________________
આપણી સમક્ષ બે જગત છે. એક છે વ્યક્ત જગત અને બીજું છે અવ્યક્ત જગત. એક છે સ્થૂળ જગત અને બીજું છે સૂક્ષ્મ જગત. બંને જગતની અવસ્થાઓમાં આપણે જીવીએ છીએ. કયારેક આપણે વ્યક્તથી અવ્યક્તની તરફ જઈએ છીએ તો કયારેક આપણે અવ્યક્તથી વ્યક્ત તરફ જઈએ છીએ. કયારેક સ્થૂળ અવસ્થાઓની અનુભૂતિ કરીએ છીએ તો કયારેક સૂક્ષ્મ અવસ્થાઓમાં વિચરણ કરવા લાગીએ છીએ. માણસ જ્યારે અવ્યક્તથી વ્યક્તની તરફ આવે છે ત્યારે એક નવી અવસ્થા ઊભી થાય છે. માણસ સામાજિક બની જાય છે. માણસ જ્યારે અવ્યક્ત અવસ્થામાં જ રહે છે ત્યારે એ માણસ જ રહે છે, તે સામાજિક નથી બનતો.
આપણું કર્મ-શરીર, આપણી મૂર્છા અને આપણા ભાવ ~ આ અવ્યક્ત જગત છે. ત્યાં બીજા કોઈનો સંપર્ક નથી થતો. વ્યક્તિ કર્મ-શરીરમાં જીવે છે. એ તેનું વ્યક્તિગત જીવન છે. વ્યક્તિ ભાવમાં જીવે છે. ભાવ વ્યક્તિનું વૈયક્તિક સ્વરૂપ છે. મૂર્છા પણ વૈયક્તિક છે. માણસ જ્યારે મૂર્છાનું અતિક્રમણ કરીને રાગમાં પ્રવેશ કરે છે, રાગની ચેતનામાં આવે છે તેવો જ એ માણસથી સામાજિક બની જાય છે. સામાજિકતાનું પહેલું બિન્દુ છે, રાગ. જે રાગનું આદિબિન્દુ છે તે તાણનું – તનાવનું આદિબિન્દુ છે. જ્યાંથી સામાજિકતા શરૂ થાય છે ત્યાંથી તાણ શરૂ થાય છે. તાણ અને સામાજિકતાનું અસ્તિત્વ અલગ અલગ નથી. જ્યાં સુધી માણસ માણસ છે ત્યાં સુધી તાણ ઘણે ઊંડે હોય છે આથી તેની અનુભૂતિ નથી હોતી. પરંતુ માણસ જેવો સામાજિક બને છે તેવી જ તાણ પ્રકટ થવા લાગે છે, તેની અનુભૂતિ થવા લાગે છે.
તાણનું આદિબિન્દુ છે – રાગ, પ્રિયતાની અનુભૂતિ, કામના. રાગથી તાણ શરૂ થાય છે. પ્રિયતાની અનુભૂતિથી તાણની શરૂઆત થાય છે. કામથી — સેકસથી તાણ ઉત્પન્ન થાય છે.
રાગ ન હોય તો માણસ સામાજિક નથી બની શકતો. એકથી બીજાને જોડનાર છે, રાગ, રાગ અરસપરસનો અનુબંધ કરે છે. જ્યાં અરસપરસતા થઈ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org