________________
૨૨
સ્વપ્ન શિલ્પીઓ
જેમના આંગણે સદાકાળ મીઠાં સ્નેહજળ અને અમૃત સમા આતિથ્યનું કોપરુ પામવા મળ્યું છે તેવા વ્યવહારકુશળ શ્રેષ્ઠીઓના મંગલ જીવનયાત્રાની, ભાવધર્મની, ભવ્યતાની, તપધર્મની, દાનધર્મની, પ્રજ્ઞાની, ઉત્થાનની એમ વિવિધસ્તરે કંડારાયેલી જીવનમાંડણીનું આ ગ્રંથમાં સુપેરે દર્શન કરાવ્યું છે.
ગુજરાતી : વિશ્વમાનવ
નવખંડ પૃથ્વીના કોઈ પણ ભાગમાં જઈને જોઈએ તો ગુજરાતી પ્રજાનાં સત્ત્વ અને સંસ્કારિતાએ જ વિશ્વમાનવ બનવાની પહેલ કરી છે. દુનિયાનો કોઈ પણ એવો ખંડ બાકી નહીં હોય જ્યાં ગુજરાતની અસ્મિતાનાં અજવાળાં પથરાયાં ન હોય. વર્તમાન વૈજ્ઞાનિક યુગમાં વાહનવ્યવહારની ઝડપી સુવિધાને કારણે સાહસિક ગુજરાતીઓ ભારતના અન્ય પ્રાંતોમાં અને દરિયાપારના નાના-મોટા અનેક દેશોમાં જઈને ઠરીઠામ થયાં છે. આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, કેરલ, કન્યાકુમારી, કર્ણાટક, પોંડીચેરી, મુંબઈ, મદ્રાસ, દિલ્હી કે કલકત્તા હોય કે પછી લંડન, મોમ્બાસા, ન્યૂયોર્ક કે કુવૈત હોય, ગુજરાતીઓ પોતાની વૈયક્તિક અને પ્રાદેશિક મુદ્રાને કારણે ગુજરાતની આગવી અસ્મિતાનું વાતવરણ સર્જે છે. મહારાષ્ટ્ર પણ ગુજરાતી ગૌરવથી ગાજતું રહ્યું છે. એમાં કચ્છી સમાજ, ભાટિયા સમાજ, લોહાણા સમાજનું ભારે મોટું યોગદાન છે.
આદાનપ્રદાનની યોજનાના ઉપક્રમે ઘણાં ગુજરાતીઓ વિદેશ જાય છે. વિદેશોની એલચી કચેરીઓમાં, હોસ્પિટલોમાં, ઔદ્યોગિક એકમોમાં, વૈજ્ઞાનિક સંશોધનોમાં પોતાની કોઠાસૂઝ અને કાર્યદક્ષતાને કારણે ઘણાં ગુજરાતીઓ ઉચ્ચ હોદ્દાઓ ધરાવે છે. વેપાર વાણિજ્યના ક્ષેત્રે તો દુનિયાભરમાં ગુજરાતીઓ ટોચનું સ્થાન ધરાવે છે.
ભારતવર્ષની ભાતીગળ ભૂમિ પર ગરવી ગુજરાતની સાહસિક પ્રજાના કેટલાક સમૂહોએ વર્ષો પહેલાં વિવિધ પ્રાંતોનાં નગરો-ગામોમાં પહોંચી જઈને નૂતન સમાજની જે અદ્ભુત રચના કરી છે તેની ગૌરવવંતી વિગતોથી સભર એવો એક સમૃદ્ધ ગ્રંથ ‘મહાગુજરાતની યશગાથા' નામે વર્ષો પહેલાં જામનગરથી પ્રગટ થયો. આ દળદાર ગ્રંથમાં ગુજરાત બહાર વસતી ગુજરાતી પ્રજાની વિશિષ્ટ પ્રવૃતિ અને પ્રગતિની ઝાંખી કરાવતો ઇતિહાસ સ્વ. રતિલાલ માધવાણી દ્વારા આલેખાયો છે. ભારતના સાગરકાંઠા ઉપરના એક દૈનિકપત્રના તંત્રી સ્વ. રતિલાલ માધવાણીએ બૃહદ્ ગુજરાતની ગુજરાતી પ્રજાઓના રોમાંચક અને ભાતીગળ અસ્તિત્વનું એ ગ્રંથમાં સુપેરે દર્શન કરાવ્યું છે. એ ગ્રંથનો ટૂંકો સારભાગ પ્રદીપ માધવાણીએ રજૂ કર્યો છે.
વિવિધ પ્રાંતોમાં વિવિધક્ષેત્રે ગુજરાતીઓએ પોતાના પુરુષાર્થ અને સાહસ વડે સર્જેલી ભવ્ય સિદ્ધિઓને કંડારવામાં આવી છે. જામનગરના આ માધવાણી પરિવારે ગુજરાતની મહાન પરંપરાનો અદ્ભુત ચિતાર રજૂ કરીને ઘણો મોટો ઉપકાર કર્યો છે. શ્રી રતિલાલભાઈ તથા શ્રી પ્રદીપભાઈ યશના અધિકારી બન્યા છે. ઠેરઠેર ગુજરાતી મહાનુભાવોના નામના જાહેર રસ્તાઓ, ગુજરાતી ગવર્નરો, મ્યુનિસિપાલિટીઓમાં ઉત્તરોત્તર ગુજરાતી મેયરો, ગુજરાતી નગરશેઠો, ગુજરાતી શ્રેષ્ઠીના નામનાં નગરો, અતિથિગૃહો, હોસ્પિટલો, શાળાકોલેજો, ગુજરાતીઓને મળેલા ઇલ્કાબો, સેવાજીવનનાં સ્મૃતિસ્મારકો તરીકે ઠેરઠેર ઊભેલાં ગુજરાતીઓનાં બાવલાંઓ, તેજરવી તંત્રીઓ, કચ્છી કર્મવીરોની ઉજ્જવળ ગાથાઓ, કોઈ ક્ષેત્રો બાકી નહીં હોય જ્યાં ગુજરાતીઓ સંકળાયેલાં નહીં હોય. મુંબઈનો રાજાબાઈ ટાવર એક ગુજરાતીમાતાનું જીવંત સ્મારક છે. મદુરાઈમાં લાખોની સંખ્યામાં સૌરાષ્ટ્રવાસીઓ વસવાટ કરે છે. અનેક પ્રાંતોના જાહેરજીવનમાં ગુજરાતીઓ આગળ છે. સાંગલીમાં, કોલ્હાપુરમાં, મેંગલોરમાં અને મદ્રાસમાં, જે તે વ્યવસાયમાં ગુજરાતીઓની બોલબાલા છે. આ બધી વિગતોનું સંકલન કરી ગ્રંથ પ્રકાશન રૂપે પ્રસિદ્ધ કરનાર સ્વ. રતિલાલ માધવાણીનાં હિંમત અને પુરુષાર્થ ખરેખર દાદ માંગી લે તેવાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org