________________
શાસનદેવી શ્રી પદ્માવતી માતા ]
[ ૨૩
શ્રી પદ્માવતીજીની આરતી અને સ્તુતિ
* પ્રેષક : ડો. કવિન શાહ રતિ-અરતિ દૂર કરનારી છે આરતી ! મોહ અને શોક ફેડનારી છે આરતી !
ધર્મનાં વિધિવિધાનોમાં આરતીનું સ્થાન મહત્ત્વનું છે. લય-તાલ-રાગ, જ્યોત, ઝાલર-નગારા-ઘંટનાદ સાથે કરાતી આરતી માનવીની ચેતનાને સતેજ કરી દેનારી છે. એમાં રહેલી એક ઊર્મિકાવ્યની ભાવપ્રણવતાનું માહાભ્ય ડો.કવિન શાહે સમજાવ્યું છે. એ સમજીને સ્વીકારીને, રચાયેલી આવી આરતી-સ્તુતિઓ હૃદયના શુદ્ધ ભાવોથી ગાઓ અને ગુલતાન બનો !
-- સંપાદક
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ભકિતમાર્ગ અને જ્ઞાનમાર્ગની રચનાઓમાં પદ સ્વરૂપનો વિશેષ વિકાસ થયેલો જોવા મળે છે. પદમાં ભકતહૃદયની ઊર્મિઓ શબ્દબદ્ધ થતી હતી, એ દષ્ટિએ એમાં ઊર્મિકાવ્યનાં લક્ષણો વિશેષ જોવા મળતાં હતાં. આરતી પણ ઊર્મિકાવ્યનો ઉત્કૃષ્ટ પ્રકાર છે.
ભારતીય સંસ્કૃતિમાં ધર્મ એક પ્રેરક અને ચિરંજીવ તત્ત્વ છે. વિવિધ ધર્મો અને સંપ્રદાયોમાં પ્રભુભકિતના પ્રાણ સમાન આરતીને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. આરતી એ ભકતની ભગવાન માટેની આર્ત ભાવના પ્રગટ કરવાનું સાધન છે. આરતી એ ઈષ્ટ દેવની પૂજા વખતે દીપક જ્યોત પ્રગટાવીને ઉતારવામાં આવે ત્યારે ગવાતું લઘુપદ છે. આરતી એ ધાર્મિક પ્રસંગની ઇતિશ્રીનું પણ પ્રતીક છે. ભકતજનોની ભાવવિભોર સ્થિતિ કે એકાગ્રતાનાં દર્શન આરતી ટાણે થાય છે. પ્રાતઃકાળ અને સંધ્યાકાળની આરતીનાં દશ્યો સાચે જ આકર્ષક અને ભવ્ય હોય છે. નિત્યક્રમ ઉપરાંત વિવિધ ધાર્મિક ઉત્સવોમાં પણ આરતી અનેરું સ્થાન ધરાવે છે. આરતીમાં ઈષ્ટદેવનું વર્ણન, પરાક્રમ, પ્રભાવ, સ્તુતિ, ગુણગાન, ફળશ્રુતિ આદિનો ઉલ્લેખ હોય છે.
- આરતી સમયનો ઘંટનાદ અને શંખનાદ, દીપકની જ્યોતનો પ્રકાશ, દીવડીઓનો ઝગમગાટ, માનવ મહેરામણની ઉપસ્થિતિ, વાજીંત્રોના સૂરમાં ગવાતી અને ઝીલાતી આરતીની પદાવલીઓ અને એ ગાતાં ગાતાં તાનમાં આવી જતાં ભકતજનોની તાળીઓનો લય - એ સર્વ સાચે જ એક લાક્ષણિક દશ્ય સર્જીને ભકિતભાવમાં લીન કરી દે છે !
શ્રી પદ્માવતી દેવીની પ્રસ્તુત આરતીમાં પદ્માવતીજીનો ઉલ્લેખ થાય છે તેમાં તેમનો ચિત્રાત્મક પરિચય મળે છે. તેમ જ પદ્માવતી દેવી સંકટનું નિવારણ અને મનોવાંછિત પૂર્ણ કરવાવાળી છે એવા નિર્દેશો પણ સાંપડે છે. અવિચળ શ્રદ્ધાપૂર્વક કરેલું કોઈપણ વિધિવિધાન હંમેશાં ફળપ્રદ નીવડે છે. ચંચળ ચિત્તને શ્રદ્ધામાં સ્થિર કરી ભકિત કરવી એ જ મનુષ્યજન્મની સાર્થકતા છે. આ રીતે શ્રી પદ્માવતી દેવીની પ્રાર્થના/સ્તુતિ/આરતી ભકતહૃદયની શ્રદ્ધાભકિતની પરિચાયક હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org