________________
સ્વપ્ન શિલ્પીઓ.
33
વિવિધક્ષેત્રની જીવનયાત્રાના પ્રવાસીઓને સમયાંતરે જીવનનાં સારપની સુગંધ ફેલાવવા દૈવી શક્તિ આપી વિશ્વના કલ્યાણ માટે નિમિત્ત બનાવવા ઈશ્વર હરહંમેશ આપણી પર કૃપાદૃષ્ટિ કરતો રહે છે. પરંતુ એ દિવ્ય તેજપુંજને નિહાળવા આપણે એવી દૃષ્ટિ કેળવવી રહી. સંસ્કૃતિની ધરોહર અને સગુણોના ભંડાર સમા દૈવી વિરલાઓનાં ગુણગાન ગાવામાં તેમને સત્કારવાના હેતુ કરતાંય વર્તમાન અને ભવિષ્યની પેઢી પોતાના જીવનના જીર્ણોદ્ધાર માટે કંઈક ઉપયોગી ભાથું મેળવે તે જ મુખ્ય હેતુથી પ્રેરક વિગતો એકત્ર કરી ગ્રંથસ્થ કરવાનો વર્ષોથી અમે નમ્ર પ્રયાસ કર્યો છે. ઇતિહાસ એ વાતની સાક્ષી પૂરે છે કે જે સમયમાં થઈ ગયેલી મહાન વિભૂતિઓને તેના સમયમાં તેને સમજવામાં, મૂલવવામાં અને તેની પાસેથી કંઈક મેળવવામાં માનવસમાજ નિષ્ફળ ગયો હોય. સમય જતાં જ પાછળથી એની મહત્તા સમજાઈ હોય એવું બન્યું છે. આ બાબતને ધ્યાનમાં રાખીને જ ભૂતકાળના દિવ્યાત્માઓની ઝાંખી કરવા ઉપરાંત વર્તમાન (હયાત) સમર્થોનું દિવ્યદર્શન માનવસમાજની નજરે ચડે તે માટે વખતોવખત અમે પુસ્તકરૂપે સમાજને રજૂ કરીએ છીએ અને માનવસમાજના ઉત્થાન માટે કંઈક કરી શકાય એવું ધારીને ધન્યતા અનુભવીએ છીએ.
જ્ઞાનદશ બારોટ કવિઓનું લોકસાહિત્યમાં આદાનપ્રદાન
સરસ્વતીના પુત્રો ગણાતા બ્રહ્મભટ્ટ બારોટોનાં બુદ્ધિચાતુર્ય અને સાંસ્કૃતિક ચેતનાના પ્રભાવને કારણે બૃહદ ગુજરાતમાં વિદ્યાનાં પ્રત્યેક કેન્દ્રો જેવાં કે આયુર્વેદ વિદ્યા, ગાંધર્વવિદ્યા, વ્યાકરણવિદ્યા, કોશ, કાવ્ય કે અલંકારવિદ્યા આવાં અનેક ક્ષેત્રે અભુત કલમ ચલાવીને સાહિત્ય સર્જન દ્વારા બહોળા જનસમૂહને મંત્રમુગ્ધ કરી દીધો. કલાસાહિત્ય સિવાય પણ વિવિધ ક્ષેત્રનાં
સફળ શિખરો સર કર્યાની થોકબંધ વિગતો છે. વેદકાળમાં આ જ્ઞાતિ સૂત, માગધ, બંદીજન, કે સ્તુતિપાઠક તરીકે ઓળખાતી. સૂતો ખાસ કરીને સારથિનું કામ કરતા. અંગ દેશના સૂતો સારથિપણામાં ઘણા જ કુશળ હતાં. ભગવાન શ્રી કૃષ્ણ કુરુક્ષેત્રમાં અર્જુનને ગીતા દ્વારા જે ઉપદેશ આપ્યો તેને વ્યવસ્થિત શ્લોકબદ્ધ કરીને યુદ્ધનો ઉત્તમ અહેવાલ આપનાર દિવ્યદ્રષ્ટા સંજય સૂત હતો. વૈદિક વિચારધારાને બળવત્તર બનાવનાર કુમારિલ ભટ્ટ, મનુસ્મૃતિ ઉપર ભાષ્ય રચનાર કલ્પક ભટ્ટ, આવા અનેક કવિઓ બ્રહ્મભટ્ટ જ્ઞાતિમાંથી જ આવતા હોવાના પુરાણોમાં અસંખ્ય આધારો જોવા મળે છે.
આ જ્ઞાતિના પ્રતાપી પૂર્વજોમાં પણ ચંદબરદાઈ, કેદાર ભટ્ટ, કવિ નરહર, ગંગ, ગિરધર, સૂરદાસ આદિ સાહિત્યસ્વામીઓ દેશની ભાતીગળ સંસ્કૃતિને ખીલવવામાં સૈકાઓથી વિશિષ્ટ પ્રદાન અર્પણ કરતા રહ્યા છે. બ્રહ્મભટ્ટ જ્ઞાતિ માત્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં જ નહીં પણ રાષ્ટ્રના સમગ્ર પ્રદેશોમાં વિસ્તરેલી છે. આ જ્ઞાતિ ક્યાંક ભાટ, બારોટ, કવિ, બ્રહ્મભટ્ટ, રણા, ઇનામદાર, જાગીરદાર, રાવ, રાય, રોય, ભટ્ટરાય, તેમ જ દસોંદી જેવાં વિવિધ નામે ઓળખાય છે. બંગાળમાં આ જ્ઞાતિ માટે ‘ઠાકુર’ શબ્દ પણ પ્રયોજાય છે. ભગવદ્ગોમંડલમાં ભાટ, સૂત, માગધ વગેરે શબ્દોની જે વ્યુત્પત્તિ સમજાવવામાં આવી છે તેના પરથી આ જ્ઞાતિ બ્રાહ્મણો પૈકીની એક પેટા જ્ઞાતિ હોવાનું પણ અનુમાન થાય છે. શાસ્ત્ર, શાસ્ત્ર અને ધ્યાન એ આ સમાજના જીવનમંત્રો હતા. અકબરના દરબારમાં પ્રખ્યાત નવરત્નોમાં બિરબલ સહિત ચાર બ્રહ્મભટ્ટો હતા. આ બ્રહ્મભટ્ટો પાસેના હસ્તલિખિત સાહિત્ય ભંડારનો કર્નલ ટોડ સાહેબે અને ફાર્બસ સાહેબે વિપુલ પ્રમાણમાં ઉપયોગ કરીને આ બારોટ કવિઓને ભારોભાર બિરદાવ્યા છે. રાષ્ટ્રશાયર મેઘાણીજીએ પણ ઘણું સાહિત્ય આ બારોટો પાસેથી જ મેળવ્યું હતું. આ બારોટ કવિઓએ જેમ ઈશ્વરભક્તિમાં મગ્ન બની ભક્તિરૂપી સમુદ્રમાં લહરીઓની પરંપરાઓ ચલાવી તેમ આયુર્વેદ વિદ્યામાં પણ વિજયના વાવટા ફરકાવ્યા તો ઇતિહાસવિદ્યામાં પણ દક્ષતા અને કુશળતા બતાવીને તેના અન્વેષણકર્તા કહેવાયા.
Jain Education Intemational
For Private & Personal use only
For Private & Personal Use Only
www.jainelibrary.org