________________
Fe
ધ્યાન અને જીવન
વાણી શી વસ્તુ છે ? આકાશમાં કાચા માલ તરીકે ભાષા વર્ગણાના પુદ્ગલ (અણુજથા, અણુ) રહેલા છે. જીવ પોતાના વીર્યથી કાયયોગ યાને કાયિક પ્રવૃત્તિ કરી એને ગ્રહણ કરી, પછી આત્મવીર્યથી વાગ્યોગ યાને વાચિક પ્રવૃત્તિ દ્વારા એને શબ્દરૂપે પરિણમાવી છોડે છે. એ છોડવું એટલે જ બોલવું. એ જ વાણી. ભલે આપણને ખબર ન પડે કે આ બધી પ્રક્રિયા ક્યારે થઈ ? પરંતુ જેમ આપણે કોળિયો મોંમાં મૂક્યો અને ગળા નીચે ઉતાર્યો, પછી એના પર શી શી ક્રિયા થાય છે એની આપણને ખબર નથી પડતી, છતાં એ પ્રક્રિયા અંદર ચાલુ તો છે જ. એ એના રસ, ખળ વગેરે પરિણામ ઉપરથી નિશ્ચિત થાય છે કે આ રસ-ખળ આદિ તૈયાર માલ એ ખાધેલા અન્ન પર થયેલી પ્રક્રિયાનું પરિણામ છે, એમ અહીં આપણે મૌન હતા પછી કાંઈક બોલ્યા, એ તૈયાર વાણી કોઈક પ્રક્રિયાનું પરિણામ છે, કોઈક સામગ્રી અને ક્રિયાનું ફળ છે. ત્યારે બોલાતા શબ્દ એ પુદ્ગલ છે, Matter છે, એ આજે રેડિયો, ટેલિફોન, ફોનોગ્રાફની ચૂડી પડઘો, કાન પર ધાક વગેરે પરથી સિદ્ધ છે. બસ, એ શબ્દ પુદ્ગલનો મૂલ માલ, આત્મવીર્ય અને સશક્ત કાયા એ સામગ્રી તથા વીર્ય સ્ફુરણ, કાયપ્રવૃત્તિ એ ક્રિયા. એથી બન્યો શબ્દ. પછી વચનયોગના આત્મવીર્યનું સ્ફુરણ થવાથી થતી પ્રવૃત્તિ રૂપ ક્રિયા આવે એટલે વાણી રૂપ પરિણામ આવીને ઊભું રહે.
બસ, આ રીતે મન માટે સમજવાનું છે. જેમ ‘બોલવું' યાને વાણી એ પુદ્ગલના સહારે એક પ્રવૃત્તિ છે, એમ ‘વિચારવું' યાને મન એ પણ પુદ્ગલના આધારે એક પ્રવૃત્તિ જ છે. ફરક એટલો કે વાણી માટે ભાષા વર્ગણા નામના પુદ્ગલનો કાચો માલ કામ લાગે, તેમ મન માટે માનસવર્ગણા રૂપ પુદ્ગલ એ કાચા માલ તરીકે ઉપયોગી થાય. આત્મવીર્યના સ્ફુરણે કાયયોગથી માનસ પુદ્ગલોનું ગ્રહણ થાય અને પછી વીર્ય સ્ફુરણથી મનોયોગ દ્વારા એને મનરૂપે પરિણમાવી છોડવામાં આવે એ જ વિચાર્યું - ચિંતવ્યું કહેવાય.
ધ્યાનમાં રહે કે જેમ આપણે બોલવું જ છે, તો જ ભાષા પુદ્ગલોને શબ્દમાં પરિણમાવવાનું હોય, તેમ આપણે વિચારવું જ છે તો જ માનસ વર્ગણાને મનરૂપમાં પરિણમાવવાનું હોય. જો મૌન જ રાખવું છે, કશું બોલવું જ નથી તો શબ્દ બનાવવાનો શા સારુ ? એમ કશું વિચારવું જ નથી તો મન બનાવવાનું શાનું હોય ? અને ત્યાં જો મન જ નહિ, તો મનની શૂન્ય અવસ્થા શી ?
મનની શૂન્ય અવસ્થા એટલે તો એજ કહેવું છે ને કે મનમાં કોઈ લેશમાત્ર પણ વિચાર જ નહિ ? પરંતુ જો વિચાર જ નથી તો મન શું ? ત્યાં મનને જનમવાનું જ શાનું હોય ? ન જ હોય. શૂન્યાવસ્થા મન જેવી કોઈ ચીજની ન કહેવાય, શૂન્યાવસ્થા મનની એટલે આત્માની હજી કહેવાય, કે જ્યાં કોઈ વિચાર નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org