________________
ધ્યાન અને જીવન એ ઘટાડવા માટે તો રાગની વિરોધી ભાવના કર્યા કરવી જોઈએ. પાતંજલ યોગદર્શન પણ કહે છે કે “પ્રતિપક્ષ ભાવનાથી રાગાદિ સંસ્કારોનો હ્રાસ થાય.” જૈનદર્શન તો એ કહે છે જ, એટલે તો અનિત્ય-અશરણ વગેરે બાર ભાવનામાં એક “આશ્રવ-ભાવના” મૂકી છે અને ચાર પ્રકારના ધર્મધ્યાનમાં એક “અપાયરિચય ધ્યાન” ગણાવ્યું છે.
આશ્રવ-ભાવનામાં એ ભાવવાનું છે કે “અહો ! આ ઈન્દ્રિયો, આ રાગ-દ્વેષ-લોભાદિ કષાયો મિથ્યાત્વ - અવ્રત (અવિરતિ) વગેરે કેવા કેવા ભયાનક આશ્રવ છે કે એથી કેટકેટલા ય કર્મ આત્મામાં શ્રવી આવે છે, વહી આવે છે !...' આમ પછી એકેક આશ્રવને લઈ એનાથી બંધાતા વિવિધ કર્મ અને એનાં દુઃખદ ફળ વિચારાય, એના દાખલા-દેષ્ટાન્ત વિચારાય, એથી આશ્રવો પ્રત્યે નફરત છૂટે, દિલ દુઃખિત થાય, એટલે આમાં રાગાદિ આશ્રવોના સંસ્કાર ઘસાતા આવે, રાગાદિની મમતા રાગાદિની પકડ મોળી પડે.
અપાયરિચયમાં એજ રાગાદિ-આશ્રવોથી નીપજતા અનર્થ પર ધ્યાન લગાવવાનું હોય છે. આશ્રવ-ભાવનામાં ચિંતન તો આશ્રવા અંગેનું જ, પરંતુ ચિત્ત એના એક વિષય પરથી બીજા વિષય પર, બીજાથી ત્રીજા પર, એમ ચિંતન ફરતું ચાલ્યા કરે. ત્યારે ધ્યાનમાં તો એકાગ્ર ચિંતન હોય, આશ્રવના એક વિષયની ઉપર ચિત્ત ચોંટી જાય, તન્મય વિચાર બને. અહીં રાગાદિના એક અનર્થ પર તન્મય ચિત્ત ચોંટ્યું, એનું તન્મય ચિંતન થયું, એની ભારે અસર પડવાની. હૃદયવેધી અને કલેજાને ફફડાવતા આ અસરવાળાં ચિંતનથી રાગાદિના સંસ્કાર પર જબ્બર પ્રહાર થવાનો, સંસ્કારમાં સારો એવો ઘસારો પડવાનો. એથી રાગાદિની પકડ ઢીલી પડી જવાની.
પુનઃ પુનઃ આશ્રવભાવના ભાવવા ઉપર આ અપાયરિચય-ધ્યાન સુલભ બને અને એ જ રાગાદિનું જોર ઓછું કરી શકે.
વાત એ હતી કે રાગાદિને ધક્કો પહોંચે એવું ધ્યાન જોઈએ. એ લાવવા માટે, રાગાદિ જેનાથી પોષાઈ રહ્યા છે એવા આર્તધ્યાનનું જોર ઘટાડવું પડે. હવે જો એની ભયાનકતા સમજાઈ જાય તો પછી એનું જોર ઓછું કરવાનું સરળ બને છે. આ ભયાનકતા સમજવા માટે પહેલાં તો એ સમજીએ કે ચાલુ જીવનમાં કેવાં કેવાં ભિન્ન ભિન્ન પ્રકારનાં આર્તધ્યાન કેટકેટલા ધૂમ પ્રમાણમાં ચાલે છે. આ માટે આર્તધ્યાનના ચાર પ્રકારની ઓળખ જુઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org