________________
સ્વભાવ-પરિવર્તનનું બીજું સોપાન ક ક્રોધ ખરાબ કેમ છે? શાથી તેને હું છોડવા ઇચ્છું છું? જો તે ખરાબ ન હોય તો તેને છોડવાની કોઈ જરૂર નથી.
શું ક્રોધ ખરાબ છે? – આનું હું વિશ્લેષણ કર્યું. તેનું વિશ્લેષણ કરતો જાઉં. અનુપ્રેક્ષા કરું, ઊંડાણમાં ઊતરું અને અપાય વિચય ધ્યાનની સ્થિતિએ પહોંચી જાઉં. ત્યાં મને જણાશે કે ક્રોધ એક પ્રકારનો તાવ છે. આ તાવ શરીરમાં ઊતરે છે ત્યારે શરીરને તોડે છે અને શક્તિઓને ક્ષીણ કરી નાખે છે. ક્રોધ મગજનો તાવ છે, હ્રદયનો તાવ છે, અને એડ્રીનલ ગ્રન્થિનો તાવ છે. એ ત્રણેયની શક્તિઓને ક્ષીણ કરે છે. માણસ ક્રોધ કરે છે ત્યારે સર્વ પ્રથમ તેનો પ્રહાર મગજ પર થાય છે. મગજ તાવથી પીડાય છે. એ સમયે ગજબનો ઉશ્કેરાટ થાય છે અને એટલી બધી ઊર્જા ખર્ચાય છે કે સખ્ત બેચેની લાગે છે અને તમામ અંગઅવયવ ગરમ ગરમ હોય એમ લાગે છે.
ક્રોધનો બીજાં પ્રહાર હ્રદય પર થાય છે. ક્રોધ આવતાં જ હૃદયના ધબકાર વધી જાય છે. તેની ગતિ તેજ બની જાય છે અને અસ્વાભાવિકપણે તેને કામ કરવું પડે છે.
ક્રોધનો ત્રીજો પ્રહાર એડ્રીનલ ગ્રન્થિ પર થાય છે. ક્રોધ આવતાં જ એડ્રીનલ ગ્રન્થિને વધુ સ્રાવ કરવો પડે છે અને તેની શક્તિઓ ક્ષીણ થવા લાગે છે. આમ મગજની, હૃદયની અને એડ્રીનલ ગ્રન્થિ – આ ત્રણેયની શક્તિ ક્ષીણ થાય છે. મગજ, હૃદય અને એડ્રીનલ ગ્રન્થિ – આ ત્રણેય જીવનનાં મહત્ત્વપૂર્ણ અંગ છે. ક્રોધના કારણે આ ત્રણેયની શક્તિઓ ઘસાય છે, ઘટે છે. મગજની શક્તિઓ ક્ષીણ થાય છે ત્યારે સમગ્ર નાડીતંત્રમાં ગરબડ ઊભી થાય છે. હૃદયની શક્તિઓ ક્ષીણ થાય છે ત્યારે સંપૂર્ણ લોહી-ભ્રમણ આઘુંપાછું થઈ જાય છે. અને એડ્રીનલ ગ્રન્થિની શક્તિઓ ક્ષીણ થાય છે ત્યારે માણસની કર્મણા શક્તિનો નાશ થાય છે—આ છે ક્રોધનાં પરિણામ. આ તેનો વિપાક વિચય છે. અનુપ્રેક્ષા કરતાં કરતાં જ્યારે હું તેના પરિણામ સુધી પહોંચું છું ત્યારે મને લાગે છે કે ક્રોધ ઓછો કરવો જોઈએ, મારે કોધને છોડવો જોઈએ.
તોય પ્રશ્ન તો થાય છે: શું હું ક્રોધને છોડી શકું છું? સાધક આ પ્રશ્ન પર વિચાર કરે છે. વિચાર કરતાં કરતાં સાધક એ તથ્ય પર પહોંચે છે કે પોતાનામાં ઘણી બધી ક્ષમતા છે. હું ક્રોધને છોડી શકું છું. આ વિચારમંથનથી તે અનુપ્રેક્ષાના આગળના સોપાને પહોંચી જાય છે. એ વિવેક પર આવીને ઊભો રહે છે.
કાયોત્સર્ગનું ત્રીજું સૂત્ર છે: વિવેક. સાધક વિચારે છે કે હું ક્રોધને એટલા માટે છોડી શકું છું કે હું ક્રોધ નથી. ક્રોધ મારો સ્વભાવ નથી. ક્રોધ મારો સ્વભાવ હોત તો હું કયારેય ક્રોધ ન છોડી શકું. કોઈ પણ માણસ પોતાનો સ્વભાવ નથી છોડી શકતો. પરંતુ ક્રોધ મારો સ્વભાવ નથી, સ્વરૂપ નથી. હું ક્રોધ નથી. હું તેનાથી ભિન્ન છું. હું તો જ્ઞાનમય છું. દર્શનમય છું. આનંદમય છું હું તો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org