________________
પ્રતિભા દર્શન
બહુમુખી પ્રતિભાઓ
> ૪૯૩
-પ્રા. ડૉ. ઉષાબહેન રામનારાયણ પાઠક
‘બહુમુખી પ્રતિભાઓ’ એ શીર્ષક નીચે ૨૪ વ્યક્તિઓનાં જીવન વ્યક્તિત્વ, અને કાર્યની આછેરી ઝલક આપવાનો પ્રયત્ન કર્યો છે. આ વ્યક્તિઓનું પ્રદાન જીવનના બહુવિધ ક્ષેત્રે રહેલું છે. ભિન્નભિન્ન પ્રકૃતિના, સમાજના અને નિરાળી પ્રતિભા ધરાવનારા આ મહાન વ્યક્તિત્વોમાં બે બાબતો સમાનરૂપે જોવા મળે છે. એક - તેઓ સ્વાતંત્ર્ય સંગ્રામના સેનાનીઓ છે- રાષ્ટ્ર પ્રત્યેનો સમર્પણભાવ - બીજી વાત - તેઓ ગાંધીના રંગે રંગાયેલા છે. ગાંધી વિચારધારા - જીવનમૂલ્યોને જીવનના આદર્શ તરીકે સ્વીકારીને જીવી ગયેલા, કાર્ય કરી ગયેલા મૂઠી ઊંચેરા માનવીઓ છે. સાહિત્યના વિવિધ પ્રકારોને ખેડનારા તેજસ્વી, અધ્યયનશીલ સારસ્વતો છે. સંસ્થાઓ સ્થાપનારા અને સંસ્થારૂપ બની રહેનારા સામાજિક કાર્યકરો છે. સમાજ સેવા અને મહિલા ઉત્કર્ષ માટે સતત કાર્યરત બહેનો છે. સ્વામી આનંદ ગાંધીજીના એક માત્ર સાધુ અનુયાયી છે. તો, ચમનભાઈ વૈષ્ણવ, સ્વામી શિવાનંદજી, મામાસાહેબ ફડકે, જુગતરામભાઈ દવે પણ સાધુચરિત વ્યક્તિઓ છે. તો ગૃહસ્થાશ્રમીઓ પણ ‘સાધુજનોનું યે હાડ બાંધનારા' જીવનના પ્રાપ્ત કર્તવ્યો નિષ્ઠાપૂર્વક કરનારાં, માત્ર સ્વ માટે નહિં પણ સમગ્રને માટે ઘસાઈ છૂટનારાં સજ્જનો - સન્નારીઓ છે. આ લેખમાળાના લેખિકા પ્રા. ડૉ. ઉષાબહેન રામનારાયણ પાઠક (એમ.એ.; પી.એચ.ડી.) ૧૯૬૩ થી ૧૯૯૮ સુધી ભાવનગરની શ્રીમતી ગાંધી મહિલા કોલેજમાં ગુજરાતી ભાષાસાહિત્યનાં એક સફળ અને વિદ્યાર્થીપ્રિય પ્રાધ્યાપિકા હતાં. પરંતુ એક વ્યક્તિ તરીકે નિરંતર વિકાસ કરતાં રહ્યાં છે તે આનંદ અને વિસ્મય જગાવે તેવી સાધના છે.
સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રીમ સેનાની માતા-પિતાથી જે કેટલાંક - આદર્શો - જીવનમૂલ્યો પામ્યાં એ તેમનું સદ્ભાગ્ય. તેઓ જીવનભર સતત જાગૃતપણે એ મૂલ્યોનું સંવર્ધન કરતાં રહ્યાં છે. વિદ્યાવ્યાસંગી સાહિત્યકાર પિતા પાસેથી વિદ્યાનો અને સ્વાધ્યાયનો વારસો મળ્યો. કોલેજના અધ્યાપનકાર્યની સાથે તેમની સાહિત્યિક પ્રવૃત્તિ પણ સતત ચાલતી રહી છે. ઇ. સ. ૧૯૫૫માં હેલસિંકી (ફિલેન્ડ)માં યોજાયેલ શાંતિપરિષદમાં વિદ્યાર્થી પ્રતિનિધિ તરીકે ભાગ લીધેલો, ત્યારે રશિયા અને ઝેકોસ્લોવેકિયાના પ્રવાસ કર્યા. ‘રશિયાનું આછેરું દર્શન’ એ શીર્ષક નીચે ‘જનસત્તા’ દૈનિકના મેગેઝિન વિભાગમાં પ્રવાસ સંસ્મરણોની તેમની લેખમાળા પ્રસિદ્ધ થયેલી.
ઇ. સ. ૧૯૯૯-૨૦૦૦માં કેલિફોર્નિયા (યુ.એસ.એ.)ની મુલાકાત લીધી ત્યારે ત્યાંની સ્થાનિક સંસ્થાઓ દ્વારા આયોજિત કાર્યક્રમોમાં પૂ. મહાત્મા ગાંધીજી, સરદાર પટેલ, લોકસાહિત્ય અને લોકવાર્તા, હિન્દુધર્મ, સાહિત્યમાં ભક્તિતત્ત્વ ઇત્યાદિ વિષયો પર વ્યાખ્યાનો આપેલાં. કેલિફોર્નિયામાં તેમનાં ચિત્રોનાં પ્રદર્શનો પણ ગોઠવાયા હતાં.
Jain Education Intemational
આકાશવાણી રાજકોટ પરથી તેમના પુસ્તક પરિચય-સમીક્ષાઓ, પ્રસંગકથા, હળવીશૈલીના વાર્તાલાપ, સાહિત્ય અને કલા વિષયક વાર્તાલાપ ઇત્યાદિ પ્રસારિત થતા રહ્યા છે. તેમણે સાહિત્યિક અને ચરિત્રાત્મક ગ્રંથોના ઉત્તમ સંપાદનો આપ્યાં છે. તો મૌલિક સર્જનોમાં ટૂંકી વાર્તાઓ, ચરિત્રાત્મક લેખો, અને પ્રવાસવર્ણનો મુખ્ય છે. ગમી ગયેલી કૃતિઓનો અનુવાદ તેમની પ્રવૃત્તિ રહી છે. અંગ્રેજી અને હિન્દીમાંથી વાર્તાઓ અને શિક્ષણવિષયક અનુવાદો કર્યા છે.
કોલેજમાંથી નિવૃત્ત થયા પછી લેખન અને ચિત્ર તેમનો મુખ્ય પ્રવૃત્તિ રહ્યાં છે. હાલમાં રામનારાયણ ના. પાઠક (તેમના પિતાશ્રી)નાં અગ્રંથસ્થ સાહિત્યનું તેઓ સંપાદન કરી રહ્યાં છે. સાહિત્ય, ચિત્રકળા, સંગીત, કૃષિ વગેરે અનેક ક્ષેત્રે સતત કાર્યરત ઉષાબહેન મિત્ર પરિવાર અને અન્ય સામાજિક સંબંધોમાં પણ પ્રવૃત્ત રહી બધાની ચાહના મેળવી શક્યાં છે. ‘વિદ્યા વિનયથી શોભે છે' એ પ્રચલિત ઉક્તિનું સાર્થક્ય ઉષાબહેનના વ્યક્તિત્વમાં દીપે છે. ‘આંબો ફળે ત્યારે નમે’. ઉષાબહેનની અનેક ઉપલબ્ધિ છતાં તેમની નમ્રતા, ઋજુતા અને લાગણીસભર વ્યવહાર સૌને પ્રભાવિત કરે છે.
—સંપાદક
For Private & Personal Use Only
www.jainelibrary.org