________________
૨૯૦
આયાગપટ્ટ -
‘ઔપપાતિક સૂત્ર'માં જણાવ્યા પ્રમાણે મંદિરના વનક્ષેત્રમાં અશોક વૃક્ષની નીચે સિંહાસન ઉપર શિલાપટ્ટ મૂકવામાં આવતા હતા. ડૉ. વાસુદેવ શરણ અગ્રવાલે પ્રતિપાદિત કર્યું છે કે મથુરાના કંકાલી ટીલામાંથી ‘આયાગપટ્ટ'ના નામે ઓળખાતી જે શિલ્પયુક્ત પાટી મળી છે તે જ ‘ઔપપાતિક’માં ઉલ્લખાયેલો શિલાપટ્ટ છે. કોઈ મૂર્તિ જેમ ઉપાસ્ય દેવને દર્શાવે છે તેમ જૈન આયાગપટ્ટ સ્તૂપ, ધર્મચક્ર, ત્રિરત્ન, અષ્ટમંગલ કે ચૈત્યવૃક્ષ જેવાં આરાધ્ય પ્રતીકો ઉપરાંત જિન અથવા જિનની માતાને દર્શાવે છે. મથુરામાંથી મળેલા આયાગપટ્ટો ઈ.સ. પૂર્વે બીજી સદીના છે. તીર્થંકરોની આકૃતિ પહેલવહેલી તેમના પર ઉત્કીર્ણ થયેલી પ્રાપ્ત થાય છે.
જૈન અભિલેખો
જૈન ધર્મના ઇતિહાસમાં સહુથી પ્રથમ મહત્ત્વનો અભિલેખ ઉડીસાના ઉદયગિરિની હાથીગુફામાં ઉત્કીર્ણ શિલાલેખ છે. તેમાં ઉલ્લેખ છે કે કલિંગની જે જિનપ્રતિમા નંદવંશીય રાજા મગધ લઈ ગયેલો તે ચેદિનરેશ ખારવેલ (ઈ.સ. પૂર્વે ૩જી–૨જી સદી) તેની રાજધાનીમાં પાછી લાવેલો. રાજા ખારવેલના આ શિલાલેખ ઉપરાંતના ઉદયગિરિના અન્ય શિલાલેખોમાંથી એ જાણવા મળે છે કે ઉદયગિરિના ગુફાવિહારો રાજા અને રાજકુટુંબના સભ્યો દ્વારા જૈન શ્રમણો માટે ખોદાવવામાં આવેલા.
તમિળનાડુના આરંભિક ગુફાવિહારોની શૈલશય્યાઓ અને છત ઉપર ઈ.સ. પૂર્વે ત્રીજી સદીથી ઈ.સ. ત્રીજી સદીની બ્રાહ્મી લિપિમાં ‘પાલિ’, ‘આદિત્તાણમ્' વગેરે તમિળ શબ્દો કોતરેલા છે. કાંચીના છઠ્ઠી સદીના વર્ધમાન-મંદિરના શિલાલેખમાં જણાવ્યું છે કે તે મંદિરના નિભાવ પેટે કાંચીપ્રદેશનાં લોકોએ જમીનનું દાન કરેલું. કિલસત્તમંગલમ્ (જિ. ઉત્તર આર્કેટ)ના શિલાલેખમાં (૯મી સદી) નોંધ્યા મુજબ પલ્લવ રાજાના ‘કોડકડિયઐયર’ નામના સામંતની ‘માદેવી’ નામની પત્નીએ ‘ઇયક્કી પડારી' (= યક્ષી ભટારી)ના મંદિરનો મુખમંડપ બંધાવેલો તથા ‘પલ્લી’ (= મંદિર સંકુલ) અને ‘પાલિ' (= શ્રમણો માટેનો વિહાર)નો જીર્ણોદ્ધાર કરાવેલો. તિરુપ્પમલૈ (જિ. ઉત્તર આર્કેટ)ના શિલાલેખમાંથી જાણવા મળે છે કે ઈ.સ. ૭૮૦માં ત્યાં ખડકમાં પોન્નીયક્કીયાર' (= યક્ષી હેમા)ની પ્રતિમા ઉત્કીર્ણ કરવામાં આવેલી. કિલસત્તમંગલના એક અન્ય શિલાલેખમાંથી એક
Jain Education International
ધન્ય ધા
વિનષ્ટ જૈન મંદિરની માહિતી મળે છે, જે પલ્લવમલ્લ નંદિવર્મનના શાસનકાળના ૧૪મા વર્ષમાં (ઈ.સ. ૭૪૩-૪૪) ધર્મકાર્યોમાં પ્રવૃત્તિમય હતું.
તમિળ શિલાલેખોમાંથી જૈન ઇતિહાસ અંગેની એક રસપ્રદ માહિતી એ મળે છે કે ૯મા સૈકામાં ત્યાં અજ્જનંદી નામના એક આચાર્ય થયેલા, જેમણે આ પ્રદેશમાં તેમના વિહાર-કાળ દરમિયાન કરંગલક્કુડિ, તિરુવયીરે, અનૈમલૈ, અલગરમલૈ (બધા જિ. મદુરૈ), કુરન્દી (રામનાથપુરમ્) અને વલ્લીમલૈ (જિ. ઉત્તર આર્કોટ) જેવાં અનેક સ્થળે તીર્થંકરોની પ્રતિમાઓ મુકાવેલી.
કેરળના ગોદપુરમ્ (અલાતુર, જિ. પાલઘાટ)માં મળેલી
શ્રી મહાવીર અને શ્રી પાર્શ્વનાથની પ્રતિમાઓ સાથે મળેલા તમિળ શિલાલેખ (૧૦મી સદી)માં નિર્દેશ છે કે ત્યાં એક જૈન મંદિર અને વિશાળ વિહાર હતો.
કર્ણાટકના શ્રવણબેળગોળ ખાતેનાં મંદિરો અને મૂર્તિઓ પર આશરે ૫૦૦ જેટલા શિલાલેખો નોંધાયા છે. તેમાંના મોટા ભાગના જૈન છે અને ઈ.સ. ૬૦૦થી ૧૮૩૦ સુધીના સમયગાળાના છે. આ બધામાંથી ઘણી અગત્યની ઐતિહાસિક માહિતી જેવી કે આચાર્ય ભદ્રબાહુના નેતૃત્વમાં ચંદ્રગુપ્ત મૌર્ય સહિતના જૈન સમુદાયના અત્રે થયેલા આગમન, ગંગવંશના રાજાઓનો ઉદય અને વિકાસ, છેલ્લા રાષ્ટ્રકૂટ રાજાનું મૃત્યુ, હોયસળ વંશની સ્થાપના અને રાજ્યવિસ્તાર, વિજયનગર– સામ્રાજ્યની સર્વોપરિતા અને મહિસુરના રાજપરિવારના શાસનને લગતી વિગતો મળે છે. આમાંના ચંદ્રગિરિના ખડકની ફરસ પરનો લેખ પૂર્વ હલગન્નડ લિપિના અત્યંત મોટા અક્ષરોને લીધે વિરલ છે. ગોમ્મટેશ્વરની વિશ્વપ્રસિદ્ધ વિરાટ પ્રતિમાની બે તરફના ખડકના નીચલા ભાગમાં તમિળ-ગ્રંથ, નાગરી (જૂની મરાઠી) અને કન્નડ એમ ત્રણ લિપિમાં લેખ કોતરેલા છે. શ્રવણબેળગોળના આ શિલાલેખો એ રીતે પણ મહત્ત્વના છે કે તે કન્નડ ભાષાના વિકાસને સમજવામાં પણ સહાયક થાય છે.
એક અભિલેખમાં જણાવ્યા પ્રમાણે વિજયનગર સામ્રાજ્યના કાળમાં રાજધાની (હમ્પી)માં ઇરૂગપવોડેય નામના શ્રાવકે ઈ.સ. ૧૩૬૭માં એક જૈન મંદિર અને ઈ.સ. ૧૩૮૫માં ‘ચૈત્યાલય’ પણ બંધાવેલું. તેના જ ભાઈ ઇડિ બુક્કા, જે હરિહર બીજાનો મંત્રી હતો, તેણે ઈ.સ. ૧૩૯૫માં કુર્નુલ ખાતે ‘કુંથુ તીર્થંકર’નું ચૈત્યાલય બંધાવેલું.
For Private & Personal Use Only
www.jainelibrary.org