________________
૨૪૬ ]
[ શ્રી પાર્શ્વનાથોપસર્ગહારિણી
શ્રી જિનસિંહસૂરિજી અને શ્રી જિનપ્રભસૂરિજીને શાસનરક્ષામાં સહાયક શ્રી પદ્માવતીજી:
સુલતાન મહમ્મદ તઘલખના શાસનકાળમાં ઇતિહાસ સાક્ષી પૂરે છે કે ભારતીય મંદિરોનો નાશ કરવામાં વિધર્મીઓએ જરાય કચાશ રાખી ન હતી. એક વાર દિલ્હીમાં ખરતરગચ્છાચાર્ય શ્રી જિનસિંહસૂરિજીને મુખકમળમાંથી મોક્ષપ્રાપ્તિના સાધનરૂપ જિનાલય બંધાવવાની પુનિત વાણીનું શ્રવણ કરવાથી જિનાલય નિર્માણનું કાર્ય આરંભ થયું. પરંતુ કટ્ટર વિધર્મીઓના આક્રમણથી બચવા અંગે કોઈ વ્યવસ્થા વિચારાઈ નહિ. તેને પરિણામે પાછળથી પ્રશ્ન ઊઠયો કે અસુરક્ષિત જિનાલય બંધાવવાથી શો લાભ ? ત્યારે આચાર્યશ્રીએ જિનાલયના રક્ષણ અર્થે આહવાન કર્યું કે, 'હું મહાદેવી પદ્માવતીની આરાધના કરી, તેમને સાક્ષાતુ કરીને, આ સંઘની ભીતિને નિર્મળ કરીશ.' પદ્માવતી માટેના અનુષ્ઠાનમાં જરૂરી છે પદ્મિની સ્ત્રી દ્વારા પીરસાતું ભોજન તથા તેનું દિવસ-રાત સાન્નિધ્ય. આ એટલા માટે કે પદ્માવતીની ઉપાસના માટે કઠોર માનસિક સંયમ અને એકાગ્રતાપૂર્વકનું ધ્યાન અત્યંત જરૂરી છે. સંઘે આચાર્યશ્રીની માંગણી મુજબની તમામ વ્યવસ્થા કરી દીધી.
ત્યાર બાદ આચાર્યશ્રીએ છ માસ માટે તપ કર્યું. દેવી ભગવતીને સાક્ષાત નિહાળવા છતાં આચાર્યશ્રી એક શબ્દ પણ બોલ્યા નહિ. પરિણામે ભગવતીએ સામેથી કહ્યું, "સૂરિદેવ મારા અહીં આવવાના વિલંબ બદલ ક્ષમા કરશો. પરંતુ આપની આ કઠોર ઉપાસનાનું કારણ જાણી તેના નિવારણ અર્થે ઉપાય જાણવા હું ભગવાન પાસે ગઈ હતી. પ્રભુએ જે પ્રત્યુત્તર પાઠવ્યો છે તે હું આપને જણાવી નહિ શકું.” તેમ છતાં જ્યારે આચાર્યશ્રીએ આગ્રહ રાખ્યો ત્યારે ભગવતીએ જણાવ્યું, "આપની જિંદગી હવે કેવળ છ મહિના પૂરતી જ બાકી રહી છે." ત્યારે આચાર્યશ્રીએ પ્રસન્નતાથી કહ્યું, "ભલે. મારું જીવન પર્વે ટૂંકા સમય માટે જ છે તેનો મને અફસોસ નથી. પરંતુ જે હેતુસર મેં આપની ઉપાસના કરેલી તે હેતુ નિષ્ફળ ન જવો જોઈએ."
ત્યારે પદ્માવતીદેવીએ વચન આપ્યું કે, "આપનો હેતુ અવશ્ય સફળ થશે. હું આપના શિષ્ય સાથે રહીશ તથા ખૂબ જ દઢતાથી શાસનસેવા કરીશ.” ત્યારે આચાર્યશ્રીએ પૂછયું : "એ ભાગ્યવાનનું નામ તો જણાવો.” તેના ઉત્તરમાં ભગવતીએ કહ્યું કે, "આમ તો અત્યારે કોઈ નજરે ચડતો નથી. તેમ છતાં ગોહિલવાડીનિવાસી રત્નપાલ મહીધર શેઠના પુત્ર સુમરપાલ, કે જે હજુ આઠ વર્ષનો જ છે, તેને દીક્ષિત કરો. તે યોગ્ય છે.” આચાર્યશ્રી ગોહિલવાડી પહોંચ્યા. ત્યાં આઠ વર્ષના સુમરપાલને દીક્ષિત કર્યો; અને તેનું નામ શુભતિલક રાખવામાં આવ્યું. પછી આચાર્યપદ મળતાં તેમનું નામ શ્રી જિનપ્રભસૂરિ રૂપે વિખ્યાત થયું. તેમને ગુરુમહારાજ દ્વારા ઉપાસ્ય ભગવતી પદ્માવતીજીનું સતત સાંન્નિધ્ય પ્રાપ્ત થયું હતું. ઉપરાંત, તેમણે સુલતાન મહમ્મદ તઘલખને જે ઉપદેશ આપ્યો તે હકીકત તો આજે જગવિખ્યાત બની છે. શ્રી જિનપ્રભસૂરિજી અદ્વિતીય સાધક, શાસન પ્રભાવક અને વિદ્વાન હતા. તેમણે વિપુલ પ્રમાણમાં સાહિત્યસર્જન કર્યું હતું. તેમાં ૩૭ ચોપાઈ છંદમાં લખાયેલી 'પદ્માવતી ચતુષ્પદિકા' તેમની મહત્ત્વની કૃતિ ગણાય છે. તેના ૧૮ પદમાં શ્રી જિનદત્તસૂરિજીનું તથા ૩૬મા જિનસિંહસૂરિજીનું અને અન્તિમ પદમાં પોતાનું નામ ગૂંથવામાં આવ્યું છે. તેની ભાષા અપભ્રંશ છે.
તેમણે સુલતાનને ઉપદેશ દેવાનું અદ્ભુત કાર્ય કર્યું. પરિણામે કટ્ટર ઇસ્લામધર્મી અને હિન્દુ-જૈન ધર્મ વિરોધી યવન બાદશાહ મહમ્મદ તઘલખનું હૃદય પરિવર્તન થયું. તે સ્વયં સિદ્ધાચલજીની યાત્રાએ ગયા. તેમણે દિલ્હીમાં મહાવીર સ્વામીનાં જિનાલય, ઉપાશ્રય વગેરેનાં બાંધકામો કરાવ્યાં તથા જૈન સાધુ-શ્રાવકોના નિવાસ માટે ભટ્ટારક સરાય, તથા સુલતાન સરાય નામનાં ઉપનગરો વસાવ્યાં. તેના દ્વારા શત્રુંજય-ગિરનાર સંઘની યાત્રા કરવાની બાબત પણ પ્રસિદ્ધ છે.
શ્રી જિનપ્રભસૂરિજીનાં તમામ યશસ્વી કાર્યો પાછળ ભગવતી પદ્માવતીની કૃપા હતી. આની પાછળ પણ તેમણે શ્રી જિનસિંહસૂરિજીને આપેલું વચન હતું. માતા ભગવતી પદ્માવતી વચનબદ્ધ હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org