________________
ધ્યાન અને જીવન
૨૩૧
તપના પ્રભાવ પર નાસ્તિકને આશ્ચર્ય ને ધર્મબુદ્ધિ :
લલિતાંગ મુનિની રક્ષા થઈ, ને એ જોઈ અસંમત નાસ્તિક સ્તબ્ધ થઈ ગયો ! એ વિચારે છે કે ‘અરે ! પાણીના ઉંચા પૂર તો ડૂબાડનાર બને અને ચારે બાજુ અગ્નિ તો બાળનારો બને, છતાં અહીં આ મુનિમાં બેમાંથી એક કાર્ય ન થયું એ કેવું આશ્ચર્ય ? ધર્મ સિવાય અહીં કયું તત્ત્વ કામ કરી ગયું ?
તપના અચિંત્ય પ્રભાવ પર નાસ્તિક પણ અસંમત આશ્ચર્યથી ચકિત થઈ ગયો. એ ઊભો રહી ગયો. આજ સુધી ધર્મના પ્રભાવ તરફ એની દૃષ્ટિ જ નહોતી, તેથી ધર્મને નકામો જ નહિ, પણ વિટંબણાકારી ગણતો હતો. પરંતુ હવે જ્યાં ધર્મનો આ પ્રભાવ જોયો, એટલે હવે ખચકાયો. એને થયું કે
અસંમતની સુંદર વિચારધારા :
અરે ! શું ધર્મનો આવો અચિંત્ય પ્રભાવ છે કે કુદરતના નિયમને પણ ઉથલાવી નાખે ? પાણીનાં પૂર તો સમાન સપાટી પર રહેલા બધાને એક સરખી રીતે ડૂબાડે, ત્યાં અહીં ઝાડ-પાન વગેરે ડૂબ્યાં, પણ આ મુનિ ન ડૂબ્યા ? એમ અગ્નિ તો પાસેનાને બાળે, ત્યારે આ મુનિ ચારે તરફ અગ્નિ વિંટળાયેલ છતાં બળ્યા નહિ ?...
નાસ્તિકનો મનનીય પસ્તાવો :
થોડા ય ધર્મનો પ્રભાવ ઃ
નાસ્તિકના મનને હવે પારાવાર પસ્તાવો થયો કે અરે ! જો ધર્મ આવો પ્રત્યક્ષ પ્રભાવવંતો છે, તો એ સૂચવે છે કે ધર્મ તારણહાર છે, ને એમાં કોઈ અજબ સામર્થ્ય રહેલું છે ! એ હિસાબે તો કદાચ સંયોગ ન હોય ને ધર્મ આવો પ્રત્યક્ષ પ્રભાવ ન દેખાડે, યા આટલો ઉંચી કોટિનો ધર્મ ન સધાયો તો તેથી પણ આવો પ્રત્યક્ષ પ્રભાવ ન જણાય, છતાં અંદરખાને તો જરૂર કાંક ને કાંક સામર્થ્ય ઊભું કરતો જ હશે. તો પછી શું મેં આવા સામર્થ્યવંતા ધર્મને જ નકામો કહ્યો ? આવા કલ્યાણકારી ધર્મને વિટંબણાકારક લેખ્યો ? આ મેં અધમે લોકોને ધર્મ નકામો અને વિટંબણાકારી કહી કહી કેવા ઉંધા માર્ગે ચડાવ્યા ! કેઈ માણસો ધર્મસાધના કરતા હશે, એમને બિચારાને ધર્મ ભૂલાવી પાપમાં ડૂબતા રાખ્યા ? આ મારો ધર્મ પ્રત્યે અને લોકો પ્રત્યે કેટલો બધો દ્રોહ ?...
જીવો જો સંસારનાં બીજાં બીજાં કૃત્ય-અપકૃત્ય કરવા સ્વતંત્ર હોવાનું હું માનતો, તો પછી ધર્મસાધના કરનાર પણ એ કરવા સ્વતંત્ર છે, એમ કેમ માન્યું નહિ ? ઉલટું મેં ધર્મ ઉપર ઘા કરી ધર્મને લોકમાં પ્રસરતો અટકાવ્યો ? આ મેં ધર્મનો ભારે દ્રોહ જ કર્યો ગણાય, ધર્મની પ્રત્યે ગુંડાગીરી જ આદરી ગણાય...'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org