________________
૨૩.
રાતના બે વાગ્યે
સેતેશ્નોને રાજાજીએ લા વાલિયેરના પૂર્વજીવન વિશે સાચી માહિતી એકઠી કરી લાવવાનું કામ સોંપ્યું, એટલે તેના પગને પાંખો આવી હોય તેમ તે ઊડ્યો. તેને એવો વિચાર આવ્યો કે, દ ગીશે લા વાલિયેરને મૅડમની તહેનાત-બાજુ તરીકે દાખલ કરાવી હોવાથી, તેની પાસેથી કદાચ જલદીથી સમાચાર મળી શકશે. તેની યોજના એવી હતી કે, જો લા વાલિયર વિષે સારા જ સમાચાર મળે, તો તો રાજાને એના પ્રેમમાં આગળ વધવામાં મદદ કરવી, અને રાજાને આભાર નીચે દબાવવો; પરંતુ જો એને વિશે ભૂંડા સમાચાર જ મળે, તો રાજાનું મન લા વાલિયેર ઉપર કેટલાં ચોંટયું છે તે જાણી લઈ, એ છોકરીને દરબારમાંથી હાંકી કાઢવાની વેતરણ કરીને, મૅડમ, રાણી વગેરે જે બધી સ્ત્રીઓ રાજાનો પ્રેમ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરતી હોય, તેમને આભાર નીચે લાવી મૂકવી, અને તેમના સૌના માનીતા થઈ જવું. આમ એને તો બંને રીતે લાભ જ લાભ દેખાતો હતો.
અને રાજાને જો લા વાલિયર ઉપર ગાંડો જ પ્રેમ હોય, છતાં લા વાલિયર બાબત ભૂંડા સમાચાર મળ્યા હોય, તો પોતે તેની બધી વાત જાણે છે એમ લા વાલિયેરને ખબર પડવા દેવી, અને છતાં પોતે તેના ઉપર મહેરબાની કરી, રાજાને એ વાત કહી દેતો નથી એમ જણાવી, તેને દબાણ નીચે રાખવી. પછી તેને રાજાની સેવા બજાવવા દ્વારા જે કંઈ લાભો મળે, તેમાંથી હિસ્સો મેળવવાની ગણતરી રાખવાનું પણ સેતિગ્નો ચૂક્યો નહીં !
૧૬૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org