે છે જ્યાં પહોંચીને જીવ કૃતકૃત્ય થઈ જાય છે. ત્યાર પછી જીવને કશું મેળવવાનું કે કંઈ કરવાનું બાકી નથી રહેતું. મોક્ષ શબ્દ જ એ વાતનો સૂચક છે કે બંધનમાંથી જીવનો મોક્ષ થયો - મુક્તિ થઈ ગઈ. મોક્ષ થયા પછી આત્માને ફરીથી સંસારમાં આવવું પડતું નથી. જો મોક્ષ પ્રાપ્ત થયા પછી પણ જીવને નીચે પડવાપણું રહેતું હોય તો મોક્ષની કિંમત પણ
૪૮
જૈન ધર્મનું હાર્દ
Jain Education International
—
For Private & Personal Use Only
www.jainelibrary.org