________________
ધ્યાન અને જીવન
૨૬
એમાં જ જીવ આર્તધ્યાન કરી કરી અનંતાનંત કાળથી સંસારમાં ભટકી રહ્યો છે. ધર્મધ્યાન વિના સંસારથી ઉદ્ધાર નહિ.
પરિગ્રહસંજ્ઞામાં ધન માલ વગેરેને સુખનું સાધન માની એનો સંગ્રહ સંચય કરવાની લત રહે છે. એક દાંત ખોતરવાની સાવરણીની સળી પણ ખોતરવા લીધી, ખોતરી લીધું, પછીય એ ગોખલામાં રાખી મૂકવાનું મન થાય, કેમ? ‘કાલે કામ લાગશે, રાખી મૂકો' આ વૃત્તિ રહે છે, એ પરિગ્રહસંજ્ઞાનો પ્રતાપ છે. લાખો કરોડો રૂપિયા ભેગા કર્યા. પણ ‘એમાંથી પોતે કેટલું ભોગવી શકશે ? જો અધવચ્ચે એમ જ પડતા મૂકીને મરવાનું આવશે તો પછી એ પોતાને શા કામના ?’- એનો કોઈ વિચારજ નહિ. ‘બસ, રાખી મૂકો, ભેગું કરો, સાચવી રાખો,'- એજ એક લત, એ પરિગ્રહસંજ્ઞાની સાધના છે.
નિદ્રાસંજ્ઞાને લીધે જ્યાં અવકાશ મળ્યો કે આરામ કરવાની જ લત રહે છે. એ એવી ભૂંડી છે, એવી ખતરનાક છે, કે શિયાળાની વહેલી રાતે સૂઈ ગયા પછી ૬૭ કલાક ઊંઘ થઈ ગઈ, આંખ ઊઘડી ગઈ, ઘડિયાળમાં ૩-૪ વાગ્યાનું દેખ્યું, ત્યાં એમ થાય છે કે ‘હજી ઊંઘો, શી ઉતાવળ છે ઊઠવાની?' કોઈ ધર્મસાધનામાં બેઠો, પણ પછી જો તરત સૂઈ જવાની લત છે તો એ ધર્મસાધના વખતે મનમાં એમ આવ્યા કરશે કે ‘કેમ આ ઝટ પૂરી કરી નાખું ને જલ્દી સૂઈ જાઉ.' એટલે પછી આખી ય ધર્મસાધના રસ વિનાની થાય છે. એમાં લોચા વળે છે. વેઠ ઊતરે છે. મિઠાશ આરામ લેવાની રહે છે. આ સંજ્ઞાનું તોફાન છે. ત્યારે,
કષાયસંજ્ઞામાં જ્યાં જ્યાં મોકો આવ્યો ભલે વિચારસરણીમાં, ત્યાં ત્યાં ક્રોધ માન માયા લોભ હર્ષ ખેદ વગેરે કરી લેવામાં સંકોચ નહિ, ભય નહિ, એ દશા હોય છે.
આ બધી આહાર આદિ સંજ્ઞાની સાધનાની સામે પ્રજ્ઞાની સાધના છે. એમાં ‘કેમ એ આહારાદિની લપ થોડા પણ કાળ માટે છોડું ! કેમ ત્યાગ તપ, ક્ષમા નમ્રતાદિ, અર્હદ્ભક્તિ, સાધુસેવા, દયા-દાન પરોપકાર, શાસ્ત્રચિંતન વગેરે સાધી લઉં.’ આ ધગશ રહે છે. ધગશભર્યો પ્રયત્ન રહે છે. માનવ જીવનની એ લ્હાણ દેખાય, લહાવો લાગે, આહાર-વિષય- પરિગ્રહ-નિદ્રા-કષાયો એ પશુરમત લાગે, પાપરૂપ લાગે, એથી બચવાની વૃત્તિ રહે, ધર્મસાધનાની હોંશ રહે. એ બધું પ્રજ્ઞાને આભારી છે. સંજ્ઞાની સામે પ્રજ્ઞા.
આ પ્રજ્ઞાની સાધના ચાર રીતે થાય:-(૧) પ્રીતિથી, (૨) ભક્તિથી, (૩) વચનથી અને (૪) અસંગ-અનાસક્તિથી.
પહેલે પગથિયે પ્રીતિ-ભક્તિથી પ્રજ્ઞાની સાધના થાય, ધર્મસાધના થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org