________________
૨૩૬ ધ્યાન અને જીવન
તો પણ આત્મા મલિન ભાવોને અટકાવવામાં અને પવિત્ર ભાવોને વિકસાવવામાં સ્વતંત્ર છે. માટે તો મુનિ એ કરી શક્યા. એ કાયા કરતાં જુદા આત્મદ્રવ્યની સિદ્ધિ કરે છે. તો હવે મારે આ શરીરથી સર્યું. મારે બહારના વિષયો, માનપાન અને આ શરીર સાથે શો સંબંધ છે ? કશો જ નહિ. મારે સંબંધ છે આત્મા સાથે, આત્માના વૈરાગ્ય ભાવ ઉપશમભાવ ઉદાસીનભાવ વગેરે પવિત્ર ભાવો સાથે...'
આત્મ-સ્વાતંત્ર્યની અજમાયશ ઃ
બસ, અસંમત નાસ્તિકે મનથી કાયા અને કાયિક સુખની પરાધીનતા મૂકી આત્માનું ખરેખરું સ્વાતંત્ર્ય અજમાવ્યું. અશુભ ભાવોથી એ પોતાના આત્માને તદ્દન અલગ અલિપ્ત કરતો કરતો શુભ ભાવોમાં ચડ્યો અને આગળ વધતાં શરીર-આત્માના ભેદનો સચોટ અનુભવ કરતો શરીર પ્રત્યે પણ તદ્દન અનાસક્ત ભાવમાં ચડી ગયો. આત્મતત્ત્વના એકાકાર ચિંતનમાં રમતાં એ આત્માની સ્વરૂપ-રમણતાના શુભ ભાવમાં આરૂઢ થયો. ત્યાં શુક્લધ્યાન લાગતાં એણે ક્ષપકશ્રેણી માંડી પહેલાં મોહનીય કર્મનો અને પછીથી બાકીના જ્ઞાનાવરણીય આદિ સમસ્ત ઘાતીકર્મોનો સર્વથા નાશ કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું ! કેમ કર્યું ? કહો, પહેલાં એ નાસ્તિકતા આચરવા સ્વતંત્ર હતો, તે સ્વતંત્રતા હવે શુભ ભાવો વિકસાવવામાં વાપરી.
આત્માનું આ સ્વાતંત્ર્ય વિચારવા જેવું છે, મન પર લેવા જેવું છે. શરીર એનું એ ઊભું થતાં પ્રતિકૂલતામાં એકવાર ક્રોધાદિ ભાવો ભભુકી ઉઠે છે અને વિવેક આવતાં બીજીવાર ક્ષમાદિ ભાવો ઝળહળી ઉઠે છે ! એ સૂચવે છે કે શરીરની અંદર આ ભાવોનું પરિવર્તન કરનાર આત્મા જેવી કોઈ જુદી વસ્તુ છે, જે એ ક્ષમાદિ શુભ ભાવો કરવામાં સ્વતંત્ર છે.
આત્માનું આ મહાકલ્યાણકર સ્વાતંત્ર્ય લક્ષમાં લેવાય તો બહારના સંયોગોને મહત્ત્વ ન આપતાં પોતે અંતરના મલિન ભાવોને અટકાવી શુભ પવિત્ર ભાવો ઝગમગાવી શકે, માત્ર પોતાની સ્વતંત્રતાનું ભાન જોઈએ, એનું મહત્ત્વ સમજાવું જોઈએ, એના સદુપયોગનો પુરુષાર્થ કરી લેવાની ગરજ જોઈએ, તમન્ના જોઈએ. એ ગરજ-તમન્ના ઊભી કરાય, પછી જુઓ પુરુષાર્થ.
આત્માનાં સ્વાતંત્ર્યનો સદુપયોગનો પુરુષાર્થ કરી લેવા માટે શું માનવભવને તોલે કોઈ બીજો ભવ છે ? ના, નથી. આત્મા તો તિર્યંચ શરીરમાં પણ છે, દેવના શરીરમાં ને નારકીના શરીરમાં પણ છે, કિન્તુ તિર્યંચગતિમાં વિવેક નહિ, દેવ ગતિમાં નિઃસીમ ભોગવિલાસ, નરકમાં ભયંકર મારપીટ, ત્યાં સ્વાતંત્ર્ય કેટલું અજમાવી શકે ? એ તો એક આ માનવભવ જ એવો સહાયક છે કે જ્યાં મલિન અશુભ ભાવોને અટકાવવામાં અને શુભ-શુદ્ધ પવિત્ર ભાવો વિકસાવી ૫૨મ શુદ્ધ ભાવમાં પહોંચી જવામાં આત્મા પોતાનું સ્વાતંત્ર્ય અજમાવી શકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org