________________
૨૬૮
આગમ કથાનુયોગ-૫
(પ્રાપ્ત થયો.)
(આ સેચનક હાથીનો પૂર્વભવ એક બ્રાહ્મણરૂપે હતો – તે સેચનક હાથીની પ્રાણિ કથા વિભાગમાં જોવું. સેચનકને કારણે કોણિક રાજા અને ચેટકરાજાનું યુદ્ધ થયેલું તે રાજા કોણિકની કથામાં જોવું)
આ સેચનક હાથી શ્રેણિક રાજાએ પોતાના અને ચેલણાના પુત્ર વેહલને (હલ્લને) ભેટ આપી દીધેલ. ૦ શ્રેણિકનો એક થંભિયો મહેલ :
શ્રેણિક રાજાના અંતઃપુરમાં પ્રધાન એવી ચેલણા નામે રાણી હતી. તેમજ ચાર પ્રકારની બુદ્ધિવાળો (શ્રેણિક અને નંદા રાણીનો પુત્ર) અભયકુમાર મંત્રી હતો. કોઈ પ્રસંગે ચેલણાદેવીએ રાજાને પ્રાર્થના કરી કે, હે સ્વામી ! મારે યોગ્ય એવો એક થંભિયો મહેલ કરાવી આપો. સ્ત્રીહઠને કારણે અને દાક્ષિણ્ય બુદ્ધિથી શ્રેણિકે તેની વાત સ્વીકારીને અભયકુમારને આજ્ઞા કરી, એટલે તે સ્તંભ માટે સુતારને લઈને એક મોટી અટવીમાં ગયો ત્યાં તેણે અતિશય ઘાટીલું મોટી શાખાવાળું વિશાળ વૃક્ષ જોયું.
આ વૃક્ષ દેવતા અધિષ્ઠિત હોવું જોઈએ તેમ માનીને વિવિધ ધૂપ અને પુષ્પોથી તે વૃક્ષની અધિવાસનાપૂર્વક અભયે તેની આરાધના કરી. તેની બુદ્ધિથી રંજિત થયેલા વૃક્ષના અધિષ્ઠાયક દેવે રાત્રે સૂઈ રહેલા અભયને કહ્યું, હે મહાભાગ! આ વૃક્ષને કાપીશ નહીં. તું તારે મહેલે જા. હું સર્વઋતુના ફળોથી યુક્ત ખીલેલા મહાબગીચા સહિત એક વંભિયો મહેલ કરી આપીશ. આ પ્રમાણે દેવે રોકેલ અભયકુમાર સુતાર સહિત મહેલે પાછો આવ્યો. દેવતાએ પણ બગીચા સહિત પ્રાસાદ નિર્માણ કરી આપ્યો. ૦ શ્રેણિક અને ચાંડાલ પાસે કલા ગ્રહણ :
એક થંભિયા મહેલમાં વિવિધ ક્રીડા કરતા અને રતિ સાગરમાં ડૂબેલા એવા શ્રેણિક રાજાના દિવસો પસાર થતા હતા. હવે તે નગર નિવાસી એવા ચંડાળની પત્નીને કોઈ સમયે ગર્ભના પ્રભાવે આમ્રફળ ખાવાનો દોહલો ઉત્પન્ન થયો. તે દોહદ પૂર્ણ ન થવાથી તે દુર્બળ થવા લાગી. તે જોઈને ચાંડાળે પૂછયું કે, હે પ્રિયે ! તારું શરીર કેમ દુર્બળ થઈ રહ્યું છે ? ત્યારે તેણીએ જણાવ્યું કે, મને પાકેલ આમ્રફળ ખાવાની ઇચ્છા થઈ છે.
ત્યારે ચાંડાલે કહ્યું કે, આ આમ્રફળનો કાળ નથી, તો પણ હે પ્રિયે ! તને ગમે ત્યાંથી લાવી આપીશ. ચાંડાલે સાંભળેલ હતું કે, શ્રેણિક રાજાના બગીચામાં સર્વ ઋતુઓના ફળો થાય છે. બહાર રહેલા ચાંડાલે બગીચામાં પાકેલ આપ્રફળની ડાળી જોઈ. રાત્રિ થઈ ત્યારે અવનામિની વિદ્યાથી ડાળી નમાવીને આપ્રફળ તોડીને ફરી ઊંચી કરવાની વિદ્યાથી ડાળીને વિસર્જન કરીને હર્ષિત થયેલા તેણે પ્રિયાને આપ્રફળ આપ્યું, પૂર્ણ થયેલા દોહદવાળી તે ગર્ભને વહન કરવા લાગી.
હવે અવારનવાર વૃક્ષ તરફ નજર કરતાં આગલા દિવસે જોયેલ ફળની લુંબને આજે ફળરહિત જોઈ, શ્રેણિક રાજાએ રખેવાળ પુરુષને પૂછ્યું કે, અરે ! આ આમ્રફળની લેબને કોણે તોડી લીધી ? ત્યારે તેણે કહ્યું, હે દેવ ! અહીં બીજો કોઈ પુરુષ આવ્યો નથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org