________________
શાશ્વત સૌરભ ભાગ-૧
અમારે રામલાલ મોદીએ પ્રગટ કરેલ બે નળાખ્યાન' વિશેના ભાલણના પ્રદાનના વિવાદમાં પણ પડવું નથી. અમારે તો એટલું જ કહેવું છે કે આપણી ગુજરાતી ભાષા વિશે કોઈએ નિર્દેશ કર્યો હોય તો તે ભાલણે કર્યો છે. તેના પ્રથમ નળાખ્યાનની શરૂઆતમાં જ ભાલણ કહે છે
ગુરુપદપંકજને પ્રણમું, બ્રહ્મસુતાને ધ્યાઊં, ગુર્જરભાષાએ નબરાના ગુણ મનોહર ગાઊં, નૈષધ, ચંપૂ, મહાભારતમાં કવિ કીર્તિ અતિ લીધી; કાલાંને પ્રીછવવા ભાલણે ભાષા એ કીધી.......
ગુજરાતી ભાષામાં પહેલી કૃતિ કઈ એ વિવાદ સાથે આ ગ્રંથને કોઈ નિસ્બત નથી અને તેની ચર્ચામાં પડવાનું અમારે માટે પ્રસ્તુત પણ નથી. અમારે તો એટલું જ નોંધવું છે કે, અન્ય કોઈ પ્રમાણ મળે નહીં ત્યાં સુધી આપણી ભાષાને ‘ગુર્જરભાષા’ કહેનાર પહેલો કવિ-આખ્યાનકાર ભાલણ હતો. તે સાથે અમારે એ પણ ભારપૂર્વક કહેવું છે કે પ્રવર્તમાન સમયમાં બોલાતી અને લખાતી ભાષા સદાકાળ એ જ સ્વરૂપની હોતી પણ નથી. પ્રજાઓ અનેક હેતુઓ સર સ્થળાંતરો કરતી રહે છે. નવા સ્થળે, મૂળ સ્થળમાં બોલાતી અને લખાતી ભાષા લઈ જાય છે તો ત્યાંના વસવાટ દરમિયાન નવા પ્રદેશની ભાષાના ઘણા બધા પ્રયોગો તેમાં ઉમેરાતા જાય છે. જૂના અને નવાના સમન્વયમાં કંઈક ત્રીજો અવતાર થાય છે. એ પણ કાળક્રમે બદલાતો જાય છે. જીવનશૈલી, રીતરિવાજો, અનુભવો, વ્યવસાયો, અર્થવ્યવસ્થા, ભિન્ન અર્થવ્યવહારો ભાષા પર પ્રભાવ પાડે જ છે. રાજશાસનો, વહીવટ, નાણાંવટ, સ્થાનિક ધર્માનુભૂતિ, પ્રાદેશિક અનુભૂતિઓ, વિદેશી વ્યાપારી આદાન-પ્રદાનો જેવી કંઈ કેટલીય બાબતોએ આપણી ગુજરાતી ભાષાને સમૃદ્ધ કરી છે. જો, મૂળ સંસ્કૃત-પ્રાકૃતમાંથી ગુજરાતી ભાષાનાં મૂળિયાં ઊખડી ગયાં નથી અને કોઈને કોઈ શબ્દસ્વરૂપે અલપઝલપ લખાણની ભાષામાં વ્યવહારમાં રહ્યાં છે તો નરસિંહ મહેતાના પંદરમાં શતકથી અત્યારના ગુજરાતમાં ઇસ્લામના આગમનથી ગુજરાતી ભાષાનું ક્લેવર જ બદલાતું જતું જોવા મળે છે. ‘ગુજરાતી સાહિયનો ઇતિહાસ' (ગ્રંથ : ૨, ખંડ : ૧-ઈ.સ. ૧૪૫૦-૧૬૫૦)માં ઉમાશંકર જોશીએ નરસિંહના સમય વિશે લખ્યા પ્રમાણે ખુદ નરસિંહ ભગવાન શ્રીકૃષ્ણે સ્વહસ્તે નરસિંહના ગળામાં હાર પહેરાવ્યા વિશેનો ઉલ્લેખ નરસિંહ ‘હારમાળા'માં વર્ણવતાં કહે છે : “સંવત પંનર બારોતર સપતમી અને સોમવાર રે, વૈશાખ અજુઆલિ–૫ખે નરસિઁની આવ્યો હાર રે. ગણિતની
Jain Education Intemational
૩૧૯
દૃષ્ટિએ જોવામાં આવે તો વર્ષ, વાર અને તિથિ (તારીખ ૧૨ જુલાઈ, ૧૪૫૬) બંધ બેસે છે.
ગુજરાતી ભાષામાં નરસિંહ મહેતાને આદ્ય કવિ કહ્યા છે તે સ્વીકારી લઈએ તો નરસિંહ મહેતા પહેલાં છેક અગિયારમી સદીથી જૈન કવિઓએ કરેલા પ્રદાનનું પગેરું પણ મળે છે. નરસિંહ મહેતાને ગુજરાતી સાહિત્યમાં પ્રસિદ્ધિ મળી તેટલી તેમની પૂર્વે થઈ ગયેલા જૈન કવિઓને મળી નથી. વિવિધ શાસનો દરમિયાન સાહિત્યક્ષેત્રે જૈન અને જૈનેતર સાહિત્યકારોનું પ્રદાન થતું રહ્યું છે તેની ઘણી બધી વિગતો ગુજરાતી સાહિત્ય પરિષદે પ્રસિદ્ધ કરેલી ગ્રંથશ્રેણીમાં આપવામાં આવી છે તેથી તેની વિગતોમાં અમારે જવું નથી. કોઈપણ ભાષાનું પૂરેપૂરું ચિત્ર આપવું શક્ય નથી. ભાષા અંતે વ્યવહારાર્થે પ્રયોજાતું પ્રતીકતંત્ર હોવાથી બદલાતા સંજોગોમાં સાંપડતી અનુભૂતિને આધારે તેનું ક્લેવર બદલાતું જ રહે છે. કોઈપણ પ્રદેશમાં શુદ્ધ સ્વરૂપે એક જ પ્રજાસમૂહ જોવા મળતો નથી તેથી વિવિધ પ્રજાસમૂહોના એકત્ર થવાથી સર્જાતી ભાષા નવાં સ્વરૂપો પકડતી જાય છે. જો, ભાષામાં બોલી–ભેદો ભળતાં, ભાષાની સ્થિતિ અનેક પર્વતમાળામાંથી વહેતી નદી જેવી થાય છે. આપણે તેમાં જતા નથી. અગિયારમી સદીથી આજની ગુજરાતી ભાષાનું કંઈક પગેરું મળે છે ત્યારે તે સમયે થઈ ગયેલા જૈન કવિઓને ભૂલી શકીએ નહીં. આ લેખનો હેતુ ગુજરાતી ભાષાવિકાસને આલેખવાનો નથી જ. અમારે માટે એટલું કહેવું પર્યાપ્ત થશે કે ઘણી બધી રીતે શાસન અને સમાજવ્યવસ્થા ભાષા પર પ્રભાવ પાડે છે અને છતાં શાસકો બદલાતાં ક્યાંક જે તે ભાષાનો સાહિત્યિક પ્રવાહ ક્યાં પુષ્ટ બને છે કે સંકાચોય છે અને છતાં એ પ્રવાહ છેક બંધ પડતો નથી.
અગિયારમી સદીથી અઢારમી શતક સુધીના કેવળ જૈન કવિઓની કૃતિઓને જોવામાં આવે તો ત્યારના પ્રચલિત સાહિત્યિક પ્રકારનો પૂરેપૂરો પ્રયોગ થયેલો છે. રાસ અને દાંડિયારાસ જેવા નૃત્તપ્રકારોથી માંડીને બારમાસી, છપ્પય, વિવાહલુ, ફાગુ જેવાં સ્વરૂપોનાં અગણિત ઉદાહરણો જોવાં મળે છે. તો, પૌરાણિક, ઐતિહાસિક, બોધક, લૌકિક કથાઓ, રૂપકો જેવા પ્રકારોનો ભરપૂર પ્રયોગ–ઉપયોગ ત્યારના જૈનકવિઓએ કર્યો છે. સામાન્યતઃ ફાગુ સાહિત્યને શૃંગારના અર્થમાં જોવામાં આવે છે, કારણ કે તેને ફાગણ (ફાલ્ગુન) સાથે સીધી નિસ્બત છે. વસંતને સ્થૂળ અર્થમાં યૌવન સાથે સાંકળવામાં ઘણી બધી માન્યતાઓ અને ગેરસમજો ફાગુ સાહિત્ય સાથે જોડાએલી છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org