________________
તીર્થકર ચરિત્ર–ભ૦મહાવીર–કથા
૨૭૭
તિલકનું વન શોભે તે રીતે દેવોના સમૂહ વડે આકાશ શોભવા લાગ્યું. તે વખતે સતત વાગી રહેલાં નગાર, નોબત, ભંભા, વીણા, મૃદંગ અને ઇંદુભી આદિ અનેક પ્રકારના વાજિંત્રોના નાદ આકાશતલ અને ભૂતલ ઉપર ફેલાઈ ગયો. દેવગણ પણ ઘણાં બધાં નૃત્યો અને નાટ્યોની સાથે અનેક પ્રકારના તત, વિતત, ઘન અને સુષિર એવાં ચાર પ્રકારના વાજિંત્રો વગાડી રહ્યા હતા.
ભગવંતની શિબિકા પાછળ ગમન કરતા દેવોનો સમૂહ શુક્લ આદિ પંચવર્ણના પુષ્પોને વિખેરતો, દુંદુભીનો નાદ કરતો અને પ્રકર્ષતયા હર્ષિત થઈને ભગવંતની સ્તવના કરતો સર્વ દિશાઓ અને આકાશને શબ્દોથી વ્યાપ્ત કરી રહ્યો હતો. એ વખતે ભગવંતની આગળ સ્વસ્તિક, શ્રીવત્સ, નન્દાવર્ત, વર્ધમાનક, ભદ્રાસન, કળશ, મત્સ્યયુગલ અને દર્પણ એ પ્રમાણે રત્નમય એવા આઠ મંગલ ક્રમસર ચાલવા લાગ્યા. જે આઠે મંગલ દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ હતા. તેની પછી પૂર્ણકળશ, ભંગાર, ચામરો, મોટી પતાકા, વૈિડૂર્યરત્નજડિત એવા દંડ પર રહેલું સફેદ છત્ર અને મણિ તથા સુવર્ણમય સિંહાસન, પવનથી ઊંચે ફરકતી અને આકાશતળને સ્પર્શતી હોય તેટલી ઊંચી વિજય વેજયંતી ધ્વજા વગેરે ચાલવા લાગ્યા.
ત્યારપછી અસવાર રહિત એવા ઉત્તમ પ્રકારના ૧૦૮ ઉત્તમ ઘોડા, પછી એવા જ પ્રકારના ૧૦૮ ઉત્તમ હાથી અનુક્રમે ચાલ્યા. ત્યાર પછી ફરકતી પતાકાઓથી મનોહર લાગતા, ઘંટા અને વાજિંત્રોના નાદથી રમણીય બનેલા, અનેક પ્રકારના શસ્ત્રો તથા બખ્તરોથી ભરેલા એવા ઉત્તમ પ્રકારના ૧૦૮ રથ ચાલવા લાગ્યા. તેની પછી બખ્તર પહેરેલા અને સવાંગસુંદર એવા ૧૦૮ વીર પુરુષો ચાલ્યા. ત્યાર પછી અનુક્રમે ઘોડા, હાથી, પાયદળ, ઉત્તમ એવા રથવાળી ચતુરંગિણી સેના ચાલી. ત્યાર પછી હજારો પતાકા વડે શોભતો, હજાર યોજન ઊંચો, મા મોટો મહેન્દ્ર ધ્વજ ચાલ્યો.
ત્યારપછી ઘણાં ખગધારી, ઘણાં ભાલાધારી, ઘણાં બાજોઠધારી ક્રમસર ચાલ્યા. ત્યાર પછી ઘણાં હાસ્ય કરનારા, દવ કરનારા, ખેડુ કરનારા, ચારુ કરનારા, કંદપિંક, કૌકુચિક, ગાનારા, વગાડનારા, નાચનારાઓ હસતા-રમતા, હસાવતા–રમાડતા, આલોક કરતા જય-જય શબ્દ બોલતા ચાલવા લાગ્યા. ત્યાર પછી ઘણાં ઉગ્ર, ભોગ, રાજન્ય, ક્ષત્રિય, કોટવાળો, મંડળ અધિકારીઓ, કૌટુંબિકો, શ્રેષ્ઠીઓ, સાર્થવાહો વગેરે મહાવીર સ્વામીની આગળ-પાછળ અને પડખે અનુક્રમે ચાલવા લાગ્યા.
ત્યારપછી ઘણાં દેવ-દેવીઓ પોતપોતાના રૂપ, વેશ, ચિન્હ અને નિયોગપૂર્વક ભગવંતની આગળ, પાછળ, પડખે અનુક્રમે ચાલવા લાગ્યા. ત્યારે તે નંદિવર્ધન રાજા પણ (ઉવવાઈ સૂત્રમાં જણાવેલ કોણિક રાજાની માફક) ઉત્તમ હસ્તિરત્નના સ્કંધ પર સવાર થયેલો, કોરંટ પુષ્પની માળાથી આચ્છાદિત છત્રને ધારણ કરાયેલો, શ્વેત ચામરો વડે ઢોળાતો, હાથી, ઘોડા, રથ અને પાયદળ યુક્ત ચતુરંગિણી સેના સાથે પરિવરેલો, ઘણાં ભાટચારણો સહિત ભગવંતની પાછળ-પાછળ ચાલ્યો. તે વખતે સ્વામીની આગળ અશ્વ અને અસવારો ચાલતા હતા, બંને બાજુ હાથી અને મહાવતો હતા, પાછળ રથ અને રથ ચાલકો હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org