________________
૨૬૬
આગમ કથાનુયોગ-૧
(અધ્યાપક)ને ભેટ આપવા માટે પણ યોગ્ય મહામૂલ્યવાળા ઘરેણાં, વિવિધ પ્રકારના વસ્ત્રો, શ્રીફળ વગેરે ઉત્તમ વસ્તુઓ તૈયાર કરી. વિદ્યાશાળામાં ભણતા બાળકોને વહેંચવા માટે પણ સોપારી, સાકર, બદામ, દ્રાક્ષ, ચારોળી, મીઠાઈ, વસ્ત્રો આદિ મંગાવ્યા. સુવર્ણ– રત્ન અને રૂપાથી જડેલ પાટી, ખડીયો, લેખણ આદિ ઉપકરણો તૈયાર કર્યા.
કુળની વૃદ્ધાએ પ્રભુને પવિત્ર તીર્થજળ વડે સ્નાન કરાવ્યું. ચંદન, કપૂર આદિ સુગંધી પદાર્થોથી વિલેપન કર્યું. પછી ઉત્તમ વસ્ત્રો, દિવ્ય આભુષણો અને પુષ્પમાળાથી અલંકૃત્ થયેલા પ્રભુને ઉત્તમ હાથી પર બેસાડ્યા. પ્રભુના મસ્તક પર રમણીય છત્ર ધારણ કરાયું. શ્વેત ચામર વિંઝાવા લાગ્યા. વાજિંત્રોના મધુર સ્વરોપૂર્વક ગાયન ગવાતા હતા. વાચકોને ઇચ્છિત દાન અપાવા લાગ્યું. એ રીતે ચતુરંગી સેનાથી પરીવરેલા સ્વામી (વર્ધમાનકુમાર) લેખાચાર્ય–અધ્યાપકને ત્યાં પધાર્યા. લેખાચાર્ય પણ કપાળમાં તિલક કરી. ઉત્તમ સ્વચ્છ વસ્ત્રો પહેરી, આભુષણોથી અલંકૃત્ થઈ પહેલેથી જ રાહ જોતા બેઠા હતા. સ્વામી (વર્ધમાન) પણ પાઠશાળામાં આવી યોગ્ય સ્થાને બેઠા.
તે વખતે પ્રભુના પ્રૌઢ પ્રભાવથી ઇન્દ્રનું સિંહાસન ચલાયમાન થયું. ઇન્દ્ર તુરંત અવધિજ્ઞાનના ઉપયોગ વડે પ્રભુના પાઠશાળા ગમનનો વૃત્તાંત જાણ્યો. તે વિસ્મય પામીને બોલ્યો કે, હે દેવો ! જુઓ, ત્રણ જ્ઞાનના ધણી અને સર્વ શાસ્ત્રોના પારગામી તીર્થકર પરમાત્માને પણ માતા–પિતાએ મોહવશ થઈ અલ્પ વિદ્યાપારી સામાન્ય મનુષ્ય પાસે ભણવા મોકલ્યા છે. શક્રેન્દ્ર તુરંત જ ત્યાં આવ્યા. પંડિતને યોગ્ય આસન પર પ્રભુને બેસાડી પોતે બ્રાહ્મણ રૂપે પ્રભુને બે હાથ જોડી અંજલિ કરીને ઉપોઘાત, પદ, પદાર્થ, ક્રમ, ગુરુ, લઘુ, સમાસ, વિસ્તાર, સંક્ષેપ, વિષય, વિભાગ, પર્યાય, વચન, આક્ષેપપરિહાર આદિ લક્ષણ અને વ્યાખ્યા વડે વ્યાકરણના અર્થો પૂછ્યા. અકરાદિ પર્યાય, ભંગ અને ગમ પૂછ્યા. ત્યારે ભગવંતે તેના અનેક પ્રકારે ઉત્તરો આપ્યા.
કેટલાંયે પ્રશ્નો વ્યાકરણમાં અધિક કઠિન હતા. તેની સિદ્ધિ ઉપાધ્યાય પણ કરી શકતા ન હતા. તેના મનમાં ઘણાં લાંબા સમયથી રહેલા સંદેહોના ઉત્તરો જાણીને તે લેખાચાર્ય–ઉપાધ્યાય વિચારમગ્ન થઈ બેસી ગયા. ઇન્દ્ર તો અવધિજ્ઞાન વડે તે ઉપાધ્યાયના મનમાં રહેલા સંદેહો જાણીને ભગવંતને પ્રશ્નો પૂછેલા. ભગવંતના ઉત્તરોથી ઉપાધ્યાયના સંદેહોનું નિવારણ થયું અને “ઐન્દ્ર વ્યાકરણની રચના થઈ. સર્વે લોકો વિસ્મિત થઈ ગયા. અહો ! વર્ધમાનકુમાર બાળક હોવા છતાં આટલી બધી વિદ્યા જ્યાં ભણ્યા ? ઉપાધ્યાય પણ આશ્ચર્ય ચકિત થઈ ગયા. મોટા-મોટા પંડિતો જે સંશયોનું નિરાકરણ કરતા ન હતા, તે સંશયો આ બાળક હોવા છતાં તેણે દૂર કર્યા. તેમ છતાં આ બાળકની ગંભીરતા કેટલી છે ?
આવી વિચારણા કરતા ઉપાધ્યાયને જોઈને શકેન્દ્રએ તેને કહ્યું કે, હે વિપ્ર ! તમારે ચિત્તમાં આ બાળકને સામાન્ય મનુષ્ય માનવાની જરૂર નથી. આ તો ત્રણ જગના નાયક અને સકલશાસ્ત્રોના પારગામી એવા શ્રી વીર જિનેશ્વર છે. તેઓ ત્રણ જ્ઞાનના ધારક અને જાતિસ્મરણ જ્ઞાનવાળા હોવાથી આ બધું જાણે છે ત્યારે તે ઉપાધ્યાય પણ સંતુષ્ટ થયા. ઇન્દ્ર પ્રભુની સ્તુતિ કરી સ્વ-સ્થાને ગયા. ભગવંત સર્વ જન સાથે ઘેર આવ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org