________________
ચક્રવર્તી – ભરત કથા
૪૩
- તેમ કર્યા પછી ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરી. પછી સાત-આઠ ડગલાં પાછળ ખસીને ડાબો ઘૂંટણ ઊંચો કર્યો, જમણો ઘૂંટણ ભૂમિતળે અડાડ્યો. મસ્તકને ત્રણ વખત ભૂમિતલે લગાડી કંઈક નીચે નમ્યો. પછી બે હાથ જોડી મસ્તકે અંજલિ કરી, ચક્રરત્નને પ્રણામ કર્યા. પ્રણામ કરીને શસ્ત્રાગાર – આયુધ શાળામાંથી બહાર નીકળ્યો. નીકળીને જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા હતી, તેમાં જ્યાં સિંહાસન હતું, ત્યાં આવ્યો, આવીને પૂર્વાભિમુખ થઈને શ્રેષ્ઠ સિંહાસન પર બેઠો. બેસીને અઢાર શ્રેણિ–પ્રશ્રેણિ અર્થાત્ બધી જાતિના પ્રજાજનોને બોલાવે છે. બોલાવીને આ પ્રમાણે કહ્યું
હે દેવાનુપ્રિયો ! તમે બધા નગર અને રાજ્યવાસી પ્રજાજનો, આયુધશાળામાં વિજય વૈજયંત ચક્રરત્નના ઉત્પન્ન થવાના ઉપલક્ષ્યમાં એક અષ્ટાલિકા મહોત્સવ કરો. આ દિવસોમાં રાજ્યમાં ક્યાંય પણ કોઈ શુલ્ક કે કર લેવામાં નહીં આવે. ખેતી, હળ હાંકવું, લેણ-દેણ, ક્રય-વિક્રય બધું જ બંધ રાખવું. રાજનો કોઈ પુરુષ કોઈના ઘરમાં પ્રવેશ નહીં કરે. દંડ-કુદંડ માફ થશે. ઋણીનું ઋણ રાજ્ય ચૂકવશે. ગણિકા–નટ આદિના ઉત્તમ નૃત્ય, નાટક, ખેલ, તમાશા સાર્વજનિક સ્થળોમાં થશે. મૃદંગ આદિ વાદ્યો અને ગીતોનો નાદ સર્વત્ર ગુંજતો રહેશે. સંદેવ તાજા પુષ્પોની માળા રહેશે. એ પ્રમાણે પ્રત્યેક નગરવાસી તથા જનપદવાસી પ્રમુદિત મનવાળા થઈ મહોત્સવ કરે અને આજ્ઞાનુસાર મહોત્સવ સંપન્ન થયાની મને ખબર આપો.
આ પ્રમાણે ભરત રાજા દ્વારા આજ્ઞાપિત તે અઢાર શ્રેણી–પ્રશ્રેણી પ્રજાજનોએ તે આદેશ વચનોને સન્માનપૂર્વક, હર્ષિત થઈને – યાવત્ – સવિનય સાંભળ્યો. સાંભળીને ભરત રાજા પાસેથી પાછા ગયા. જઈને નગરીને શુલ્ક અને કર રહિત – યાવત્ – કરી, કરાવી. મહોત્સવ પૂર્ણ થયેથી ભરત રાજા પાસે આવ્યા. આવીને આજ્ઞાનુસાર મહોત્સવ થયાના સમાચાર આપ્યા. ૦ માગઘતીર્થ પ્રતિ પ્રયાણ :–
ત્યારપછી જ્યારે ચક્રરત્નનો આઠ દિવસીય મહોત્સવ સંપન્ન થઈ ગયો ત્યારે તે ચક્રરત્ન આયુધગૃહ શાળાથી નીકળ્યું, નીકળીને આકાશમાં અધર સ્થિત થયું. તે ચક્ર એક હજાર દેવોથી પરિવરેલું હતું. તે વખતે આકાશમંડલ દિવ્ય વાદ્યોના નિનાદથી ગુંજાયમાન થઈ રહ્યું હતું. આકાશમાં પ્રતિષ્ઠિત તે ચક્રરત્ન વિનીતા રાજધાનીની ઠીક મધ્યમાંથી થઈને નીકળ્યું. નીકળીને તે ગંગા મહાનદીના દક્ષિણ દિશાવર્તી કિનારાથી થઈ પૂર્વ દિશામાં રહેલા માગધ તીર્થ તરફ ચાલવા લાગ્યું. ભરતરાજાએ જ્યારે તે દિવ્ય ચક્રરત્નને ગંગા મહાનદીના દક્ષિણ દિશાના કિનારાથી પૂર્વ દિશામાં રહેલા માગધ તીર્થ તરફ જતું જોયું તો તે જોઈને હર્ષિત, સંતુષ્ટ – યાવત્ – હૃદયથી આનંદિત થઈને કૌટુંબિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને તેઓને આ પ્રમાણે કહ્યું
' હે દેવાનુપ્રિયો ! તમે જલદીથી આભિષેક્ય હસ્તિરત્નને સુસજ્જિત કરો, સુસજ્જિત કરીને શ્રેષ્ઠ હાથી, ઘોડા, રથ અને યોદ્ધા વડે યુક્ત ચતુરંગિણી સેનાને તૈયાર કરો. તૈયાર કરીને મારી આજ્ઞાનું પાલન થયાના અને સમાચાર આપો. ત્યારે તે કૌટુંબિક પુરષોએ પણ આજ્ઞાપાલન કરીને ભારત રાજાને તેની સૂચના આપી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org