________________
આપણે જીવની ભવભ્રમણની દુ:ખદ અને પરાધીન અવસ્થા માટે કર્મને જવાબદાર ગણ્યું છે અને આત્માની કર્મરહિત અવસ્થાને મોક્ષ ગણ્યો છે. તેથી આપણી સમગ્ર સાધનાવ્યવસ્થા કર્મથી છૂટવા માટે ગોઠવાયેલી છે. કર્મને જ આપણે જીવના વિકાસને રૂંધનાર પરિબળ ગણ્યું છે તેથી આપણી લડાઈ કર્મ સાથે છે. કર્મરહિત થવા માટે સંઘર્ષ કરવો પડે, પ્રબળ પુરુષાર્થ કરવો પડે. તેમાં કોઈની કૃપા ન ચાલે. આપણને તેમાં કોઈ સહાય ન કરી શકે. આમ જૈન ધર્મ પુરુષાર્થપ્રધાન બની રહ્યો છે, જ્યારે અન્ય ધર્મોમાં ઈશ્વરની કૃપાને અવકાશ હોવાથી તેઓ બીજી રીતે સર્વેસર્વા ઈશ્વરની શરણાગતિ અને તેની કૃપાને માર્ગે મોટે ભાગે ફંટાઈ ગયા છે. કર્મની પદાર્થ તરીકેની આપણી ધારણા સૌ ધર્મોથી વિશિષ્ટ છે અને તેથી આપણો કર્મવિચાર કર્મવિજ્ઞાન બની રહે છે. અન્ય ધર્મોમાં કર્મ વિશે વિચાર થયો છે પણ ઈશ્વરને કર્મની ઉપર ગણવાને કારણે તેમજ કર્મને કેવળ કૃત્ય ગણવાને કારણે તેઓ કર્મને વિજ્ઞાનના માળખામાં ઢાળી શક્યા નથી. જૈન ધર્મ કર્મ વિશે જે સૂક્ષ્મ વિચારણા કરી છે તેવી અન્ય ક્યાંય જોવા મળતી નથી.
જૈન ધર્મની અહિંસા વિશિષ્ટ છે અને ધર્મનું જ્વલંત સ્વરૂપ છે. વાસ્તવિકતામાં મનુષ્ય ઊર્જાનો એક પુંજ છે. ઊર્જામાં અનર્ગળ શક્તિ રહેલી છે. શકિત વહ્યા વિના રહેતી નથી. કાં તો તે સર્જનાત્મક માર્ગે વહે અથવા તો તે વિનાશ તરફ વહે. આપણા હાથમાં માનો કે મશાલ છે. તેનાથી અંધકાર મિટાવી શકાય કે ઘર પણ સળગાવી શકાય. સાગરમંથન કરતાં
Ε
Jain Education International
For Private & Personal Use Only
જૈન ધર્મનું હાર્દ
www.jainelibrary.org