________________
ઝળહળતાં નક્ષત્રો
નવા વર્ષમાં પ્રથમ પાંચમને જૈનો જ્ઞાનપંચમી તરીકે ઊજવે છે, જ્ઞાનની પૂજા થાય છે, ગ્રંથોનાં પ્રદર્શન યોજાય છે અને આ જ્ઞાનને આશાતનાથી બચાવવા જૈનો ખૂબ જ કાળજી લે છે. જ્ઞાન પરત્વે આ છે જૈનોનો શ્રદ્ધાભાવ.
જૈનધર્મના લાખો-કરોડો ગ્રંથોમાંના ઘણા હજુ પણ અપ્રગટ સ્થિતિમાં પ્રાચીન તાડપત્રો પર સુંદર મરોડદાર અક્ષરોએ વિવિધ શાહીમાં હસ્તલિખિત રૂપમાં ગ્રંથાગારોમાં પડ્યા છે. કેટલાક ગ્રંથો અને ટીકાઓ અલબત્ત, મહાપ્રભાવશાળી આચાર્ય ભગવંતો દ્વારા પ્રગટ પણ થયાં છે છતાં પાટણમાં, સુરતમાં, રાજસ્થાનમાં, ભાવનગરની શ્રી યશોવિજયજી ગ્રંથમાળા અને આત્માનંદ સભાના ગ્રંથાગારમાં, અમદાવાદના ભો. જે. વિદ્યાભવનમાં, લાલભાઈ દલપતભાઈ સંશોધનકેન્દ્રમાં, શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈ જેવા શ્રાવકવર્યોના અંગત ભંડારોમાં તેમજ ચુનીલાલ ગાંધી વિદ્યાભવન, ડાહીલક્ષ્મી લાઈબ્રેરી, એશિયાટીક સોસાયટી, ભારતીય વિદ્યાભવન, મહાવીર જૈન વિદ્યાલય વગેરેના ગ્રંથભંડારોમાં બધી મળીને વીસ લાખ જેટલી હસ્તપ્રતો હોવાનો પૂરતો સંભવ છે. પાલિતાણાના આગમ મંદિર, સાહિત્યમંદિર અને વીરબાઈ જૈન પાઠશાળામાં પણ અલભ્ય ગ્રંથો છે. વડોદરા, છાણી ખંભાત, લીંબડી, ઇડર, વીરમગામ, રાધનપુર, જામનગર, પાટણ વગેરેના ગ્રંથભંડારોને વિશેષ સમૃદ્ધ કરવા જ જોઈએ. આ ભંડારો આત્માનાં સાચાં વિશ્રામસ્થાનો છે, જ્ઞાનામૃતનું પાન કરાવનારી પ્રેરક પરબો છે.
જૈન શાસ્ત્રભંડારોમાં દિગમ્બર સંપ્રદાયના જ્ઞાનભંડારો પણ ઉલ્લેખનીય છે. તેમાં ઉદયપુરના ભટ્ટારકજી યશોકીર્તિ જૈન ગ્રંથભંડાર તેમજ દક્ષિણ ભારતના ભટ્ટારક ચારુકીર્તિજી મહારાજ (મુઽબિદ્રિ), શ્રવણબેલગોલા ઉપરાંત વારાણસી અને જયપુરના ગ્રંથાગારો વિશેષ ઉલ્લેખનીય છે. ગુજરાતમાં ગાંધીનગર પાસે કોબાનો કૈલાસસાગરસૂરિ જ્ઞાનભંડાર, પાટણનો હેમચંદ્રાચાર્ય જ્ઞાનભંડાર, જેસલમેરનો ભંડાર, છાણી વગેરે સ્થળે જ્ઞાનભંડારોમાં હસ્તપ્રતો સચવાયેલ છે.
અપ્રકાશિત એવાં પુસ્તકોની પણ હસ્તપ્રતો લાખોની સંખ્યામાં આપણે ત્યાં વિદ્યમાન છે. હસ્તપ્રતોની સારી એવી સંખ્યા દક્ષિણ ભારતમાં તાંજોર, ત્રિવેન્દ્રમ્, મહીસૂર તથા મદ્રાસ અન્નામલાઈ પાસે સારા પ્રમાણમાં સચવાયેલ છે. તિરૂપતિની સંસ્કૃત યુનિવર્સિટી પાસે પણ હવે સંગ્રહ થવા લાગ્યો છે. મહારાષ્ટ્રમાં પૂનાની ભાંડારકર ઓરીએન્ટલ રીસર્ચ ઇન્સ્ટીટ્યૂટ પાસે પણ સારો એવો સંગ્રહ છે. ડેક્કન કોલેજ પાસે પણ છે.
લંડન, પેરિસ અને જર્મનીમાં પણ જૈન હસ્તપ્રતોનો વિશાળ સંગ્રહ છે. મુંબઈમાં માધવબાગ પાસેના લાલબાગ મોતીશા જૈન ઉપાશ્રય પાસે પણ ઠીક સંગ્રહ છે. સુરતમાં શ્રી હુકમજી મુનિનો જ્ઞાનભંડાર અને જૈન આનંદ પુસ્તકાલય, ડભોઈમાં શ્રી જંબુસૂરિજી મ.નો ભંડાર, છાણીમાં મુનિશ્રી પુણ્યવિજયજીના મોટા ભંડારો, તથા મુનિશ્રી ક્ષમાસાગરના વિશાળ હસ્તલિખિત ભંડારો વડોદરામાં પ્રાચ્ય વિદ્યામંદિર, ગાયકવાડ ઓરીએન્ટલ ગ્રંથમાળા અને હંસવિજયજીના જ્ઞાનભંડારોમાં સારો એવો સંગ્રહ છે. ખંભાતમાં શ્રી શાન્તિનાથજીનો ભંડાર તથા શ્રી વિજયનેમિસૂરિજીનો જ્ઞાનભંડાર, જૈન અમરશાળાનો ભંડાર, અમદાવાદમાં ડહેલાના ભંડારમાં, કાળુપુરમાં શ્રી દાનસૂરિજી જ્ઞાનભંડારમાં, અમદાવાદની પાછીયાની પોળ આરાધના ભવનમાં, પાલડીમાં જૈન પ્રાચ્ય વિદ્યામંદિરમાં, ગુજરાત વિદ્યાસભા વગેરે પાસે વિપુલ પ્રમાણમાં હસ્તપ્રતોનો સંગ્રહ જોવા મળશે. કચ્છકોડાયમાં પણ સંગ્રહ મળશે. નાહટાજીનો બિકાનેરનો સંગ્રહ તથા ઉદેપુરના જૈન ગ્રંથભંડારો ઉલ્લેખનીય છે. લાડનૂમાંની જૈન યુનિવર્સિટીનો ગ્રંથભંડાર પણ નોંધપાત્ર ગણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
૪૩
www.jainelibrary.org