SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ આગમ કથાનુયોગ-૧ પુત્ર શ્રેયાંસ યુવરાજ હતો. તે શ્રેયાંસકુમારે રાત્રિના એવું સ્વપ્ન જોયું કે શ્યામવર્ણ વાળો દેખાતો મેરૂ પર્વત તેણે અમૃતથી ભરેલા કળશો વડે સિંચન કર્યો. તેથી તે ઘણો જ શોભવા લાગ્યો. તે જ નગરના સુબુદ્ધિ નામના નગરશેઠને સ્વપ્ન આવ્યું કે સૂર્યમંડળથી ખરી પડેલા હજાર કિરણોને શ્રેયાંસકુમારે પાછા તેમાં સ્થાપન કર્યા. તેથી તે સૂર્યમંડળ અતિ પ્રકાશમાન થયું. રાજાને એવું સ્વપ્ન આવ્યું કે શત્રુની સાથે લડતો કોઈ પુરુષ શ્રેયાંસની સહાયથી વિજય પામ્યો. સવારે રાજ્યસભામાં એકઠાં થયેલા ત્રણેએ પોતપોતાના સ્વપ્ન પરસ્પર જણાવ્યા. રાજાએ કહ્યું કે, શ્રેયાંસને કોઈ મહાનું લાભ થશે. શ્રેયાસ પોતાના મહેલના ઝરૂખામાં બેઠો હતો. “સ્વામી કંઈપણ લેતા નથી” એ પ્રમાણે મનુષ્યોનો કોલાહલ સાંભળ્યો. “મેં પહેલાં આવો વેશ ક્યાંક જોયો છે” એવું વિચારતા તેને જાતિ સ્મરણ જ્ઞાન થયું. શ્રેયાંસે જાતિ સ્મરણ જ્ઞાનથી જાણ્યું કે પૂર્વે આ ભગવંત વજનાભ નામે ચક્રવર્તી હતા. તે વખતે હું તેમનો સારથી હતો. તે જ ભવમાં સ્વામીના પિતા વજસેન નામે હતા. તેમને મેં આવા તીર્થકર ચિન્હવાળા જોયા હતા. વજસેન તીર્થંકર પાસે વજનાબે દીક્ષા લીધી ત્યારે મેં પણ તેમની સાથે જ દીક્ષા લીધી હતી. તે વખતે તીર્થકર વજસેન પ્રભુના મુખે સાંભળેલ કે આ વજનાભ ભરતક્ષેત્રમાં પ્રથમ તીર્થકર થશે. તે જ આ તીર્થકર ભગવંત છે. એવામાં એક મનુષ્ય ઉત્તમ શેરડીના રસથી સંપૂર્ણ ભરેલા ઘડાઓ હર્ષપૂર્વક શ્રેયાંસકુમારને ભેટ કર્યા. નિર્દોષ ભિક્ષાની વિધિને જાણતા એવા શ્રેયાંસકુમારે પ્રભુને વિનંતી કરી કે, હે ભગવન્! આ કલ્પનીય ભિક્ષા ગ્રહણ કરો. પ્રભુએ પણ બંને હાથની પસલી (ખોબો) કરી તે હસ્તરૂપી પાત્ર આગળ ધર્યું. શ્રેયાંસકુમારે રસથી ભરેલા ઘડાઓ લઈને તેમાં ખાલી કરવા માંડ્યા. બધાં જ ઘડાનો રસ તેમાં રેડી દીધો. ભગવંત “અછિદ્રપાણિ” હોય છે. તેથી એક પણ બિંદુ નીચે ન પડ્યું. તે રસની શિખા ઉપર વધવા લાગી. ભગવંતની એવી લબ્ધિ હોય છે. આ રીતે ભગવંતને સાંવત્સરિક તપનું પારણું થયું. તે વખતે પંચ દિવ્યો પ્રગટ થયા :- ૧. વસુધારા વૃષ્ટિ – સાડાબાર કરોડ સોનૈયાની વર્ષા, ૨. વસ્ત્રની વૃષ્ટિ, ૩. દેવદુંદુભિનો નાદ, ૪. સુગંધી જલ અને પુષ્પોની વૃષ્ટિ, ૫. “અહોદાનમ્ અહોદાનમ્” એ પ્રમાણે આકાશમાં દેવોએ કરેલી ઉદ્ઘોષણા. આ પ્રમાણે પ્રગટ થયેલા દિવ્યોથી આશ્ચર્ય પામેલા લોકો તથા તે તાપસો શ્રેયાંસના ઘેર એકઠા થયા. શ્રેયાંસે તેઓને જણાવ્યું કે સદ્ગતિ મેળવવાની ઈચ્છાથી સાધુઓને આ પ્રમાણે નિર્દોષ આહારની ભિક્ષા આપવી જોઈએ. આ રીતે શ્રેયાંસે પ્રથમ ભિક્ષા આપી અને પ્રભુ પ્રથમ ભિક્ષાચર કહેવાયા. ૦ ભગવંત ઋષભદેવ અને શ્રેયાંસના સંબંધો : ત્યાં એકત્રિત થયેલા લોકોએ શ્રેયાંસકુમારને પૂછયું કે, “તમ કેમ જાણ્યું કે આ દાન કઈ રીતે દેવાય? શ્રેયાંસે કહ્યું કે જાતિસ્મરણ જ્ઞાનથી. કુતૂહલવાળા લોકોને શ્રેયાંસે ભગવંત સાથેનો આઠ ભવનો સંબંધ જણાવ્યો. (૧) જ્યારે સ્વામી ઈશાન દેવલોકમાં લલિતાંગ નામે દેવ હતા ત્યારે હું તેમની સ્વયંપ્રભા નામે દેવી હતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005008
Book TitleAgam Kathanuyoga Gujarati Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy