________________
તા. ૨૦-૮-૯૫, રવિવાર.
અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્માઓ જગતના જીવમાત્રને અમનસ્કયોગની સિદ્ધિ કરાવવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે.
આત્મકલ્યાણના માર્ગમાં કરાતી યોગની સાધનામાં અંતિમ યોગ અમનસ્કયોગ છે, જેને પામ્યા પછી મન વિરામ પામે છે. જેમ મોક્ષે જવા દેહ-વાણી-ઇન્દ્રિયના બંધનમાંથી છૂટવાનું છે, તેમ મનના બંધનથી પણ છૂટવાનું છે. મોક્ષમાં પૂર્ણ આત્મા જ છે, આત્માથી ભિન્ન એવું મન ત્યાં નથી. અહીંયાં આપણે એક મિનિટ પણ મન વગર વિચારી શકીએ તેમ નથી. વિચા૨વા માટે પ્રબળ સહાયક સાધન મન છે, છતાં અંતે સાધકે તેને પણ તિલાંજલિ આપવાની છે. મૂળથી તે બંધન છે પણ અત્યારે તેને કેળવી સાધન તરીકે ઉપયોગ ક૨વાનો છે, પણ છેલ્લે તેનો ત્યાગ કરવાનો છે; અત્યારે શૂન્યમનસ્ક દશા પામવાની નથી, પરંતુ મનની મલિનતા-ગંદકીને કાઢીને પવિત્રતા-નિર્મળતાનો તેમાં વાસ કરાવવાનો છે.
આ જગતમાં આપણી નજીકમાં નજીક વસ્તુ મન છે. આપણો સ્વભાવ ગણો કે કુટેવ ગણો, પણ આપણને દૂરની વસ્તુમાં રસ છે, અને નજીકની વસ્તુમાં ઉપેક્ષા છે. જેમ તમે મુંબઇમાં રહો છો પણ જોવાલાયક સ્થળોનું આકર્ષણ સાઉથનું વધારે કે મુંબઇનું ? મુંબઇમાં રહેવા છતાં કદાચ અહીંયાંનાં બધાં આકર્ષક સ્થળો નહિ જોયાં હોય; પણ કાશ્મીર, સિમલા, સાઉથ બધે જોવા જઇ આવ્યા હશો. કારણ નજીકની વસ્તુની ઉપેક્ષા છે અને દૂરનું આકર્ષણ છે. જેમ તમારી સાથે રહેલો સગો ભાઇ કે દીકરા સાથે દિવસમાં અડધો કલાક વાત નહિ કરતા હો, પણ જો કોઇ દૂરનો મળે તો બે કલાક ચલાવો. તમારા બે દીકરામાંથી એક દીકરો પરદેશ રહેતો હોય, તો તમને ચિંતા કોની વધારે ? કદાચ લાગ આવે નજીકના દીકરા સાથે દરરોજ ટસલ થતી હોય, કારણ નજીકનાની ઉપેક્ષા-વાંધો છે, દૂરનાનું આકર્ષણ છે, રસ છે; માટે દુનિયાભરની ચિંતા કરીએ છીએ. પણ તે કરવાનું સાધન મન છે, જે તમને સૌથી નજીક છે અને તેને જ તમે ઓળખતા નથી. ચોવીસે કલાક સાથે રહેવા છતાં મનને ઓળખી શક્યા નથી. તમે બધી વસ્તુમાં નિષ્ણાત થયા પણ પોતાના મનને પારખવામાં અબૂઝ રહ્યા.
જ્ઞાનીઓએ મનનું આરપાર દર્શન કરવાનું કહ્યું છે. આ મનનું સ્વરૂપ, તેની વિશેષ
***********************
મનોવિજય અને આત્મશુદ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
૯૫
www.jainelibrary.org