________________
ધ્યાન અને જીવન
૨૩૩
‘તો હવે મારું શું થશે ? ઉત્તમ માનવ જીવનની આ કેવી ભયંકર બરબાદી કરી ? આત્માને ભુલી માત્ર શરીર સામે જ દૃષ્ટિ રાખી, તેથી જ આ જીવન ગોઝારાં અપકૃત્ય-દુષ્કૃત્ય ભર્યું બનાવ્યું !'' ધિક્કાર છે મારા આ નાશવંત શરીરને, ઈન્દ્રિયોને અને એના વિષયોને કે જે આ લંપટતા-તૃષ્ણા-મદ અને હિંસાદિ પાપાચરણ કરાવે છે !
‘‘હું સનાતન-શાશ્વત આત્મા, મારે વળી આ બધા નાશવંત પદાર્થો સાથે શું લાગે વળગે ? એ બધાથી મારા આત્માને શો લાભ ?..''
નાસ્તિક કેવળજ્ઞાન પામે છે ! :
બસ, પાપોના ઘોર પશ્ચાત્તાપ પર અસંમતનું મન હિંસાદિ દુષ્કૃત્યો અને ક્રોધાદિ કષાયદોષો પરથી તદ્દન ઉઠી ગયું અને શરીર સુદ્ધાં બાહ્ય પદાર્થો પ્રત્યે એને એટલો બધો અભાવ થઈ આવ્યો કે એમને આત્માથી તદ્દન અલગ દેખવા પર ધ્યાન ગયું. એ પરમ આસ્તિક બની પોતાના આત્માને એ શરીર આદિથી બિલકુલ નિરાળો, સંબંધ વિનાનો અને શરીર પરનાં સુખદુઃખની અસર વિનાનો દેખ્યો. ધ્યાન આત્માના અલિપ્તભાવ પર અને એના જ્ઞાનાદિ ગુણો પર ચોંટી ગયું. એમ પાપોથી વિરતિ, જાગૃતિ અને અનાસક્તયોગ ઊભા થઈ ગયા !
આમાં એ ગુણસ્થાનકની પાયરીએ ચડતો ચડતો હિંસાદિ પાપોથી અને ક્રોધાદિ કષાયના ભાવોથી તદ્દન વિરામ પામી, અનાસક્તયોગથી શુક્લધ્યાનમાં લીન બન્યો, ક્ષપકશ્રેણી માંડી, આત્માની અંદરના ઘાતીકર્મોને એ ધ્યાનાગ્નિમાં બાળી સાફ કરી નાખ્યા ! વીતરાગ બન્યો ને કેવળજ્ઞાન પામ્યો !
આત્માની મહાસ્વતંત્રતા ક્યાં ? :
આત્માના શુભ અને શુદ્ધ ભાવનો કેટલો બધો ઉંચો પ્રભાવ છે ? ખૂબી તો એ છે કે એવા ભાવ કરવામાં કોઈ સંયોગ-પરિસ્થિતિ બાધક નથી. આત્મા એ કરવામાં સ્વતંત્ર છે અને જેવો પુરુષાર્થ કરે તે પ્રમાણે એમાં આગળ વધી શકે છે. એટલેસ્તો લલિતાંગ મહામુનિ હજી સરાગતાની અને છદ્મસ્થતાની ધરતી પર ઊભા છે અને અસંમત એક વખતનો મહા નાસ્તિક, તે અત્યારે વીતરાગતાના અને સર્વજ્ઞતાના આસમાનમાં ઉડી રહ્યા છે !
મુનિ કેમ પાછળ ? :
શું મુનિએ આત્માને શરીરથી તદ્દન નિરાળો નહોતો માન્યો ? એમણે શું હિંસાદિ પાપાચરણો અને ક્રોધાદિ કષાય દોષો નહોતા વોસિરાવ્યા ? બધું હતું, પણ અનાસક્તયોગની એવી પ્રબળતા એમને હજી જાગી નહોતી. ત્યારે અસંમતને પોતાનાં ઘોર દુષ્કૃત્યોની ધીખતા-સળગતા પશ્ચાત્તાપથી વિકસી ઉઠેલા શુભ અને શુદ્ધ ભાવ પર અનાસક્તભાવ ઝળહળી ઉઠ્યો, ને એથી એ મુનિ કરતાં આગળ વધી ગયો !
* * *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org