SearchBrowseAboutContactDonate
Page Preview
Page 716
Loading...
Download File
Download File
Page Text
________________ 700 તપાગચ્છાધિષ્ઠાયક કહ્યાગરા પુત્રની અચળ ધર્મભાવનામાં આજ અચાનક આવો ગંભીર પલટો કેમ આવી પડ્યો તે એક કોયડો હતો. આ કોયડાનો ઉકેલ અશક્ય લાગતો હોવાથી માતાના અંતરની મૂંઝવણનો પાર રહ્યો ન હતો. એની ઉભય આંખોમાંથી શ્રાવણ અને ભાદરવાનાં નીર વરસી રહ્યાં હતાં. પોતાના માર્ગભૂલ્યા પુત્રને પાછો સત્યમાર્ગે વાળવા એ મનમાં ને મનમાં શ્રી જિનેશ્વર પરમાત્માને પ્રાર્થી રહી હતી. એટલામાં દાદર પર પડતાં કોઈનાં પગલાંનો અવાજ એના કર્ણપટ પર અથડાયો. શારીરિક સ્વસ્થતા જાળવવા તેણે તરત જ આંખોમાં ઊભરાઈ આવેલાં અશ્રુ પાલવની કોર વડે લૂછી નાખ્યાં. તરત જ માણેકશાહ શેઠની ધર્મપત્ની લક્ષ્મીવહુ સાસુની સન્મુખ આવી ઊભી. લક્ષ્મીવહુ ખરેખર લક્ષ્મીસ્વરૂપ જ હતી. સાસુના સ્નેહમાં તે માતૃપ્રેમનાં દર્શન કરી શકતી અને સાસુ તેને પોતાના પેટની પુત્રી પ્રમાણે જ ગણતી. આથી આ સાસુ-વહુ વચ્ચેનો સ્નેહ માતાપુત્રી જેવો જ હતો. " બેટી લક્ષ્મી ! શું આવી? કશું કામ છે?" – સાસુએ ચહેરા પર છવાયેલી શોકની રેખાઓને સ્થાને કૃત્રિમ હાસ્ય આણવાનો વ્યર્થ પ્રયાસ કરતાં કહ્યું. ચાલાક વહુ સાસુના શોકનો સઘળો ભેદ પામી ગઈ હતી. માણેકશાહશેઠની ધર્મભાવનામાં અચાનક આવી પડેલું પરિવર્તન સાસુના ભાવિક હૃદય પર કાતિલ અસર કર્યા વગર નહિ રહે, એ વાત વહુની ચકોર દષ્ટિથી છૂપી ન હોવાથી તે સાસુને ભોજન માટે બોલાવવા આવી હતી. " માતુશ્રી ! રસોઈ કયારની તૈયાર છે એ વાત તમે વીસરી ગયાં કે શું? મને થયું કે તમે કોઈ જરૂરી કામમાં ભોજનની વાત પણ ભૂલી ગયાં લાગો છો, એટલે અહીં બોલાવવા આવી. આપના કાર્યમાં કંઈ હરકત તો નથી આવી ને? " વહુએ જાણે કંઈ જ બન્યું ન હોય એવી રીતે કહ્યું. સાસુની ભોજનની ભૂખ તો ક્યારનીયે ભાગી ગઈ હતી, પરંતુ આ વાત વહુ પાસે શી રીતે વ્યક્ત કરવી તે તેને સૂઝતું ન હતું. " હા, ચાલો." – આટલું કહેતાં જ તે વહુ સાથે ભોજનગૃહમાં આવી અને પાટલા પર પોતાનું સ્થાન લીધું. વહુએ પીરસેલી થાળી સાસુના પાટલા પર મૂકી. "વહુ બેટા! આજે મેં એક પ્રતિજ્ઞા લીધી છે. " સાસુએ વાતની શરૂઆત માંડી. " પ્રતિજ્ઞા ! એ વળી કેવી ! " વહુએ આશ્ચર્યચકિત થઈ પૂછયું. " એ પ્રતિજ્ઞા એવી છે કે આજથી મેં ઘી-દૂધનો સદંતર ત્યાગ કર્યો છે." સાસુની આ વાત સાંભળી વહુનું હૃદય જાણે ઠરી ગયું. તેનું પ્રકાશમાન મુખમંડળ પ્રભાતના ચંદ્ર સમાન ફીકું પડી ગયું. સાસુની આ ઉગ્ર પ્રતિજ્ઞા સાંભળીને વહુનું અંતર દુઃખના દર્દથી દ્રવી ઊડ્યું. તેની બંને આંખો આંસુથી છલકાઈ ગઈ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy