________________
૧૮૮
ધ્યાન અને જીવન
કરી કરી વૈરાગ્ય ઉપશમ વગેરેનો જોરદાર અભ્યાસ કર્યે જવાનો હોય ત્યાં ક્ષણની ય નવરાશ કેવી ?
શેઠ મુનિને લાવી બંગલો બતાવે છે :
પેલો શેઠ બિચારો આ સમજતો નથી, એ તો સાધુને ગામેગામ વાતોચીતો કરનાર તરીકે સમજે છે; તેથી પોતાના બંગલાની ગામેગામ વાત કરે એ માટે કોઇ મુનિને તપાસ કરી પોતાના ગામમાં લઈ આવે છે.
શેઠિયો મહારાજને લાવીને ગોચરી-પાણીની ભકિત કરી, મહારાજ બહાર જંગલે જઈને પાછા વળતાં, એમને રસ્તામાં પોતાના બંગલામાં લઈ આવે છે. બંગલાનો ભોંય-મજલો બતાવતાં કહે છે ‘જુઓ સાહેબ ! આ ફરસી ખાસ અમુક પહાડના આરસપહાણની. એની ભાત બનાવવા માટે મોટા કળાકાર પાસે પહેલાં સ્કેચ કરાવેલો. આ ઉપરની છત જોઈ સાહેબ ? એમાં શાસ્ત્રમાં આવે છે એવા દેવલોકના ઉદ્યાનનું દૃશ્ય ચિતરાવવામાં આવ્યું છે...' ચાલી મોહના નશાની વાણી.
મુનિનું કર્તવ્ય :
વાણિયો બોલતો જાય છે અને સાધુના મોં સામે જોતો જાય કે, ‘આ દેખીસાંભળીને ચમત્કાર પામે છે ? રાજી રાજીનો પોટલો થઈ જાય છે ?’ પરંતુ સાધુ પહેલાં તો વિચારમાં જ પડી ગયા કે ‘આ તે અહીં જરા વિસામો લેવા લાવ્યો છે? કે આ બધું લેકચર કરવા ?' પણ પછીથી શેઠિયો બંગલાના કામનું વર્ણન કરવા મંડયો છે એ જોઈ સમજી ગયા કે ‘આ બીચારો આ નવા બંગલામાં ભારે આસક્ત થઈ ગયો લાગે છે, તેથી આ ગુણગાનમાં લાગ્યો છે, ને સાથે અમારા સારા પ્રમાણપત્રને ઈચ્છતો લાગે છે. પણ સહેજ મોં મલકાવી કે આંખ ચમકાવીને ય આવા મહા આરંભના કામમાં અમારાથી ભૂલેચૂકે જરાય અનુમોદન ન થાય, એના રાગને જરાય પોષણ ન અપાય, એ સાવધાની રાખવાની છે. તેથી મહારાજ આંખ અને મુખ પર ખાસ ગંભીરતા સાચવે છે.
સાધુતામાં રહેવા જગત પ્રત્યે ઉદાસીનતા :
ત્યારે શેઠિયો બિચારો ‘બંગલો એટલે શી વાત ?’ એમ એમાં પાગલ થયેલો સાધુના દિલની વાત ક્યાંથી સમજી શકે ? એ તો હવે ઉપરના મજલે લઈ જાય છે. ત્યાં વળી આગ્રાના કારીગરોનું નકસીકામ, જયપુરના કળાકારોનું ચિત્રકામ, ઈરાનની ફરસી, કાનપુરી કાચકામ, વગેરે કેટલુંય વર્ણન કરે છે. જાતે ને જાતે ભારે આશ્ચર્ય પામવા સાથે બોલતો જાય, ને મહારાજના મોં સામે જોતો જાય, પરંતુ સાધુ એમની સાધુતામાં રહેલા, તે એમના ચહેરા પર કોરી કડકડતી ઉદાસીનતા જોવા મળે છે. સાધુતા જાળવવી હોય તો જગત પ્રત્યે ઉદાસીનતા જ જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org