________________
તા. ૩૦-૭-૯૫, રવિવાર.
અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્માઓ જગતના જીવમાત્ર પોતાના મનના વિજેતા બને અને આત્માના શુદ્ધ બોધને પ્રાપ્ત કરે તેવા આશયથી ધર્મતીર્થની સ્થાપના કરે છે.
માન્યતા પલટવા માટે સમજાવટથી મન પાસે કબૂલાત કરાવવીઃ
ભગવાનનું શાસન જીવમાત્રને આંતરિક દષ્ટિએ વિજેતા બનવાનું કહે છે. આપણે ત્યાં સૌથી પહેલો નવકાર છે. તેમાં પણ પહેલા પદમાં કોને નમસ્કાર છે? જે આંતરિક જગતમાં વિજેતા છે, તેને જ આપણે નમસ્કાર કરીએ છીએ. જેઓ આંતરંશત્રુના વિજેતા બની મુક્ત થયા છે, જેમનું બધા શત્રુ પર વર્ચસ્વ છે તેવો જીવ, પછી ગમે ત્યાં હોય તો પણ તે અરિહંત તરીકે જ છે; અને તેને જ આપણે પૂજીએ છીએ. એટલે ધર્મના ક્ષેત્રમાં મનોવિજયની વાત છે. પણ મન આપણી સાથે એટલું બધું જોડાયેલું છે અને પાછું પોતાની શક્તિથી માતેલું પણ થયેલું છે, તેથી આખું જગત મનના ત્રાસથી ત્રાસેલું છે. બધાના જીવનમાં જે ધાંધલ ધમાલ છે, તે મનનું જ સર્જન છે. આખા સંસારને તે ટચલી આંગળી પર નચાવે છે, તે દાદા જેવું બની ગયું છે. તેને કાબૂમાં લેવું તે એક જબરદસ્ત કળા છે. તમારા શરીરને તમે જોહુકમી કે દબાણ દ્વારા કાબૂમાં લઈ શકો, હુકમ કરો તો તે સ્વીકારે; અરે ! ઇન્દ્રિયો પણ બળજબરાઈથી અનુકૂળ થશે; પણ મન પર જો બળજબરાઈ કરશો તો તે સવાયું તોફાન કરી તમને ઉડાડી દેશે. એટલા માટે શાસ્ત્રમાં લખ્યું છે કે મન ઉન્મત્ત હાથી જેવું છે. ઉન્મત્ત હાથીને જો મહાવત અંકુશ મારવા જાય તો તે તેને ફેંકી દે. આવું મન બળજબરાઈથી અંકુશમાં આવી શકે નહીં. તેથી તેનો વિજય કરવાની પદ્ધતિ બતાવતાં કહ્યું કે તેને જીતવાની ચાવી સમજણ છે. તેને મનાવી લો તો તે સારું કામ આપી શકે છે.
હવે સમજણથી કામ લેવું એટલે શું? મનને કન્વીન્સ(સ્વીકાર) કરાવવું. મન જાતે જો કબૂલ કરવા તૈયાર ન થાય તો તે આજ્ઞા સ્વીકારતું નથી, અનુસરતું નથી. પણ જો સમજણથી વાત તેને બેસી જાય તો તે અનુકૂળ વર્તન કરવા તૈયાર થાય છે. તમારે વ્યવહારમાં પણ નિયમ
* * * * * * * * * * * * * * * * * * * * * * * * * *
મનોવિજય અને આત્મશુદ્ધિ
* * * * * * * * * * * * * * * * * * * * * * * * *
૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org