________________
૯. ચિત્તની અવસ્થાઓ ‘ધ્યાનશતક' શાસ્ત્રના કર્તા:
ધ્યાનશતક' શાસ્ત્રના કર્તા ઃ
આપણે ત્યાં, ‘પૂર્વ' નામના સાગરસમ આગમ શાસ્ત્રના જાણકાર પ્રકાંડ વિદ્વાન અને સમર્થ શાસ્ત્રકાર આચાર્ય શ્રી જિનભદ્રગણી ક્ષમાશ્રમણ થઈ ગયા. એમણે એકલા ‘કરેમિભંતે' સૂત્ર યાને સામાયિક સૂત્ર પર મોટું ભાષ્ય રચ્યું છે, જે વિશેષાવશ્યક ભાષ્ય તરીકે પ્રસિદ્ધ છે. એમાં પાંચ જ્ઞાનનો બહુ વિસ્તૃત અધિકાર છે. પછી નયવાદ, ગણધરવાદ, નિહ્નવવાદ વગેરે વિસ્તારથી ચર્ચ્યા છે. એ જ મહર્ષિએ ધ્યાનના વિષય ઉપર ‘ધ્યાનશતક’ નામનું પ્રકરણ રચ્યું છે. એમાં ધ્યાનનું સ્વરૂપ શુભાશુભ ધ્યાનના ચાર પ્રકાર, એ દરેક પ્રકારના ચાર-ચાર પ્રકાર મુદ્દા લઈ લઈને સારી રીતે સમજાવ્યા છે.
ધ્યાનશતક.શાસ્ત્રની ઉપયોગિતા ઃ
આનો આપણે બરાબર અભ્યાસ કરીએ તો રોજિંદા જીવનમાં ડગલે ને પગલે આપણે કેવા કેવા અશુભ ધ્યાનમાં સપડાઈએ છીએ, એનાં લક્ષણ ક્યાં, એ કેમ ઉદ્ભવે છે, એનું ફળ શું ઈત્યાદિ ખ્યાલમાં આવે છે. આ જો ખ્યાલ હોય તો જ આપણે ભડકવાનું થાય કે ‘અરે ! હું આટઆટલા અશુભ ધ્યાનમાં સબડું છું ? તે ય હાલતાં ને ચાલતાં ? એનાં દુઃખદ મહાદુ:ખ ફળ મારે ભોગવવાં પડવાનાં ?' આવી ભડક થાય, તો પછી એને ટાળવા કેવાં શુભ ધ્યાન ઉપયોગી બને એની જિજ્ઞાસા જાગે અને એ પણ આ શાસ્ત્રમાંથી જાણવા મળે છે. એવાં શુભ ધ્યાનનો બાર પોઈન્ટથી બાર મુદ્દાથી આમાં વિચાર કરાયો છે. એ અદ્ભુત વિચાર છે. આપણે એને ગ્રંથના ક્રમે જોઈએ.
ધ્યાન એ મનની એક અવસ્થા છે. મનની બે જાતની અવસ્થા,
(૧) ચલ યાને અસ્થિર
(૨) સ્થિર. અહીં પૂછો,
પ્ર. - મનની શૂન્ય અવસ્થા કેમ ન લીધી ?
ઉ. - એટલા માટે ન લીધી કે જેને મનની એવી શૂન્ય અવસ્થા સમજીએ છીએ એમાં ય મન કામ કરતું છે. મન શી ચીજ છે એ સમજો એટલે આ સ્પષ્ટ થઈ જશે. પહેલાં એ જુઓ કે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org