________________
ધ્યાન અને જીવન
૩૭
(૬) વળી એક લાભ સારા સંસ્કરણનો થાય. અત્યારે શુભ ભાવ કરો, એ ભવિષ્ય માટે એના સંસ્કાર ઊભા કરે, જે ફરીથી શુભ ભાવ લાવે, શુભ ભાવને દૃઢ બનાવે, પ્રબળ બનાવે. દયાનો, ક્ષમાનો, વૈરાગ્યનો વગેરે શુભ ભાવ કરતા રહેવાથી એવા એના સારા સંસ્કાર પણ પડતા રહે કે જે આગળ વિશેષ પ્રબળ શુભ ભાવ લાવે. તો એના પાછા ભાવી લાભ કેટલા સુંદર !
(૭) આ બધી સ્થિતિમાં અશુભ કર્મોનો બંધ અટકે. અશુભમાં સંક્રમણ અટકે, શુભ કર્મના રસની અપવર્તના (કાપ) અટકે, અશુભ સંસ્કાર ઊભા થતા રોકાય વગેરે લાભ પણ ખરા ને ?
એક શ્રાવિકા ચૂલો ફૂંકતા અને રસોઈ કરતાં પણ જો (૧) પાપનો ખેદ, (૨) જીવોની દયા, (૩) સંસાર પર ઉદ્વેગ અને (૪) મોક્ષની લાલસાના શુભ ભાવમાં ઝીલી રહી છે, તો આટલા બધા લાભ પામે છે ! ત્યારે દેવદર્શનાદિ ધર્મક્રિયા વખતે શુભ ભાવમાં ઝીલે એ કેવા સુંદર લાભો પામે ? એમ નહિ કહેતા કે - ક્રિયાનું પણ મહત્ત્વ શું ? :
પ્ર. - તો પછી મહત્ત્વ શુભ ભાવનું જ રહ્યું ને ? ક્રિયા ગમે તે ચાલે.
ઉ. - ‘ક્રિયા ગમે તે ચાલે' એનો અર્થ તો એ થાય કે પાપક્રિયાનો વાંધો નહિ. ભાવ ચોખ્ખા રાખવા' આવું ન બોલાય, ન વિચારાય, કેમકે
સામાન્યથી ક્રિયા તો ભાવની પ્રેરક છે.
શુભ ધર્મક્રિયાથી શુભ ભાવ જાગે, અશુભથી અશુભ-આ સામાન્ય નિયમ.
વીતરાગના દર્શનમાં વૈરાગ્ય આદિ શુભ ભાવ જાગે-વધે. પ્રિયાનાં દર્શનમાં મોહ રાગ જાગે-વધે.
દુઃખીને દાન કરો ત્યાં દયાનો ભાવ રહે. જાતના જ રંગ વિલાસમાં ખર્ચો ત્યાં મોહ, નિષ્ઠુરતા વગેરે અશુભ ભાવ પોષાય.
રૂપિયા ગણતી વખતે મોહના ભાવ ચમકે, નવકારવાળી ગણતાં ધર્મરાગ વધે. માટે આ સામાન્ય નિયમ કે ધર્મક્રિયાથી શુભ ભાવ પોષાય, પાપક્રિયાથી અશુભ ભાવનું પોષણ થાય.
છતાં અપવાદે એવું બને કે સાવધાની રાખો તો પાપક્રિયામાં ય શુભ ભાવ જગાવી શકો પણ આ અપવાદ કહેવાય. દિવસભરની પાપક્રિયાઓ, પાપવાણી મનથી સાંસારિક યોજનાઓ વખતે તથા ઈન્દ્રિયોના વિષયસંપર્ક તપાસી જુઓ કે શુભ ભાવ કેટલા આવે ? અને અશુભ કેટલા ? એ પરથી નિયમની ખબર પડશે. મોટા ભાગે આર્તધ્યાનના જ ભાવ ચાલતા હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org