________________
(૩૦)ને ધ્યાન અને જીવન (૩) અહીં ને તહીં રાગ-દ્વેષ નહિ ચાલે?
પણ આ બધી ભયંકરતાનો ખ્યાલ જ નથી એટલે એને ટાળનારું જે એકમાત્ર સાધન શાસ્ત્રવ્યવસાય, એનાથી શાસ્ત્રબોધને મમરાવવાનો અને વધારવાનો કોઈ વિચાર જ નથી આવતો.
ધ્યાનમાં રહે કે ખુદ ભગવાનના કાળમાં પણ એમની પાસે રહેવા માત્રથી આત્માનો બચાવ નથી થતો. ત્યાં પણ ભગવાને કહેલાં તત્ત્વોની રટણા જ બચાવી શકે છે. એમાંય શ્રાવકો વળી ભગવાનની પાસે ક્યાં ચોવીસે કલાક રહી શકવાના ? તો એમને બચાવ શી રીતે મળે ? મન શાસ્ત્રતત્ત્વોમાં ગુંથાયેલું ને ગુંથાયેલું રહે તો જ બચાવ મળે.
શાસ્ત્રબોધ-શાસ્ત્રરટણા એ અશુભ ને નકામા વિચારોથી બચવાનું અને આત્માના ઉદ્ધારનું જબરદસ્ત સાધન છે.
એટલા માટે તો કહ્યું કે - અસ્મિનું હૃદયસ્થ સતિ હૃદયસ્થસ્તત્ત્વતો મુનીન્દ્ર ઈતિ
અર્થાતુ જો આ જિનવચન હૃદયમાં રમતા હોય તો ત્યાં ખરેખર પરમાત્મા જ હૃદયમાં છે. જિનોક્ત શાસ્ત્રનાં તત્ત્વોનું ધ્યાન એ સાચું પરમાત્મ ધ્યાન છે. બાકી એકલું “અરિહંત અરિહંત' રટ્યા કરે અને જિનવચનના જ્ઞાન-ચિંતન તરફ કોઈ જ પ્રયત્ન ન હોય તો કામ ન સરે – ન તો મન આડાઅવળા વિચારોથી બચી શકે, કે ન તો સારાસાર, વાચ્યાવાચ્ય, ને વિચાર્ય-અવિચાર્ય વસ્તુની ગમ રહે. શાસ્ત્રબોધ જ એક એવી ચીજ છે કે એથી સારાસાર વગેરેની ખબર પણ પડે અને સ્વાત્મરક્ષા પણ થાય. માટે જાતમાં અને સંતાનોમાં આ કેમ પમાય, કેમ વધે અને કેમ એની રટણ ચાલુ રહે, એની ખૂબ ચિંતા રાખો, કાળજી કરો.
વાત એ હતી કે મુનિ શ્રુતપરંપરા ટકાવવા બીજાને શ્રુતદાન કરતો રહે, ને એ કરવા સારુ રોગિષ્ઠ અવસ્થામાં રોગ હટાવવાને માટે જરૂરી ઔષધોપચાર કરી લે, એમ ગચ્છરક્ષાનો ભાર સાથે હોય તો એમાં જરૂરી શરીર શક્તિ સ્વાથ્ય ટકાવવા પણ રોગને ઉપચારથી હટાવે. દવા-ઉપચાર કરવાના એ ઉદ્દેશ હોય.
બાકી તો જે એ કોઈ પ્રશ્ન ન હોય તો તો શાંતિ-સમાધિથી રોગને સહી લઈ કર્મોના ભુક્કા કરવા માટે જ અને નવા કર્મબંધ ટાળવા માટે જ મથે. ત્યાં કોઈ તીવ્ર ઉપદ્રવ આવે તો પણ તે સહી લે, કિન્તુ પોતાની લબ્ધિનો ઉપયોગ એ ટાળવા માટે ન કરે. ત્યારે તીવ્ર અશુભકર્મના ઉદય નિર્ધારિત હોય તો દેવતાને પણ રક્ષા કરવાનો ખ્યાલ ન આવે. દેખોને કે ત્રિભુવનનાથ મહાવીર પ્રભુને પાસે રહેલા ક્રોડ દેવતામાંથી એક પણ દેવતાને ગોશાળો પ્રભુ પર તેજોલેશ્યા છોડે છે ત્યારે રક્ષાનો ખ્યાલ ન આવ્યો ! છતાં એવું ન હોય ત્યાં તપના પ્રભાવે દેવતા રક્ષામાં લાગી જવાનો સંભવ છે. એટલે તપનો પ્રભાવ આમ પણ મોટો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org