________________
તીર્થકર ચરિત્ર–ભ૦મહાવીર–કથા
૩૧૫
ત્યાંથી ભગવંત વિહાર કરી મ્લેચ્છ લોકોથી ભરપૂર એવી દૃઢ ભૂમિમાં ગયા. ત્યાં બહાર પેઢાલ નામનું ઉદ્યાન હતું. ત્યાં પોલાસ નામનું ચૈત્ય હતું. ત્યાં ભગવંતે અઠમ તપ કર્યો. ત્યાં એકરાત્રિની પ્રતિમાને રહ્યા. તે ધ્યાનમાં ભગવંતે એક પુદ્ગલ ઉપર દૃષ્ટિ સ્થિર કરી અનિમેષ નયને ધ્યાન ધર્યું. તેમાં પણ જે અચિત પુદ્ગલ હતા. ત્યાં દૃષ્ટિ સ્થિર કરી અને સચિત્ત વસ્તુથી દષ્ટિ ખેસવી લીધી. આ ધ્યાન ધરતી વખતે જાનુ સુધી ભુજા લંબાવી, શરીરને જરા નમાવ્યું, ચિત્ત સ્થિર રાખ્યું ઇત્યાદિ યથાસંભવ જાણવું.
તે વખતે ઘણાં દેવ-દેવીઓથી પરિવરેલા દેવરાજ શકે અવધિજ્ઞાનથી ભગવંતને ધ્યાનમગ્ર જોયા. સુધર્માસભામાં સિંહાસન પર બેઠેલ શક્ર હર્ષિત થયો, સંતુષ્ટ થયો, પ્રસન્ન ચિત્ત થયો. તેણે મસ્તકે આવર્ત કરી, અંજલિ કરી ભગવંતને નમસ્કાર કરી આ પ્રમાણે બોલ્યા, સિદ્ધિગતિ નામના સ્થાનને સંપ્રાપ્ત થનારા અરિહંતને મારા નમસ્કાર થાઓ. ઉત્તમ એવા જ્ઞાતકુળના નંદન, તીર્થકર, સ્વયં બોધ પામેલા, પુરુષોમાં ઉત્તમ, પુરુષોમાં સિંહ સમાન, પુરુષોમાં ઉત્તમ કમળ સમાન, પુરુષોમાં ઉત્તમ ગંધહસ્તિ સમાન, અભયને દેનારા. થાવત્ જેના સર્વે કાર્યો સંપન્ન થયા છે તેવા શ્રમણ ભગવંત મહતિ મહાવીર વર્ધમાન સ્વામીને મારા નમસ્કાર થાઓ. અહીં રહેલો એવો હું ત્યાં રહેલા ત્રિલોકવીર ભગવંતને વંદન કરું છું. ત્યાં રહેલા ભગવંત પણ અહીં રહેલા એવા મને જુઓ. એ પ્રમાણે ભગવંતને વંદન–નમસ્કાર કરીને પછી તે શક્ર ઉત્તમ સિંહાસન પર પૂર્વાભિમુખ થઈને બેઠા.
તે વખતે તે દેવેન્દ્ર શક્રએ ભગવંતના અતિશય ગુણથી આનંદિત થયેલા હૃદય વડે, હર્ષિત થયેલા હૃદય વડે, હર્ષના વશથી વિકસિત થયેલા હૃદય વડે, જેની રોમરાજી વિકસ્વર થઈ છે, કમલની જેમ વિકસિત થયેલા મુખ વડે ઘણાં સામાનિક, ત્રાયશ્ચિંશક આદિ દેવો અને દેવીઓને આમંત્રિત કરી આ પ્રમાણે કહ્યું, હે દેવો ! ત્રિલોકમાં મહાવીર સમાન એવા શ્રમણ ભગવંત મહાવીર પોતાની કાયાને વોસિરાવીને, દેહના મમત્વ ભાગનો ત્યાગ કરીને દેવ, મનુષ્ય કે તિર્યંચ સંબંધિ જે કોઈ અનુકૂળ કે પ્રતિકૂળ ઉપસર્ગો ઉત્પન્ન થાય છે તેને, સમ્યક્ રીતે સહન કરી રહ્યા છે.
* (અહીથી આગળ આવશ્યક ચૂર્ણિકારે ભગવંતના અણગાર સ્વરૂપની અદ્દભુત પ્રશંસા કરી છે. જુઓ “આવશ્યક ચૂર્ણિ–૧–પૃ. ૩૦૧-૩૦૩.” પરંતુ આ વર્ણન ભગવંતના કેવળજ્ઞાન પૂર્વેના અનગાર સ્વરૂપમાં કરેલું હોવાથી અહીં નોંધેલ નથી)
- ત્રિલોકવીર, ત્રિલોકસાર, ત્રિલોકના હિતમાં પરાક્રમી, ત્રિલોકને અભિભૂત કરતા રહેલા એવા શ્રમણ ભગવંત જિનવર મહાવીરને ત્રણલોકમાં પણ કોઈ દેવ કે દાનવ તેમના ધ્યાનથી લેશમાત્ર ચલિત કરવા સમર્થ નથી.
તે વખતે સંગમક નામનો એક સૌધર્મ કલ્પવાસી દેવ કે જે શક્રનો સામાનિક દેવ અને મિથ્યાષ્ટિ–અભવસિદ્ધિક હતો, તે રોષથી બોલ્યો, આ દેવરાજ રાગને લીધે બકવાદ કરી રહ્યો છે. મનુષ્ય એટલે વળી કોણ ? કે જેને દેવ ચલિત ન કરી શકે ? હું હમણાં જ જઈશ અને ક્ષણમાત્રમાં તે મનુષ્યને ચલિત કરી દઈશ. તે વખતે શક્રએ તેને અટકાવ્યો નહીં શક્રએ વિચાર્યું કે જો હું અત્યારે સંગમને અટકાવીશ તો તે એવું માનશે કે તીર્થકરો તો પારકાની સહાયથી જ તપ કરે છે. પ્રભુને ચલાયમાન કરવાની ઇન્દ્ર સમક્ષ પ્રતિજ્ઞા કરી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org