________________
અધ્યાત્મયોગ ઃ તત્ત્વચિંતન
૯૫
તો પછી આ જગતની બે ચાર ચીજમાં દગો દેખ્યો પછી એની બીજી ચીજો પર વિશ્વાસ કેમ બેસે ?
જરાક લોભમાં લાભ કેવો જાય ?
સુજયેષ્ઠા ને સંસાર પરથી કેમ વિશ્વાસ ઊઠયો ?
ચેડા મહારાજાની મોટી પુત્રી સુજ્યેષ્ઠાને આવું જ બન્યું. શ્રેણિકના ચિત્ર અને વર્ણન પરથી આકર્ષાઈ એની સાથે પરણવાનું નક્કી કર્યું. પરંતુ એ કાંઈ એ વખતે જૈન રાજા નહિ. એટલે બાપ ચુસ્ત શ્રાવક તે એને એની સાથે કેમ પરણાવે ? તેથી શ્રેણિકે ગુપ્તપણે સુરંગથી આવીને એને લઈ જવી એવી ગોઠવણ કરી. શ્રેણિક આવવા નીકળી ગયો છે, અને સુજ્યેષ્ઠા સુરંગના નાકે પહોંચી રાહ જોતી ઊભી છે. એમાં એને યાદ આવ્યું કે રત્નના દાગીનાનો દાબડો લેવો રહી ગયો; તે લેવા માટે પાછી મહેલમાં ગઈ.
લોભમાં કેવી થાપ ખવાય છે ? :
માણસ કયાં થાપ ખાઈ જાય છે એની પોતાને ખબર નથી રહેતી. જરાકશા લોભમાં કટોકટીનો કેવો પ્રસંગ છે એ જોવું ભૂલી જાય છે. અહીં પરરાજ્યમાં શ્રેણિકે આવવાનું છે. અને સુજ્યેષ્ઠાએ એની સાથે ભાગવાનું છે. એ સમય કટોકટીનો છે. કેટલી જહેમતે સુરંગ ખોદાવી હોય, પાછું એ કાર્ય ગુપ્ત રાખ્યું હોય, જેથી ચેડારાજાને એની ગંધ ન જાય. હવે ત્યાં શ્રેણિક આવે તે શું રાહ જોતો ઊભો રહી શકે ? પણ સુજ્યેષ્ઠાને લાગ્યું કે આ હું હમણાં જ દાબડો લઈને આવું છું; તે ગઈ અને તરત શ્રેણિક ત્યાં આવી ગયો.
શું સુજ્યેષ્ઠાને મગધસમ્રાટ જેવો પતિ મળ્યા પછી રત્નના દાગીના ન મળત ? પરંતુ ભવિતવ્યતા ભૂલાવે છે. આ ભૌતિક લાભની વાત છે કે સમ્રાટ જેવો પતિ મળે, તો ય ત્યાં લોભવશ થાપ ખવાઈ જાય છે. ત્યારે આધ્યાત્મિક લાભ થવાની વાત હોય ત્યાં લોભ કેમ થાપ ન ખવરાવે ?
થોડા લોભમાં આત્મહિત કેવું ગુમાવવાનું થાય છે, એ જુઓ. એક ભાઈને વર્ધમાન આંબેલ તપનો પાયો નાખવો હતો. એમાં પહેલી પાંચ ઓળી તો સાથે જ કરવી પડે ! એક આંબેલ પર ઉપવાસ, એના પર જ બે આંબેલ ને ઉપવાસ. એમ છેડે પાંચ આંબેલ પર ઉપવાસે પાયો પૂર્ણ થાય. આ ભાઈએ પહેલા આંબેલમાં, પછી ઉપવાસમાં ઢીલા ન પડાય એ ગણતરીએ માપથી વધારે ખાવાનો લોભ કર્યો તો પરિણામ એ આવ્યું કે એ રાતે જ તબીયત નરમ પડી. સવારે ભાઈ ઢીલા પડયા. ઉપવાસની વાત ઊંડી અને પારણું થઈ ગયું. અંતરપારણે વધુ ખાવાથી ઉપવાસ બગડે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org