________________
તા. ૬-૮-૯૫, રવિવાર.
અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્માઓ જગતના જીવમાત્રને સાચા અંતિમ સુખની પ્રાપ્તિ કરાવવા ધર્મતીર્થની સ્થાપના કરે છે.
આ જગતમાં બાહ્ય સુખ કરતાં આંતરિક સુખ ચઢિયાતું છે. આંતરિક સુખ જ વાસ્તવમાં ખરું સુખ છે. ભૌતિક દૃષ્ટિએ પણ સાચા સુખની વ્યાખ્યા કરતાં આંતરિક સુખને જ સાચું સુખ કહેવું પડે.
ભૌતિક દૃષ્ટિએ પણ આંતરિક સુખ એ જ ખરું સુખ, આંતરિક દુઃખ એ જ ખરું દુઃખઃ
અનંત કાળથી જીવ મોટામાં મોટી ભ્રાંતિ લઈને ફરે છે. તે બાહ્ય સુખને જ સુખ માની બેઠો છે. આંતરિક સુખને સુખ માનવા તૈયાર જ નથી. આંતરિક સુખની વાત કરીએ ત્યારે આત્માને તે કાલ્પનિક સુખ લાગે છે કે આ તો મન મનાવી લેવાની વાત છે; મનને સમજાવીને ઊભું કરેલું કલ્પનાનું સુખ છે તેમ કહે છે. વળી કહે છે, ભૂખ લાગે ત્યારે કાંઈ વિચારો કરવાથી પેટ નથી ભરાતું, ખોરાક ખાવાથી જ ભૂખ ટળે છે. સ્વાદ લેવાનો ઉપાય પણ ખાવું તે જ છે. આમ, જીવ બાહ્ય સુખને જ સાચું સુખ માનીને ચાલે છે. પરંતુ જીવની આ ભારે ગેરસમજ છે.
ગમે તેટલાં બાહ્ય સુખનાં સાધનોને તમારી સામે મૂકવામાં આવે, પણ જો તમારું મન દુઃખથી વ્યાપ્ત હશે તો બધાં સુખ ધૂળધાણી બરાબર છે. માટે આંતરિક સુખ જ પ્રધાન છે, તે જ અગત્યનું છે તેમ શાસ્ત્ર કહે છે. આ વાત બુદ્ધિમાં બેસવી જોઇએ. જે વ્યક્તિ જીવનમાં મનને શાંત-સ્વસ્થ નથી કરી શકતો તે દુનિયામાં ગમે ત્યાં જાય તો પણ તે પોતાને સુખી નથી કરી શકતો. તમે આ દુનિયામાં બધા દેવ-દેવીઓને પ્રસન્ન નહિ કરો તો ચાલશે, પણ મનરૂપી દેવતાને ખુશ કરશો તો જ તમારું જીવન આનંદમય થશે, અને તે નહિ કરી શકો તો બધા દેવી-દેવતા કદાચ ખુશ થઈને તમને વરદાન આપશે, તો પણ તમારું જીવન ત્રાસમય અને સંતાપમય જ રહેશે. જો આ વાત મનમાં પાકે પાયે બેસી જાય તો જીવ આંતરિક સુખ માટે
મનોવિજય અને આત્મશુદ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org