________________
અધ્યાત્મયોગ તત્ત્વચિંતન ]
(૧૦૫)
વૈરાગ્ય વિનાના ત્યાગમાં મઝા નહિ :મહાબળ રાજાને જાગૃતિ આવતાં માનવ જીવનમાં જ શક્ય એવા ઉપાદેય તત્ત્વોની આરાધના તરફ દષ્ટિ ગઈ, એની ચિંતા જાગી. એમાંથી વૈરાગ્ય ઊભો થયો. વૈરાગ્ય વિના તો વિપુલ રાજ્યસંપત્તિ-પરિવાર-વિષય-સુખો કેમ છોડાય ? ને વૈરાગ્ય વિના છોડવામાં મઝા ય શી આવે ? મનમાં એ સંપત્તિ-સગવડો યાદ આવ્યા કરે, ને ચિત્તસંતાપ અગર એવી નવી પ્રાપ્તિની ઝંખના મનને સતાવ્યા કરે. એટલે વૈરાગ્ય તો જોઈએ જ.
રાજાને વૈરાગ્ય શી રીતે જાગ્યો ? ઉપાદેય તત્ત્વની શ્રદ્ધા પર. મનને એમ થયું કે જયારે જીવનમાં આવી સુંદર સંવર-નિર્જરાની યાને અહિંસા-સંયમ-તપની સાધના એ મહાકલ્યાણ કર્તવ્ય રૂપ પડી છે તો પછી બીજું બધું બેકાર છે. અસાર તુચ્છ છે.” બસ ઊઠયા, ૮ દિવસ જિનભક્તિ-ઉત્સવ કરી ચારિત્ર લીધું, અને ત્યાં જ જીવનભરનું અનશન કરી દીધું. શું કામ બાકી રાખે ? ઉપાદેય તત્ત્વની શ્રદ્ધા એવી કરવી કે એમાં વૈરાગ્ય થાય.
એ શ્રદ્ધામાં એમ થાય કે સર્વજ્ઞ ભગવાને ઉપાદેય-કર્તવ્ય આદરણીય તરીકે (૧) અહિંસાદિ ધર્મ, ક્ષમાદિ ગુણ, અનિત્યતા અશરણ આદિ ભાવના, તેમજ સુધાતૃષાદિ પરિસહ વગેરેને બતાવ્યા છે, અને એને મહાકલ્યાણકારી કહ્યા છે. એ સંવર તત્ત્વ છે. એમ (૨) બાર પ્રકારના તપને મહાહિતકર બતાવ્યા છે; એ નિર્જરા તત્વ છે.માટે જ આ સંવર-નિર્જરા તત્ત્વ ઉપાદેય અર્થાતુ આદરણીય, સેવ્ય, આરાધ્ય કહ્યા છે. જગતમાં સંવર-નિર્જરા એ જ સારભૂત છે, એથી બીજું બધું અસાર છે, તુચ્છ છે. આદરણીય નથી. એના પર શા રાગ કરવા ? શો એનો આશરો માનવો? એ રીતે ઉપાદેય તત્ત્વની શ્રદ્ધાથી સંસાર પર વૈરાગ્ય થાય. તત્વશ્રદ્ધા સાથે વૈરાગ્ય કેમ સંકળાયેલો ?:
એમ, શેય-હેય-ઉપાદેય, ત્રણે ય પ્રકારની તત્વની શ્રદ્ધા વૈરાગ્યને જગાવનારી છે. અથવા એમ કહો કે તત્ત્વની શ્રદ્ધા ખરેખરી શ્રદ્ધા હોય તો વૈરાગ્ય એની અંદર સમાવિષ્ટ જ હોય. જેને સંસાર પર વૈરાગ્ય નથી, એને તો સંસાર સારભૂત લાગે છે. એને સંસારનો જ રસ રહે છે, સંસારથી એને કોઈ કંટાળો નથી. એવાને તત્વ સાથે શો સંબંધ ? તત્ત્વમાં શિરોમણિ મોક્ષ તત્ત્વ છે. હવે જે સંસારમાં જ રસ છે, તો એને મોક્ષની શી જરૂર ? શી પરવા ? મોક્ષ એટલે સંસારથી છૂટકારો. સંસારરસિયાને એવા મોક્ષ માટે શો રસ હોય ? જો એ નહિ તો પછી મોક્ષ-સાધક સંવર-નિર્જરામાં ય શો રસ ? અને મોક્ષ-વિરોધી આશ્રવ-બંધ તરફ સૂગ પણ શાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org