________________
નવકારનો મહિમા ગમે તેટલો મોટો હોય, પરન્તુ જ્યાં સુધી તેમાં ચિત્ત એકાગ્ર ન બને, ત્યાં સુધી તેને ગણવાનું શું ફળ?
એ યાદ રાખવું જોઈએ કે-શ્રી નવકાર અને તેની અંતર્ગત ૨હેલા પંચ પરમેષ્ઠીઓ આ જગતમાં પરમ મંગળરૂપે છે, પ૨મ લોકોત્તમ છે, પરમ શરણરૂપ છે, તો પણ તેઓની મંગળમયતા, લોકોત્તમતા કે શરણરૂપતાનું ભાન સર્વને એક સરખી રીતે થઈ શકવું સંભવિત નથી. લક્ષ્મીની મહત્તાનું ભાન થવા માટે નિર્ધનતાના દુઃખનું ભાન જેમ આવશ્યક છે, તેમ શ્રી અરિહંતાદિ પંચ પરમેષ્ઠીઓની મહત્તાનું ભાન થવા માટે તેમના સિવાયની સર્વ વસ્તુઓની તુચ્છતાનું ભાન થવાની પ્રથમ જરૂર છે. દરિદ્રતાના દુઃખને દુઃખ તરીકે નહિ સમજી શકનારને લક્ષ્મી પ્રત્યે તેવી જાતિનો પ્રેમ કદી પણ પ્રગટી શકતો નથી. તેવી જ રીતે સાંસારિક પદાર્થોની અમાંગલિકતા, અલોકોત્તમતા કે અશરણતાને નહિ પિછાની શકનારા આત્માઓના અંતરમાં પણ પરમેષ્ઠીઓ પ્રત્યે પ્રેમ પ્રકટી શકવો અશક્ય છે. આજે નવકાર ગણનારને તે ગણતી વખતે પણ ચિત્તની એકાગ્રતા થઈ શકતી નથી. તેમાં આ પણ એક કારણ છે.
જેઓએ આ સંસારની અશરણતા, તુચ્છતા અને અમંગળતાને સારી રીતે ભાવિત કરેલી છે, તેઓનું મન તો નવકાર ગણતી વખતે કે નહિ ગણતી વખતે પંચ પરમેષિઠીઓમાં જ રમણ કરે છે. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજ યોગદૃષ્ટિની સજ્ઝાયમાં ફ૨માવે છે કે
“મન મહિલાનું રે વહાલા ઉપરે, બીજા કામ કરત તેમ શ્રુત ધર્મે રે એહનું મન રહે, જ્ઞાનાક્ષેપકવંત.
ધન ધન શાસન શ્રી જિનવરતણું ૧”
‘‘આક્ષેપક જ્ઞાનવાળાનું મન, અર્થાત્ સંસારની અસારતાદિ સમજનારા મહાપુરુષોનું મન હંમેશાં શ્રુતધર્મ અને ઉપલક્ષણથી ચારિત્રધર્મમાં આસક્ત રહે છે. જેમ અનેક કાર્યો કરવા છતાં સતી સ્ત્રીઓનું મન પતિ ઉપર જ રહે છે.’’
શ્રી નવકાર પણ મહાશ્રુત છે. તેના ઉપર તેનું જ ચિત્ત આસક્ત બને છે, કે જેને શ્રી નવકાર સિવાય અન્ય પદાર્થોની અસ્થિરતા, અહિતકારિતા અને વિનાશશીલતાનું યથાર્થ ભાન પ્રગટ્યું હોય છે. એ ભાન જેટલા અંશે સતેજ, તેટલા અંશે શ્રી નવકારને વિષે ચિત્તની એકાગ્રતા અધિક, એ ભાન જેટલા અંશે મંદ, તેટલા અંશે શ્રી નવકારને વિષે ચિત્તની એકાગ્રતામાં પણ મંદતા.
આથી એ વસ્તુ સ્પષ્ટ થઈ જાય છે. કે શ્રી નવકારને ગણનાર જો તેમાં એકાગ્ર ન બની શકતા હોય તો તેમાં દોષ તેઓના પ્રમાદનો છે. તેઓએ શ્રી નવકારની સારભૂતતા અને અન્ય પદાર્થોની અસારભૂતતા અસ્થિરમા બને એ માટે પ્રયત્ન કરવા કટિબદ્ધ થવું જોઈએ.
અને જ્યાં એ પ્રયત્ન કર્તવ્ય ભાસ્યો ત્યાં નિરન્તર શ્રી જિનવચનશ્રવણ, નિત્ય નવીન શ્રુતાભ્યાસ, સમ્યજ્ઞાન અને સમ્યજ્ઞાનીની અંતરંગ ભક્તિ આદિ કર્તવ્યો આપોઆપ જીવનમાં આવી જશે, સમસ્ત શ્રી જિનશાસન અને તેની સઘળી મર્યાદાઓ મહાન આશીર્વાદરૂપ સમજાશે અને એ મર્યાદાને જાળવનારા, પાળનારા અને ઉપદેશનારા આ જગતમાં મહાકલ્યાણ સાધનારા સત્પુરુષો છે એવો પ્રતિભાસ થશે.
અને એ રીતે અભ્યાસ કરતાં એક વખત શ્રી નવકાર પ્રત્યે હાર્દિક પ્રેમ જાગી જાય તો એ અમૃતનો સ્વાદ પછી ભૂલાવાનો નથી. ‘એક વખત જેણે અમૃતનો સ્વાદ ચાખ્યો છે તેને પછી અન્ય ભોજનો સદા તુચ્છ લાગ્યા કરે છે.' એ ન્યાયે એક વખતે શ્રી નવકારની પરમ માંગલિકતા, પરમલોકોત્તમતા અને પરમશરણભૂતતા સમજાઈ જાય તો પછી સમસ્ત સંસા૨માં તેને છોડીને બીજા કોઈ પણ સ્થાને આત્માને રતિ થવી શક્ય નથી.
શ્રી નવકારનુ ઉપધાન
Jain Education International
For Private & Personal Use Only
૭૩
www.jainelibrary.org