________________
કષાયનો જન્મ જેમ અજ્ઞાનમાંથી થાય છે તેમ તમે અવાસ્તવિક દૃષ્ટિકોણવાળા બનો તો જ કષાયો પેદા થાય છે. જેમ કે રાગ પેદા થાય છે ત્યારે, જે તમારું નથી તેને તમે તમારું માનો છો માટે મમતા થાય છે. જડ પુદ્ગલ તમારાં નથી તે નક્કર સત્ય છે. આત્માને ન માનનારાને પણ આ વાત કબૂલ કરવી પડશે. આ નજરે દેખાતી વસ્તુ પર તમારું વર્ચસ્વ ખરું? વર્ચસ્વ હોય તો તે તાબામાં રહે. તાબામાં તો તમારી માલિકીની વસ્તુ જ રહે છે. પુદ્ગલને મરજી મુજબ છોડી શકો છો ખરા? મરજી મુજબ ભોગવી શકો છો? હકીકતમાં આવી સ્થિતિ તમે સ્થાપિત કરી શકો ખરા? જેમ તમે શરીર મારું બોલો છો પણ તમે ઇચ્છો ત્યાં સુધી સાથે રહેશે? તમે કહેશો ત્યારે જ છૂટું પડશે? જીવતાં પણ તેના પર કાબૂ ખરો? ઇચ્છા મુજબ ખાઈ શકો છો? ખાધેલું ઇચ્છા મુજબ પચે છે? પચીને ઝાડો સાફ આવી જાય તો સારું તેવી ઇચ્છા હોવા છતાં પણ ઝાડા-કબજીયાત થઇ જાય છે? માટે શરીર પર તમારો કંટ્રોલ નથી. છતાં તેને મારું માનો તો તે મિથ્યાદર્શન છે.
અવાસ્તવદર્શનથી કષાયજન્મ - વાસ્તવદર્શનથી કષાયજયઃ
બધા કષાયનો જન્મ મિથ્યાજ્ઞાનમાંથી છે. અવાસ્તવદર્શી દર્શનમાંથી તમામ કષાયોનો ઉદય થાય છે. બુદ્ધિને આ સમજાઈ જાય કે આ કષાયો દુઃખહેતુ છે, સ્વયં દુઃખ છે, તેનું ફળ પણ દુઃખ છે; આ જેને સમજાય તે કષાયોને સારા તો ન જ માને, તેમાં મજા પણ ન જ આવે. આપણા મનમાં કષાયો ઘર કરીને બેઠા છે, તે જ આપણો ડોબેક(ખામી) છે. આ મિથ્યાત્વની જડ છે. મિથ્યાત્વ અનંત કાળથી આત્માને ઘેરીને બેઠું છે. માટે જ તમને કષાયમાં પીડાનો નહિ,પણ મજાનો અનુભવ થાય છે. વાસ્તવમાં કષાય સંતાપરૂપ છે. આગમાં હાથ નાંખો તો ઠંડક? કે આગથી દૂર રહો તો ઠંડક? ત્રણ લોકમાં ત્રણ કાળમાં કોઇ દાવા સાથે કહી શકે કે મેં ક્રોધ કર્યો અને મને ઠંડકનો અનુભવ થયો? પેલી બહારની આગ છે જ્યારે આ અંદરની આગ છે. પરંતુ તમે તેને આગ નથી માનતા માટે જ આલિંગન આપો છો.
તેમ જયારે વ્યક્તિ ભાન ભૂલે અને અવાસ્તવદર્શી બને ત્યારે અહંકાર થાય. બુદ્ધિ, સત્તા, ગુણ, રૂપ, ધન આદિનો અહંકાર હોય છે. અંદરમાં જે ભાવ પેદા થયો કે હું સુપીરીયર છું પણ વાસ્તવમાં તમે કઈ બાબતમાં સુપીરીયર છો? તમે વિચારો છો કે હું ટોપ છું મારાથી ચઢિયાતું કોઈ નથી, પરંતુ બુદ્ધિમાં પણ તમારા કરતાં ઘણી મહાન વ્યક્તિઓ આ દુનિયામાં છે, સંપત્તિમાં પણ તમારાથી વધારે હશે. જયારે તમારાથી ઉપરની કક્ષાના તમને દેખાય નહિ ત્યારે અહંકાર આવે છે, જે વાસ્તવિક દૃષ્ટિ નથી. બીજાને તમારાથી હલકા જુઓ તેવી મૂઢતા આવે ત્યારે જ અહંકાર પેદા થાય છે, તેથી આ અવાસ્તવિક દર્શન છે.
* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *
* * *
* ૬૪
મનોવિજય અને આત્મશુદ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org