________________
૨૨૨
આગમ કથાનુયોગ-૧
નીકળ્યા. યુદ્ધના મેદાનમાં કોઈ શત્રુને ન જોતા તેઓ પોતાના સૈન્ય સાથે પાછા ફર્યા. ફરી તે પુષ્પકરંડક ઉદ્યાનમાં પ્રવેશવા ગયા ત્યારે હાથમાં દંડ ગ્રહણ કરેલા દ્વારપાળે તેને રોકીને કહ્યું કે, હે સ્વામી ! તમે અંદર જશો નહીં. વિશ્વભૂતિએ કારણ પૂછ્યું, ત્યારે દ્વારપાળે જણાવ્યું કે, ઉદ્યાનમાં વિશાખનંદી રાજકુમાર ક્રીડા કરી રહેલ છે.
વિશ્વભૂતિ આ વાત સાંભળીને ઘણાં ગુસ્સે થયાં. તે સમજી ગયા કે તેને યુદ્ધના નિમિત્તનું કપટ કરીને ત્યાંથી બહાર કાઢવામાં આવ્યા છે. તેણે કોપાયમાન થઈને ત્યાં કોઠાના વૃક્ષ પર એક જોરદાર મુક્કો માર્યો. કોઠાના બધાં ફળો તે મુષ્ટિ પ્રહારથી જમીન પર પાડી દીધા. પછી દ્વારપાળોને કહ્યું કે, હું આ રીતે તમારા મસ્તકોને પણ પૃથ્વી પર રગદોડી નાખું એવી મારી તાકાત છે, પણ હું વડીલોના (–રાજાના) ગૌરવ ખાતર એમ કરીશ નહીં.
( ઉક્ત કથાનક આવશ્યક નિર્યુક્તિ અને આવશ્યક ચૂર્ણિને આધારે લખ્યું છે. કલ્પ.સૂત્ર–૧૯ની વિનયવિજયજી કૃત વૃત્તિમાં થોડો ભેદ છે. ત્યાં એવું જણાવેલ છે કે, વિશ્વભૂતિને ઉદ્યાનમાં જોઈને વિશાખનંદીને ઇર્ષ્યા થઈ. વિશાખનંદીએ કપટ કરીને સરળ સ્વભાવી વિશ્વભૂતિને બહાર કાઢ્યો અને પછી પોતે અંતઃપુર સહિત જઈ ઉદ્યાનમાં ક્રીડા કરવા લાગ્યો... વિશાખનંદીને કહ્યું કે, આ કોઠાના ફળની જેમ તમારા મસ્તકો પૃથ્વી પર રગદોળી નાખું એવી મારી તાકાત છે. પણ વડીલોની ભક્તિને કારણે જ તેમ કરી શકતો નથી.)
તમે છળકપટ કરી મને ઉદ્યાનમાંથી બહાર કાઢ્યો. આવા કપયુક્ત ભોગની મારે જરૂર નથી. અપમાનથી આઘાત પામેલા વિશ્વભૂતિ વિષયથી વિરક્ત બની ગયા. તેણે આર્યસંભૂતિ સ્થવિરની પાસે દીક્ષા લીધી. તેણે દીક્ષા લીધાનું સાંભળીને રાજા અંતઃપુર અને પરિજનો સહિત નીકળ્યા, યુવરાજ પણ નીકળ્યો. તે સર્વેએ વિશ્વભૂતિ મુનિની ક્ષમા માંગી. (તેને પાછા ફરવા કહ્યું, પણ તેણે તેઓની વિનંતી સ્વીકારી નહીં. ત્યાર પછી ઘણાં છઠ–અઠમ આદિ તપ વડે પોતાના આત્માને ભાવિત કરતા તે વિહરવા લાગ્યા. એ પ્રમાણે વિચરતા ૧,૦૦૦ વર્ષનો ઉગ્ર તપ તપતા તે મથુરા નગરી પધાર્યા.
આ તરફ વિશાખનંદીકુમાર પણ મથુરાના રાજાની અઝમહિષીની પુત્રીને પરણવા ત્યાં આવેલ. ત્યાં તેને રાજમાર્ગ પરના મહેલમાં ઉતારો આપેલ હતો. તે વિશ્વભૂતિ અણગાર માસક્ષમણના પારણે વિચરતા જે સ્થાને વિશાખનંદી કુમાર હતા તે પ્રદેશમાં આવ્યા. વિશાખનંદીકુમારના અનુચરોએ કુમારને કહ્યું કે, “સ્વામી ! તમે આ મુનિને ઓળખ્યા ?" કુમારે કહ્યું કે, “હું તેને ઓળખતો નથી.” કેમકે મુનિ અત્યંત કૃશકાય થઈ ગયા હતા. તેઓએ કહ્યું કે, આ વિશ્વભૂતિકુમાર છે. કુમારે વિશ્વભૂતિને ઓળખતા તેમના મનમાં રોષ ઉત્પન્ન થયો.
તે વખતે તુરંતની વિયાએલ ગાય સાથે અથડાવાથી વિશ્વભૂતિ મુનિ પડી ગયા. ત્યારે વિશાખનંદીકુમાર ખડખડાટ હસવા લાગ્યો. તે ઉપહાસ કરતા બોલ્યો કે, કોઠાના ફળને પાડી દેવાનું તમારું બળ ક્યાં ગયું ? ત્યારે વિશ્વભૂતિ અણગારે પણ આવેશમાં આવીને ગાયના શિંગડા પકડીને ચક્રની માફક ઘુમાવીને ગાયને આકાશમાં ઉછાળી. શું દુર્બળ સિંહ શિયાળથી પણ ઉતરતો હોય છે? શું આ દુરાત્મા હજી મારા પ્રત્યે રોષ ધરાવે છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org