SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪ સ્વપ્ન શિલ્પીઓ વર્ષ રહીને ઈ.સ. ૧૯૭૬માં ગુજરાતી વિષય સાથે બી.એ. પદવી પ્રાપ્ત કરી, ત્યારબાદ ગુજરાતી ભાષાસાહિત્ય સૌ. યુનિ. સજકોટ ખાતે અનુસ્નાતક અર્થે જોડાઈને વિ.સં. ૧૯૭૮માં ગુજરાતી લોકસાહિત્ય વિષય સાથે એમ.એ. પદવી કરી, તુરત જ પીએચ.ડી. પદવી અર્થે મધ્યકાળના તેજસ્વી હરિજન સંતકવિ દાસી જીવણનાં જીવન-કવન વિષયે ડૉ. નાગજીભાઈ ભટ્ટીના માર્ગદર્શન તળે સંશોધનકાર્ય શરૂ કર્યું અને ગુજરાતનાં અને તળપદી ભજનવાણીના ભજનગાયકો–ભજનિકોની મંડળીઓમાં કંઠસ્થ પરંપરાથી જળવાયેલાં દાસી જીવણનાં ભજનો વિષે ક્ષેત્રકાર્ય કરીને ઈ.સ. ૧૯૮૨માં પીએચ.ડી. પદવી પ્રાપ્ત કરી. ઈ.સ. ૧૯૮૩-૮૪માં કેશોદ (જૂનાગઢ)ની આર્ટ્સ કોલેજના વ્યાખ્યાતા તરીકે અને ઈ.સ. ૧૯૮૫થી ૧૯૮૮સુધી ગુજરાતી ભવન સૌ.યુ.ની રાજકોટ ખાતે યુ.જિ.સી. સંશોધન યોજના અન્વયે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સંશોધનસહાયક તરીકે સેવાઓ આપી. ઈ.સ. ૧૯૮૮થી ૧૯૯૦ સુધીનાં બે વર્ષો દરમ્યાન ગુજરાતી ભવનમાં જ અનુસ્નાતક શિક્ષક તરીકે એમ.એ., એમ.ફિલ.ના વિદ્યાર્થીઓ સમક્ષ ગુજરાતી લોકસાહિત્ય વિષયોનું અધ્યાપનકાર્ય બજાવ્યું. આ સમયગાળામાં વિવિધ સાહિત્ય સામયિકોમાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય, લોકસાહિત્ય, ચારણીસાહિત્ય, સંતસાહિત્ય, લોકવિદ્યા, લોકકલાઓ, લોકસંગીત, ભક્તિસંગીત વિષયે સંશોધનલેખો પ્રકાશિત થતા રહ્યા. અનેક યુનિ.કક્ષાના, રાજ્યકક્ષાના, રાષ્ટ્રીયકક્ષાના પરિસંવાદોમાં સંશોધનવ્યાખ્યાનો અપાયાં. ‘ભજનમીમાંસા' જેવું મધ્યકાલીન-સાહિત્યસ્વરૂપભજનના ઉદ્ભવ, વિકાસ, પ્રકારો, વર્ગીકરણ, વિભાગીકરણ, ભાવપક્ષ, કલાપક્ષની વિચારણા કરતું પુસ્તક પ્રકાશિત થયું. ઈ.સ. ૧૯૯૧થી પૂર્ણ સમયના મુક્તકાલીન સંશોધક તરીકે પોતાના વતન ઘોઘાવદર ખાતે ‘આનંદ આશ્રમ’માં સંતસાહિત્ય સંશોધન કેન્દ્રની સ્થાપના કરી. ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર સંશોધન ફેલોશિપ, બી. કે પારેખ ફાઉન્ડેશન ફેલોશિપ અને રાષ્ટ્રીય કક્ષાની ડૉ. હોમી ભાભા ફેલોશિપ અન્વયે સાહિત્યસંશોધનકાર્ય થતું રહ્યું અને ‘રંગ શરદની રાતડી’, ‘સંતવાણીનું સત્ત્વ અને સૌંદર્ય’, ‘બીજમારગી ગુપ્ત પાટઉપાસના’, ‘મૂળદાસજીનાં કાવ્યો’, ‘પ્રેમસખી પ્રેમાનંદના શ્રેષ્ઠ પદો', ‘સંધ્યાસુમિરન’, ‘આનંદનું ઝરણું’, ‘સત્ની સરવાણી’, ‘સૌરાષ્ટ્રનું સંતસાહિત્ય’, ‘મરમ જાણે મરકન્દા' જેવા ખ્યાતિપ્રાપ્ત સંશોધનગ્રંથનું પ્રકાશન પણ થતું રહ્યું. આકાશવાણી તથા પ્રસારભારતી–દૂરદર્શનના રાજકોટ, અમદાવાદ, વડોદરા, ભૂજ, આહવા તથા મુંબઈ કેન્દ્રો પરથી અવારનવાર કલાકાર, કાર્યક્રમસંચાલન, તજ્ઞ, સંયોજક તરીકે પોતાની કલા પ્રસ્તુત કરે છે. નિરંજન રાજ્યગુરુ દ્વારા આનંદ આશ્રમ-ઘોધાવદર' ખાતે સત્ નિર્વાણ ફાઉન્ડેશન-સંત સાહિત્ય સંશોધન કેન્દ્રમાં સંગ્રહિત થયેલાં અતિ મૂલ્યવાન સાહિત્ય સંદર્ભગ્રંથો, અતિ વિરલ એવી મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય, સંતસાહિત્ય, ચારણી સાહિત્ય અને બારેટી સાહિત્યની હસ્તપ્રતો, જૂનાં સામયિકોની બહુમૂલ્ય ફાઇલો, સંશોધનકાર્યની નોંધ ફાઇલો, ફોટોગ્રાફ્સ, સંશોધનનિબંધોની નકલો, લોકસંગીત–ભક્તિસંગીતની સૌરાષ્ટ્રનાં ગામડાંઓમાં ફરીને ધ્વનિમુદ્રિત કરેલી ઑડિયો-વિડિયો કેસેટ્સ તથા કેટલાય જૂના દુર્લભ સિક્કાઓની જાળવણીનું કાર્ય થઈ રહ્યું છે. લોકસંસ્કૃતિ, સંતસાહિત્ય, લોકસાહિત્ય, ચારણી–બારોટી સાહિત્ય, કંઠસ્થ પરંપરામાં જળવાયેલ લોકવિદ્યાની વિવિધ સામગ્રી, લોકકલાઓ, લોકસંગીત અને ભક્તિસંગીત વિષયે સઘન સંશોધનકાર્ય, અભ્યાસ અને પ્રકાશનની સાથોસાથ કોઈ પણ ક્ષેત્રના સંશોધકોને વિનામૂલ્યે આ સંદર્ભસામગ્રીનો ઉપયોગ કરવા અપાય છે. આ ઉપરાંત ગૌસેવા, અન્નદાન, વૃક્ષઉછેર, વનીકરણ, જળસંચય, આયુર્વેદ, શિક્ષણ, બિમાર પશુપક્ષીસારવાર, જનયોગ્ય અને સમાજઉપયોગી તમામ સેવાકીય ક્ષેત્રોમાં શક્તિ-મર્યાદા મુજબ વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન પણ ‘આનંદ-આશ્રમ' દ્વારા કરવામાં આવે છે. અહીં સચવાયેલી સામગ્રીનો લાભ દેશપરદેશની યુનિવર્સિટીઓમાં સંશોધનકાર્ય કરતા અનેક સંશોધકોએ વારંવાર લીધો છે અને આવા સંશોધકો-અભ્યાસીઓ માટે આ સ્થળ એક તીર્થરૂપ બન્યું છે. ‘આનંદ–આશ્રમ’નો પાયો આધ્યાત્મિક છે. અંગત સાધના પર આધારિત શુદ્ધ આધ્યાત્મિકતા અને સર્વજીવો પ્રત્યેની કરુણા ધરાવે છે. સાહિત્યિક સંશોધન ઉપરાંત સેવા, સાધના, સત્સંગ, સ્વાધ્યાય માટે પણ સમય ફાળવીને વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે, ભજનને કેન્દ્રમાં રાખીને સમાજના પ્રાણને બેઠો કરવાની પ્રવૃત્તિ કરનાર આ ગુજરાતી અને ભારતની એકમાત્ર સંસ્થા છે. સંતસાહિત્યનું સંશોધન અને સંવર્ધન કંઠસ્થ પરંપરાની અને લોકવિદ્યાની આજે ધીરે ધીરે લુપ્ત થઈ રહેલી આપણી ભવ્ય વિરાસતનું એકત્રીકરણ આજના યુગની તાતી જરૂરિયાત છે. (ફોન : ૦૨૮૨૫૨૭૧૫૮૨, મો. : ૯૮૨૪૩ ૭૧૯૦૪), લેખકશ્રીને ધન્યવાદ. —સંપાદક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy