________________
બધા દોષોનું મૂળ કારણ રાગ પરનો રાગ અને તેનો તીવ્ર આગ્રહ છે. જ્યારે જીવ રાગની વાસ્તવિક પીડાથી અકળાશે ત્યારે તેનો જે તીવ્ર આગ્રહ હતો તે તૂટશે, કારણ દોષમાં દુઃખનો અનુભવ થયો. જેને રાગમાં થોડે અંશે પણ દુઃખની અનુભૂતિ થઇ, તેને દોષમાં દુઃખની અનુભૂતિ થવાથી આત્મશુદ્ધિ આવી. કદાચ સમ્યગ્દષ્ટિની ચિત્તશુદ્ધિ ઓછી હોય અને અભિવ્યની ચિત્તશુદ્ધિ વધારે હોય છતાં બેમાં ઊંચો કોણ? સમ્યગ્દષ્ટિ જ.
સભા - અમે તો બીજાના ગુણમાં આનંદ પામીએ છીએ, અનુમોદના કરીએ છીએ.
સાહેબજી:- બીજાના ગુણમાં આનંદ ક્યાંથી પમાય? કારણ કે ગુણની અનુભૂતિ શક્ય નથી. જીવ પોતાના ગુણનો જ અનુભવ કરી શકે છે. માટે પોતાના ગુણમાં જ આનંદની અનુભૂતિ થાય. જયાં સુધી ગુણમાં સુખનો અનુભવ નથી, તેને ગુણોની સાચી અનુમોદના પણ ક્યાંથી હોય? દા.ત. જેને સ્ટ્રોંગ ચામાં ટેસ્ટ આવે છે તે કદાચ નુકસાનના કારણે ચા છોડશે, પરંતુ તે વખતે ખાલી તે ઇચ્છા જ દબાવશે; તેમ તમને જયાં સુધી દોષમાં મજા આવતી હશે ત્યાં સુધી તમે ભૌતિક સુખો માટે દોષોને દબાવશો તે પણ અનિચ્છાથી, અને ગુણો કેળવશો તો પણ તેમાં આનંદનો અનુભવ નહીં હોય, પણ અનિચ્છા જ હશે. જેમ કોઈ માણસ દૂધપાક પીવા બેઠો છે અને તે જ વખતે કોઈ કહે કે તેમાં ઝેર નાંખ્યું છે, તો તે પીધા વગર ઊભો થઇ જશે. અહીં તેણે દૂધપાક કેમ છોડ્યો? દૂધપાકનું આકર્ષણ નથી? દૂધપાક ભાવતો નથી માટે છોડ્યો ? કે પછી મરવાના ડરથી દૂધપાક છોડ્યો છે?
અત્યારે તમે રાગદ્વેષ કેમ છોડો છો? કર્મના ડરથી, દુર્ગતિના ભયથી, પાપના ભયથી છોડો છો. તેમ તમે પ્રસંગે તપશ્ચર્યાના નિમિત્તથી ખાવાપીવાનું સુખ છોડ્યું, તે કેમ છોડ્યું? શું ભૌતિક સુખ નથી ગમતું માટે? ના, ગમે છે ઘણું. પણ ત્યાગ કરવાથી થોડું પુણ્ય મળે અને થોડાં પાપ તૂટે.
સભા - અમને તો બેઉ ગમે છે.
સાહેબજી :- આ તો કેવું કહેવાય કે મને માંદા રહેવું પણ ગમે છે અને સાજા રહેવું પણ ગમે છે. આવું બોલનાર ચક્રમ જ કહેવાય ને? માટે ધર્મ ગમે છે અને અધર્મ પણ ગમે છે આવું કહેનારાને ખસી ગયેલા જ માનવા ને?
મનોવિજય અને આત્મશુદ્ધિ
૧૬૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org